લખીમપુર ખેરી કેસમાં આશિષ મિશ્રાની વધી મુશ્કેલી, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા
3 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસાના કેસમાં અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કર્યો હતો. બન્ને પક્ષની સુનાવણી બાદ, કોર્ટે રિમાન્ડ અંગેનો ચુકાદો સાંજ સુધી મુલતવી રાખ્યો હતો.
Lakhimpur Kheri Case : લખીમપુર ખેરી કેસમાં કોર્ટે આશિષ મિશ્રાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જો કે કોર્ટે કેટલીક શરતો પણ લગાવી છે. જેમાં આશિષ મિશ્રાની મેડિકલ તપાસ (Medical Test) કરવામાં આવશે. તેમજ પૂછપરછ દરમિયાન તેને દબાણ કરવામાં આવશે નહીં અને આ દરમિયાન તેના વકીલ પણ સાથે હાજર રહેશે.
આશિષ મિશ્રાની મુશ્કેલીમાં વધારો
તમને જણાવી દઈએ કે, શનિવારે યુપી પોલીસની વિશેષ તપાસ ટીમે (SIT) આશરે 12 કલાકની પૂછપરછ બાદ શનિવારે લખીમપુર ખેરી હિંસાના કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના(Ajay Mishra) પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી. અત્યારે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યા છે.
પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી
આશિષની પૂછપરછ માટે યુપી પોલીસે કસ્ટડી (Custody) વધારવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પોલીસની અરજી પર સુનાવણી માટે 11 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. અગાઉ આશિષ મિશ્રાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી અને મધ્યરાત્રિ બાદ તેમને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (CJM) ની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ન્યાયિક મેજિસ્ટ્રેટે આશિષને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો.
મંત્રી અજય કુમાર મિશ્રા મીડિયાથી દૂર રહ્યા
બીજી બાજુ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા રવિવારે સાંસદ ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તેમણે મીડિયાથી અંતર રાખ્યું હતુ. તેમણે આ બાબતે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આ ઘટના પર વિપક્ષ આકરા પાણીએ
રવિવારે વિપક્ષી પાર્ટીઓએ લખીમપુરની ઘટનાને (Lakhimpur Incident) લઈને શાસક ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવાની પણ માંગ ઉઠાવી હતી. રવિવારે વારાણસીમાં (Varanasi) એક રેલીમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશ બાબતોના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવાની માગણી કરતા કહ્યું હતું કે, “અમે ડરનારા લોકો નથી, અમે કોંગ્રેસના (Congress) લોકો જે ગાંધીમાં વિશ્વાસ રાખે છે, તમે અમને જેલમાં પુરી દેશો,તો પણ અમે પાછા નહીં હટીએ.”
આ પણ વાંચો : બંધના એલાનની મુંબઈમાં પણ અસર, પથ્થરમારાની ઘટના બાદ BEST સેવા બંધ કરવાની પડી ફરજ