IPLના મેદાનમાં હવે ખેલાડીઓ પણ મળશે ‘લોન’ પર ? અશ્વિને CSK માટે આપ્યું બ્રહ્માસ્ત્ર
આઈપીએલ 2026માં ઇજાઓના ગ્રહણ વચ્ચે પાંચ વખતની ચેમ્પિયન સીએસકે મુશ્કેલીમાં છે. આ દરમિયાન દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક એવા નિયમનો ઉલ્લેખ કર્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો સીએસકે ધારે તો આરસીબી પાસેથી પ્રતિભાશાળી ખેલાડી ઉધાર લઈ શકે છે. શું છે આ લોન વિન્ડો અને તેની શરતો,

આઈપીએલ 2026માં અત્યારે મેદાન પર ચોગ્ગા-છગ્ગાની સાથે ઇજાઓનો સિલસિલો પણ તેજ બન્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અત્યારે સૌથી વધુ મુશ્કેલીમાં છે કારણ કે ફોર્મમાં ચાલી રહેલા આયુષ મ્હાત્રે સહિત ત્રણ મોટા ખેલાડીઓ સીઝનમાંથી બહાર થઈ ગયા છે. આ કટોકટી વચ્ચે રવિચંદ્રન અશ્વિને સીએસકેને એક માસ્ટરપ્લાન આપ્યો છે અને આરસીબી (RCB) ના એક ખેલાડીને ‘ઉધાર’ લેવાની સલાહ આપી છે.
અશ્વિનની ચોંકાવનારી પોસ્ટ
અશ્વિને 21 એપ્રિલ 2026ના રોજ સોશિયલ મીડિયા પર સૂચન કર્યું કે સીએસકે અત્યારે આરસીબીના વિહાન મલ્હોત્રાને લોન પર લઈ શકે છે. વિહાન અત્યંત પ્રતિભાશાળી છે અને તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી. અશ્વિનના મતે, જો વિહાન ન મળે તો ડાબા હાથના બેટ્સમેન અભિજ્ઞાન કુંડુ પણ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. અશ્વિને ઈશારામાં સીએસકેને લોન વિન્ડો બંધ થાય તે પહેલા પગલાં લેવા જણાવ્યું છે.
With so many injuries on the horizons!
The loan window closes after the 7th game mark & it will be a great idea to loan this sensational talent from RCB.
He hasn’t played a single game so far, hence it is a viable option.
If not Vihaan, Abhigyan Kundu is also a left handed… pic.twitter.com/CimZCIjTyV
— Ashwin (@ashwinravi99) April 21, 2026
શું છે આઈપીએલનો ‘લોન પ્લેયર’ નિયમ?
આઈપીએલના નિયમો મુજબ, જ્યારે કોઈ ટીમ 7 મેચ (સીઝનની અડધી મેચો) રમી લે તે પહેલા જ લોન વિન્ડો ખુલ્લી રહે છે. સીએસકેએ અત્યાર સુધી 6 મેચ રમી છે, તેથી તેમની પાસે અત્યારે આ નિયમનો ઉપયોગ કરવાની છેલ્લી તક છે. 7 મેચ પૂરી થયા પછી આ સુવિધા બંધ થઈ જાય છે.
નિયમની કડક શરતો:
- કોને લઈ શકાય?: જે ખેલાડીએ તે સીઝનમાં મહત્તમ ૨ થી વધુ મેચ રમી ન હોય (પ્લેઇંગ 11 કે કનકશન સબ તરીકે), તેને જ લોન પર લઈ શકાય છે.
- સામેની ટીમ સામે પ્રતિબંધ: જો સીએસકે આરસીબી પાસેથી કોઈ ખેલાડી લોન પર લે છે, તો તે ખેલાડી આરસીબી સામેની મેચમાં રમી શકશે નહીં.
- ખેલાડીની સંમતિ: લોન ટ્રેડ માટે સંબંધિત ખેલાડીની મંજૂરી હોવી ફરજિયાત છે.
- પગાર કોણ ચૂકવશે?: જે ટીમે ઓક્શનમાં ખેલાડીને ખરીદ્યો હોય તે જ તેનો કોન્ટ્રાક્ટ મુજબનો પગાર ચૂકવે છે. પરંતુ જે ટીમ લોન પર લે છે, તેણે ખેલાડીને ‘પર મેચ ફી’ આપવી પડે છે અને બીજી ફ્રેન્ચાઈઝી સાથે લોન ફી નક્કી કરવી પડે છે.
સીઝન પૂરી થતા જ વરઘોડો પાછો
આ લોન માત્ર તે સીઝન પૂરતી જ મર્યાદિત હોય છે. આઈપીએલ 2026 પૂરી થતા જ લોન પર ગયેલો ખેલાડી ફરીથી તેની મૂળ ટીમનો જ હિસ્સો બની જાય છે. એક ટીમ એક સીઝનમાં કોઈ પણ એક ટીમ પાસેથી મહત્તમ બે ખેલાડીઓ લોન પર લઈ શકે છે.
હવે જોવાનું એ રહેશે કે શું સીએસકે અશ્વિનની આ સલાહ માનીને આ રામબાણ ઈલાજ અપનાવે છે કે કેમ. આઈપીએલના ઈતિહાસમાં આ નિયમનો ઉપયોગ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા આ એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.
