Breaking News: T20Iમાં ટીમ ઈન્ડિયાની હવે એક નહીં પણ બે ટીમો હશે, જાણો BCCIનો શું છે માસ્ટર પ્લાન
BCCI હવે T20I માં બે ટીમ ઈન્ડિયાને મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના પર કામ શરુ થઈ ગયું છે IPL 2026 પછી અમલ થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર, BCCI 30-35 ખેલાડીઓનો એક પૂલ (ગ્રુપ) તૈયાર કરવાનો ઈરાદો ધરાવે છે.

ભારતની હવે ફક્ત એક નહીં પરંતુ બે T20I ટીમો એકસાથે રમશે. BCCI એ આ માટે આયોજન શરૂ કરી દીધું છે એવો એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, પ્રતિભાશાળી ખેલાડીઓની યોગ્યતાને ધ્યાનમાં રાખીને BCCI હવે 30-35 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવાનું વિચારી રહ્યું છે. BCCIની યોજના બે T20I ટીમો બનાવવાની છે. BCCI ની આ યોજના IPL 2026 પછી લાગુ થઈ શકે છે. જો આવું થાય છે, તો તેનો સીધો અર્થ એ થશે કે વધુ ખેલાડીઓને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.
બે ટીમો રમાડવાનું કારણ શું?
હવે પ્રશ્ન એ છે કે, આ યોજના પાછળ BCCI નો હેતુ શું છે ? ભારત આ વર્ષના અંતમાં અનેક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લેવાનું છે, જેમાં એશિયન ગેમ્સ અને વેસ્ટ ઈન્ડીઝ સામેની T20 શ્રેણીનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ, BCCI આને ધ્યાનમાં રાખીને બે ટીમોની નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારી રહ્યું છે.
30-35 ક્રિકેટરોનો એક પૂલ
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે એશિયન ગેમ્સ અને ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 શ્રેણી એકસાથે યોજાશે. તેથી, આપણે બે ટીમોને મેદાનમાં ઉતારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ કરવા માટે, હવે 30-35 ક્રિકેટરોનો એક પૂલ (ગ્રુપ) તૈયાર કરવો જરૂરી છે, જેમને આંતરરાષ્ટ્રીય મેચો માટે બોલાવી શકાય. BCCIના અધિકારીએ ઉમેર્યું હતું કે આયર્લેન્ડ પ્રવાસ માટે ખેલાડીઓનો એક મોટો પૂલ રાખવામાં આવશે. એશિયન ગેમ્સ માટે પણ આ જ સિદ્ધાંત લાગુ પડશે, જ્યાં એક મોટો પૂલ તૈયાર કરવામાં આવશે.
યુવા IPL સ્ટાર્સ લિસ્ટમાં હશે સામેલ
હવે પ્રશ્ન એ છે કે 30-35 ખેલાડીઓના પૂલમાં કોનો સમાવેશ થશે? હજુ સુધી કોઈ ખેલાડીના નામની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, IPL 2026 માં તેમના પ્રદર્શન અને વર્તમાન ફોર્મને ધ્યાનમાં લેતા, કેટલાક નામોની ચર્ચા ચોક્કસપણે શરૂ થઈ ગઈ છે. બેટિંગમાં વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, યશસ્વી જયસ્વાલ અને રજત પાટીદાર જેવા ખેલાડીઓ રેસમાં આગળ છે. બોલિંગમાં અશોક શર્મા, કાર્તિક ત્યાગી અને રવિ બિશ્નોઈ જેવા નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ વિભાગમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે શશાંક સિંહ અને અનુકુલ રોય જેવા નામો ઓલરાઉન્ડરની લિસ્ટમાં દેખાઈ શકે છે.
શ્રેયસ અય્યર કરશે કપ્તાની!
હવે જ્યારે ટીમ ઈન્ડિયા પાસે બે T20 ટીમો છે, તો એ સ્પષ્ટ છે કે તેમની પાસે બે કેપ્ટન પણ હશે. અહેવાલ મુજબ, શ્રેયસ અય્યર આ બેમાંથી એક ટીમનું નેતૃત્વ કરી શકે છે.
