સરકાર દાવા કરે છે કામગીરી નહીંના આક્ષેપ સાથે ખેડૂતોની ઘેડ વિકાસ નિગમ બનાવવા માગ, જુઓ વીડિયો
દર વર્ષે ચોમાસા દરમિયાન ઘેડ પંથકના ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. પ્રત્યેક ચોમાસામાં સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થઈ જાય છે. આવા સંજોગોમાં સરકાર આ વિસ્તારની કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ લાવતી ના હોવાથી, ઘેડ પંથકના ખેડૂતો વિશાળ સંખ્યામાં જૂનાગઢ કલેકટર કચેરીએ એકઠા થયા હતા.
ગુજરાતના જૂનાગઢના ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસામાં કફોડી સ્થિતિ સર્જાય છે. જ્યા સ્થળ ત્યા જળ જેવી સ્થિતિ સર્જાય છે. આમ છતા, સરકાર દ્વારા આ પંથકની કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતી ના હોવાથી, કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલ આંબલિયાની આગેવાનીમાં ઘેડ પંથકના ખેડૂતો મોટી માત્રામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા. કલેકટર કચેરીએ એકઠા થયેલા ખેડૂતોએ, ઘેડ વિકાસ નિગમ બનાવીને પ્રત્યેક વર્ષે ચોમાસામાં સર્જાતી કાયમી સમસ્યાનો ઉકેલ લાવવાની માગ કરી હતી.
ઘેડ વિસ્તારમાં દર ચોમાસામાં હજારો હેક્ટર જમીનનું ધોવાણ થાય છે. સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ થઈ જાય છે, સરકાર દ્વારા ઘેડની સમસ્યાના નિરાકરણના માત્ર દાવાઓ કરવામાં આવે છે કોઈ નક્કર કામગીરી થતી ના હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઘેડ પંથકમાં વરસાદને કારણે ધોવાણ થયેલ જમીન અંગે ખેડૂતોને આર્થિક નુકસાનનું વળતર આપવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.