ધોનીની હેરસ્ટાઇલના દિવાના હતા Pervez Musharraf, માહીને વાળ ન કાપવાની આપી હતી સલાહ, જુઓ Video
મહેન્દ્ર સિંહ પોતાની સ્પોર્ટ્સ અને હેર સ્ટાઈલથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તેમને મોટી સલાહ આપી હતી. પરવેઝ મુશર્રફે 2006માં ભારતના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન એમએસ ધોનીની મેચ બાદ ઈનામ વિતરણ પ્રસંગે જાહેરમાં પ્રશંસા કરી હતી
ભલે પાકિસ્તાન અને ભારતના રાજકીય સંબંધોમાં તણાવ છે, પરંતુ ભારતનું રમતગમત અને મનોરંજન જગત પડોશી દેશને પોતાનો ચાહક બનાવે છે. પાકિસ્તાનના યુવાનો આજે પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પોતાનો આદર્શ માને છે. ખુદ કેપ્ટન બાબર આઝમે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)ના વખાણ કર્યા છે.પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું રવિવારે 5 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં અવસાન થયું છે. આજે અમે ક્રિકેટના મેદાનમાં તેમની એક પ્રખ્યાત ઘટના પર વાત કરીશું.
કેરિયરની શરૂઆતમાં ધોનીના વાળ લાંબા હતા
માહીની કપ્તાનીમાં ભારતે બે વર્લ્ડ કપ ટાઈટલ જીત્યા છે. ધોનીએ IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ચાર ટાઇટલ જીત્યા છે. એક સમય હતો જ્યારે ધોની તેની વિસ્ફોટક બેટિંગ સિવાય લાંબા વાળથી લોકોનું ધ્યાન ખેંચતો હતો.
ચાહકો હેરસ્ટાઇલની કોપી કરતા
એક સમય હતો જ્યારે લોકો ધોનીની હેરસ્ટાઈલની નકલ કરતા હતા. પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પણ ધોનીની હેરસ્ટાઈલથી પ્રભાવિત થયા હતા.
ધોનીએ ગદ્દાફી સ્ટેડિયમમાં દિલ જીતી લીધું
ભારતે વર્ષ 2005-06માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ODI સિરીઝની ત્રીજી મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં પાકિસ્તાને 288 રન બનાવ્યા હતા. જવાબમાં ધોનીએ 46 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 72 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.
પરવેઝ મુશર્રફે ખાસ સલાહ આપી
આ દરમિયાન પરવેઝ મુશર્રફે માહીને કંઈક એવું કહ્યું, જેને ચાહકો આજ સુધી ભૂલી શક્યા નથી. પરવેઝ મુશર્રફે ધોનીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, “મેં મેદાનમાં ઘણા પ્લેકાર્ડ જોયા છે, જેમાં ધોનીને તેના વાળ કાપવાની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ મારો અભિપ્રાય છે કે તમારે તમારા વાળ ન કાપવા જોઈએ. તમે આમાં ખૂબ સારો દેખાય રહ્યો છે.
પરવેઝ મુશર્રફનું નિધન
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું આજે દુબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. પાકિસ્તાનના મીડિયાને ટાંકીને આ સમાચાર આપવામાં આવ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. દુબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરવેઝ મુશર્રફે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમાયલોઇડિસ રોગથી પીડાતા હતા.