Sourav Ganguly: સાત શ્રેણીમાં 7 સુકાની ! BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું- આ સારું નથી પરંતુ..
Cricket : બીસીસીઆઈ (BCCI) પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) નું માનવું છે કે સાત મહિનામાં સાત કેપ્ટન હોવા સારી વાત નથી. પરંતુ કેટલાક અનિવાર્ય કારણોસર તે કરવું પડ્યું.
સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની ગણતરી ભારતના સૌથી સફળ સુકાનીઓમાં થાય છે. ‘દાદા’ ના નામથી જાણીતા આ ખેલાડીએ ટીમને એવા સ્તર પર પહોંચાડી દીધી કે તે દેશની બહાર પણ જીતવામાં માહિર છે. ગાંગુલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 2003માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. 50 વર્ષીય ગાંગુલી હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માં પ્રમુખ પદ સંભાળી રહ્યા છે.
ગાંગુલીએ શુક્રવારે લંડનમાં તેના મિત્રો અને પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન ગાંગુલીએ ક્રિકેટ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓને લઈને ન્યૂઝ એજન્સી પીટીઆઈને એક ખાસ ઈન્ટરવ્યુ પણ આપ્યું હતું. ગાંગુલીએ ઈન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે, સાત મહિનામાં ભારતીય ટીમમાં સાત કેપ્ટન હોય તે સારી વાત નથી. પરંતુ કેટલાક અનિવાર્ય કારણોસર વસ્તુઓ એવી રીતે બની કે તે કરવું પડ્યું.
સાત સુકાની હોવું તે સારી બાબત નથીઃ સૌરવ ગાંગુલી
ગાંગુલીએ કહ્યું, ‘હું સંપૂર્ણ રીતે સંમત છું કે આટલા ટૂંકા ગાળામાં સાત અલગ-અલગ કપ્તાન હોવું આદર્શ નથી. પરંતુ કેટલાક અનિવાર્ય સંજોગો ઉભા થયા હોવાથી આવું થયું. જેમ કે રોહિત સફેદ બોલના ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરવાનો હતો. પરંતુ તે પ્રવાસ પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેથી જ લોકેશ રાહુલે વનડેમાં કેપ્ટનશીપ કરી અને પછી તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણાની શ્રેણીની શરૂઆતના એક દિવસ પહેલા રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો.
તેણે આગળ કહ્યું, ‘રોહિત ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ મેચ રમી રહ્યો હતો. જ્યારે તેને કોવિડ-19 ચેપ હોવાનું નિદાન થયું હતું. આ સંજોગો માટે કોઈ જવાબદાર નથી. કેલેન્ડર એવું છે કે અમારે ખેલાડીઓને બ્રેક આપવાનો હોય છે અને પછી કોઈને નુકસાન થાય તો વર્કલોડ મેનેજમેન્ટ પર પણ ધ્યાન આપવું પડે છે. તમારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડની સ્થિતિ પણ સમજવી પડશે કે અનિવાર્ય સંજોગોને કારણે દરેક શ્રેણીમાં અમારે નવો કેપ્ટન હોવો જરૂરી હતો.
રમવાથી ફિટનેસ બરોબર રહે છેઃ સૌરવ ગાંગુલી
ગાંગુલી કહે છે, ‘મારું હંમેશા માનવું છે કે મારી સમગ્ર આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન તમે જેટલું વધુ રમશો તેટલા વધુ સારા અને વધુ ફિટ રહેશો. આ સ્તરે તમારે રમતના સમયની જરૂર છે અને તમે જેટલી વધુ મેચો રમશો તમારું શરીર એટલું મજબૂત બનશે. IPL 2008 થી શરૂ થઈ હતી. પરંતુ તમે જોશો કે અમે અમારી કારકિર્દીમાં કેટલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. જો તમે સરખામણી કરો તો કેલેન્ડર વર્ષમાં ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ધોરણમાં વધુ વધારો થયો નથી.
‘ખેલાડીઓના કૌશલ્ય સાથે કોઇ સમાધાન નહીં’
ગાંગુલીએ વધુમાં કહ્યું કે, ‘ખેલાડીઓના કૌશલ્ય સાથે બિલકુલ સમાધાન કરવામાં આવશે નહીં. તેનાથી વિપરિત હું કહીશ કે ભારતીય ક્રિકેટમાં પ્રતિભા સમય સાથે વધશે અને આઈપીએલે અમને બતાવ્યું છે કે આ દેશમાં આપણી પાસે કેટલી પ્રતિભા છે. જો તમે બે ભારતીય ટીમો (સફેદ અને લાલ બોલ) પર નજર નાખો તો તમને ખબર પડશે કે અમે વર્ષોથી કેવા પ્રકારના ખેલાડીઓ તૈયાર કર્યા છે.
પોતાના કાર્યકાણને લઇને કહી ખાસ વાત
ગાંગુલીએ કહ્યું, “જ્યારે હું 2019 માં પ્રમુખ બન્યો ત્યારે તે BCCIના સભ્ય સંગઠનોની સંમતિથી હતો અને અત્યાર સુધી તે એક અદ્ભુત અનુભવ રહ્યો છે. તમને ભારતીય ક્રિકેટની સુધારણા માટે કામ કરવાની અને ફેરફારો કરવાની તક મળે છે. કોવિડ-19 ના બે વર્ષ દરમિયાન ટૂર્નામેન્ટનું આયોજન પડકારજનક હતું. પરંતુ BCCI એ IPL અને ડોમેસ્ટિક ક્રિકેટ બંનેનું વધુ સારી રીતે આયોજન કર્યું હતું. જ્યારે હું BCCI માં જોડાયો ત્યારે મને મેનેજમેન્ટનો પાંચ વર્ષનો અનુભવ હતો. કારણ કે મેં CAB (બંગાલ ક્રિકેટ એસોસિએશન)ના સંયુક્ત સચિવ તરીકે અને પછી પ્રમુખ તરીકે કામ કર્યું હતું.
ગાંગુલીને કોઇ પ્રકારનો અફસોસ નથી
દાદાએ કહ્યું, ‘હું તમને મારા વિશે એક વાત કહું. મને મારા જીવનમાં ક્યારેય કોઈ વાતનો અફસોસ નથી થયો. ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ પછી હું નિવૃત્ત થયો, તો હું મારી ટોચ પર હતો. હું તમને જણાવવા માંગુ છું કે 2007ની સીઝનમાં જ્યારે મને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે મેં લગભગ 1250 રન બનાવ્યા હતા. મેં તે વર્ષે 50 ઓવરની ક્રિકેટમાં 12 અડધી સદી ફટકારી હતી.
ડ્રેસિંગ રૂમ મિસ કરવાને લઇને ગાંગુલીએ કહ્યું, ‘હું ડ્રેસિંગ રૂમ મિસ નથી કરતો. હું ક્યારેય કંઈપણ વસ્તું મિસ નથી કરતો. કંઈપણ કાયમ રહેતું નથી અને દરેક વસ્તુનો અંત હોય છે. મારી અદ્ભુત કારકિર્દી હતી અને તે આગળ વધવાનો સમય હતો. હું ખુશ છું કે મેં મારી કારકિર્દી ટોચ પર પૂરી કરી. મેં જીવનમાં એક વાત શીખી છે કે કોઈ તમારી કારકિર્દી બગાડી શકે નહીં. જો તમારી પાસે આવડત છે. આત્મવિશ્વાસ છે તો નસીબ તમારા હાથમાં છે.