Breaking News : ‘ગુરુ’ યુવરાજ સિંહે ‘શિષ્ય’ અભિષેક શર્માને ‘સર’ કહ્યો, ધમાકેદાર સદી બાદ કરી સ્પેશિયલ પોસ્ટ
મંગળવારે રમાયેલી IPL મેચમાં અભિષેક શર્માએ 135 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવી. તેની આ શાનદાર ઈનિંગ બાદ તેના મેન્ટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તેને “સર” કહીને અભિનંદન પાઠવ્યા. બે વર્ષ જૂની મજાક હવે ગર્વમાં ફેરવાઈ ગઈ છે.

મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી હતી. તેણે માત્ર 68 બોલમાં 135 રન ફટકારીને ટીમને 242ના મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો.
અભિષેક શર્મા પ્લેયર ઓફ ધ મેચ
આ ઇનિંગ દરમિયાન અભિષેકે 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા, જે દર્શાવે છે કે તે કેવી રીતે આક્રમક અંદાજમાં રમ્યો. તેની આ ઈનિંગ બદલ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પણ જાહેર કરવામાં આવ્યો. તેની સાથે ટ્રેવિસ હેડએ પણ 37 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.
યુવરાજ સિંહે અભિષેકને ‘સર’ કહ્યો
મેચ બાદ યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર અભિષેકની પ્રશંસા કરતાં લખ્યું કે “બેટને તેનું કામ કરવા દો, તમે દરરોજ વધુ સારા બની રહ્યા છો. સર અભિષેક શર્મા, શાનદાર રમત.” યુવરાજની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
Let the bat do the work! getting better each day well played sir Abhishek! keep up with the process @OfficialAbhi04 @SunRisers @IPL #SRHvsDC
— Yuvraj Singh (@YUVSTRONG12) April 21, 2026
ચંપલથી મારવાની વાત કરી હતી
હકીકતમાં, આ જ અભિષેક માટે યુવરાજે બે વર્ષ પહેલાં મજાકમાં કહ્યું હતું કે ખોટો શોટ રમે તો તેને ચંપલથી મારશે. 2024માં મુંબઈ સામે 63 રન પર આઉટ થતાં યુવરાજે તેની ટીકા કરી હતી. હવે તે જ ખેલાડી માટે ગર્વભરી પ્રશંસા જોવા મળી રહી છે.
યુવરાજ સિંહ અભિષેકનો આઈડલ
અભિષેક શર્મા પોતાની સફળતાનું શ્રેય યુવરાજ સિંહને આપે છે. તે યુવરાજને પોતાનો માર્ગદર્શક (આઈડલ) માને છે. યુવરાજે માત્ર અભિષેક જ નહીં, પણ શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓને પણ માર્ગદર્શન આપ્યું છે.
હૈદરાબાદે દિલ્હીને હરાવ્યું
મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ 242 રનના લક્ષ્યાંક સામે 195 રન જ બનાવી શકી અને 47 રનથી હારી ગઈ. અભિષેકની આ ઇનિંગ IPL ઇતિહાસમાં તેની બીજી સદી છે અને તે હવે ટીમ માટે મહત્વનો ખેલાડી બની ગયો છે.
