ખેડૂતોની સમસ્યાને લઈને કોંગ્રેસ ગામ ગજવશે, 1 થી 13 નવેમ્બર સુધી કરશે આંદોલન
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે.
ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા યોજશે. આગામી 1 થી 13 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં દેખાવો યોજાશે. 1 થી 5 નવેમ્બર સુધી કલેકટર મામલતદારોને આવેદનપત્ર આપવા ઉપરાંત પદયાત્રાઓ યોજાશે. 6 નવેમ્બરે તમામ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરાશે. સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ 6 નવેમ્બરે સોમનાથથી કરાશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેતી યાત્રાની 6 થી 13 નવેમ્બરથી સુધી ચાલશે. 13 નવેમ્બરે યાત્રાનું સમાપન દ્વારકામાં કરાશે.
વરસાદી પૂર અને માવઠાનો માર ખાઈને અધમુઆ થઈ ગયેલા રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા કોંગ્રેસે માંગ કરી છે. ખેડૂતોની સ્થિતિ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો. ખેડૂતો પ્રત્યે ભાજપે દુર્લક્ષ્ય દાખવ્યું છે, ભાજપની નીતિ ખેડૂત વિરોધી રહી છે. ખેડૂતોને સમયસર મદદ નહીં મળે તો આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. પાકના રક્ષણ માટે પાક વીમા યોજના શરૂ કરવા માંગ કરી છે. કુદરતી આફતથી થયેલ નુકસાન માટે સ્પેશિયલ પેકેજ આપવા કોંગ્રેસે માંગ દોહરાવી છે.
આ પણ વાંચોઃ માવઠાનો માર ખાઘેલા ખેડૂતો માટે વધુ એક સમસ્યા, આવતીકાલ 1 નવેમ્બરથી નહીં થઈ શકે ટેકાના ભાવે ખરીદી, ગુજકોમાસોલ-કૃષિ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ
