અજીત અગરકર પહેલા આ સિલેક્ટરની થશે છુટ્ટી, BCCI સિલેકશન કમિટીમાં કરશે મોટો ફેરફાર
તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને રોહિત શર્માની નિવૃત્તિને લઈને ચાલી રહેલા વિવાદને કારણે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ કારણે પસંદગી સમિતિ અને BCCI વચ્ચે અંતર વધતું જણાઈ રહ્યું છે. એવામાં ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પદ જોખમમાં હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે અગરકર પહેલા અન્ય એક સિલેક્ટરની છુટ્ટી થશે.

ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનો યુગ ચાલુ છે. કેપ્ટનશીપ અને ખેલાડીઓને લઈને ઘણા ફેરફારો થઈ ચૂક્યા છે. કોચિંગ સ્ટાફમાં પણ ફેરબદલ જોવા મળ્યો છે. હવે, હાલમાં વિવાદોમાં ઘેરાયેલી સિનિયર મેન્સ સિલેક્શન કમિટીમાં પણ કંઈક આવું જ થવાનું છે. ટીમ ઈન્ડિયાના તાજેતરના પ્રદર્શન અને રોહિત શર્માના મુદ્દે થયેલા વિવાદ બાદ ચીફ સિલેક્ટર અજીત અગરકરની ખુરશી ખતરામાં હોવાનું કહેવાય છે. પરંતુ તે પહેલા અન્ય એક સિનિયર સિલેક્ટર શિવ સુંદર દાસની કમિટીમાંથી છુટ્ટી થવાની છે.
શિવ સુંદર દાસ સિલેકશન કમિટી છોડશે
એક અહેવાલમાં જણાવાયું છે કે આગામી દિવસોમાં સિનિયર સિલેકશન કમિટીમાં ફેરફાર જોવા મળશે. આ ફેરફારનું કારણ શિવ સુંદર દાસ છે, જે ઈસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે. શિવ સુંદર દાસને ટૂંક સમયમાં પસંદગી સમિતિમાંથી દૂર કરવામાં આવશે. જોકે, આ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન કે કોઈ વિવાદને કારણે નથી, પરંતુ શિવ સુંદર દાસના કાર્યકાળના અંતને કારણે છે.
સિનિયર સિલેક્ટરનો કાર્યકાળ ફક્ત ચાર વર્ષનો
BCCI ના નિયમ અનુસાર સિનિયર સિલેક્ટરનો કાર્યકાળ ફક્ત ચાર વર્ષનો હોય છે, જેને લંબાવી શકાતો નથી. ઓડિશાનો ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર શિવ સુંદર દાસ જાન્યુઆરી 2023 થી પસંદગી સમિતિમાં છે અને અગરકરની નિમણૂક પહેલા કેટલાક સમય માટે સમિતિનો સૌથી વરિષ્ઠ સભ્ય હતો. હવે, તેનો ચાર વર્ષનો કાર્યકાળ ડિસેમ્બર 2026 માં પૂર્ણ થશે, જેના કારણે તેને પદ છોડવું પડશે. પરિણામે, BCCI ટૂંક સમયમાં આ પદ ભરવા માટે અરજીઓ મંગાવી શકે છે.
ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પદ જોખમમાં
શિવ સુંદર દાસને લઈને કોઈ વિવાદ નથી, પણ વાસ્તવિક મુદ્દો ચીફ સિલેક્ટર અજિત અગરકરના પદનો છે. તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાના તાજેતરના પ્રદર્શનને કારણે અગરકરનું પદ જોખમમાં છે. ટીમમાં કેટલાક ખેલાડીઓની પસંદગી, ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માની ODI કારકિર્દીને લઈને થયેલા વિવાદને કારણે અગરકરને હટાવી શકાય છે અને VVS લક્ષ્મણને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરી શકાય છે. જોકે, આ બાબતે અંતિમ નિર્ણય ઓક્ટોબરમાં BCCIની વાર્ષિક સામાન્ય બેઠકમાં લેવામાં આવે તેવી શક્યતા છે.
