ભાવનગરમાં બજરંગદાસ બાપાના નામે ભ્રામક પોસ્ટ થઈ વાયરલ, AI થી બાપાનો વીડિયો બનાવવા સામે દર્શાવી આપત્તિ- Video
ભાવનગરમાં બજરંગદાસ બાપાના AI જનરેટેડ ભ્રામક વીડિયો વાયરલ થતાં બગદાણા આશ્રમે આપત્તિ દર્શાવી છે. આશ્રમ ટ્રસ્ટે ભક્તોને આવા ફેક વીડિયોથી દૂર રહેવા અને બાપાના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ ન કરવા અપીલ કરી છે. લાઈક્સ-વ્યુઝ માટે બાપાની ખોટી રજૂઆત ન થાય અને તેમની પવિત્રતા જળવાઈ રહે તે માટે વિનંતિ પણ કરાઈ છે.

ભાવનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અને હજારો લોકોની આસ્થા જેમની સાથે જોડાયેલી છે તેવા બગદાણાના બજરંગ દાસ બાપાના નામથી એક AI જનરેટેડ ભ્રામક વીડિયો વાયરલ થયો છે. ત્યારે બગદાણા આશ્રમ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના વીડિયો સામે આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે અને ભાવિકોને આ પ્રકારે બાપાના મૂળ રૂપ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવા જણાવાયુ છે.
બગદાણા ગુરુ આશ્રમ દ્વારા ભાવિકોને અપીલ કરતા AI જનરેટેડ ફેક ફોટા-વીડિયોથી સાવધાન રહેવા જણાવાયુ છે. લાઈક્સ-વ્યુઝ ની ઘેલછામાં આ પ્રકારની ખોટી-ભ્રામક પોસ્ટ વાયરલ ન કરવા અપીલ કરવામાં આવી છે.
AIના વધી રહેલા ટ્રેન્ડ અને ઉપયોગ વચ્ચે બજરંગદાસ બાપાના AIથી બનાવાયેલા ફોટો અને વીડિયો વાયરલ થયા હતા. જેને પગલે સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમે બજરંગદાસ બાપાના AIથી બનાવાયેલા ફેક ફોટા અને વીડિયોથી સાવધાન રહેવા અપીલ કરી છે. બજરંગ દાસ બાપાના મૂળ સ્વરૂપને AI વડે કાલ્પનિક ફોટા અને મનઘડત કહાની જોડીને વ્યુઝ અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં લોકો બાપાના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે અન્યાય ન કરે તે માટે પત્ર જાહેર કરાયો છે.
આશ્રમના ટ્રસ્ટી યોગેશભાઈ સગરે Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે કેટલાક ઈન્ફ્લુએન્સર અને યુટ્યુબર્સ સોશિયલ મીડિયા પર લાઈક્સ કે વ્યુઝના ચક્કરમાં બાપાને મનઘડંત રીતે ચીતરી રહ્યા છે. કેટલાકે બાપાને ગોગલ્સ પહેરેલા અને જલારામ બાપા સહિતના અન્ય સંતો સાથે ચા પીતા બતાવ્યા છે. તેમની ભાવના સામે શક નથી પરંતુ આવુ કરવાથી બાપાના જીવન વિશેનો ખરો સંદેશ લોકો વચ્ચે જવો જોઈએ તે નથી જઈ રહ્યો.
જુઓ વીડિયો
ગુરુ મહારાજ જીવનપર્યંત વાસ્તવવાદી રહ્યા છે ક્યારેય કોઈ ચમત્કારો કરવાનો દાવો નથી કર્યો
યોગેશભાઈએ સ્પષ્ટ જણાવ્યુ કે બાપા યોગી, તપસ્વી અને ત્યાગી અવધૂત હતા. તેમણે ખુદ ક્યારેય ચમત્કારો અંગેનો દાવો નથી કર્યો. તેઓ ત્રિકાળજ્ઞાની હોવા છતા વાસ્તવવાદી જીવન જીવતા હતા. તેઓ પર્યાવરણ પ્રેમી, બાળકો પ્રેમી હતા. તેમનુ તપ યોગી કક્ષાનું હતુ. તેઓ કોઈ વિરક્ત યોગી અને અવધૂત પુરુષ જેવા હતા. બાપા ત્રિકાળજ્ઞાની હતા પરંતુ કોઈપણ જાતનો આડંબર તેમનામાં ક્યારેય ન હતો.
યોગેશભાઈએ કહ્યુ આવા યોગી વ્યક્તિત્વને અલગ રીતે રજૂ કરશુ તો આવનારી પેઢીઓને તેમના જીવન વિશે નવી જ કલ્પના બાંધી લેશે. ત્યારે ટ્રસ્ટ વતી વિનંતિ કરાઈ છે ગુરુમહારાજની ગરિમાને સાચવીને આવી કોઈ ભ્રામક પોસ્ટ કે ફોટા ન બનાવવા વિનંતિ કરવામાં આવી છે.