રાજસ્થાનથી સોનિયા ગાંધી, ગુજરાતથી જે પી નડ્ડા રાજ્યસભા માટે બિનહરીફ વિજેતા, જાણો બીજા કોણ કોણ બન્યા રાજ્યસભાના સાંસદ ?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આજે મંગળવારે રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. લોકસભામાં 6 ટર્મ પૂર્ણ કર્યા બાદ સોનિયા ગાંધીનો ઉપલા ગૃહમાં આ તેમનો પ્રથમ કાર્યકાળ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આજે મંગળવારે રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા માટે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. લોકસભામાં 6 ટર્મ પૂર્ણ કર્યા બાદ સોનિયા ગાંધીનો ઉપલા ગૃહમાં આ તેમનો પ્રથમ કાર્યકાળ છે. સોનિયા ગાંધી ઉપરાંત રાજસ્થાનથી ભાજપના ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ ગત 15 ફેબ્રુઆરીએ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, આજે સત્તાવાર રીતે રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. લોકસભામાં છ ટર્મ પૂર્ણ કર્યા બાદ સોનિયા ગાંધી પ્રથમવાર રાજ્યસભાના સાંસદ તરીકે સંસદમાં બિરાજશે.
ગુજરાતથી કોણ ? 2027 સુધી તમામ બેઠકો ભાજપના પક્ષે જશે
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા પણ આજે વિધિવત્ત રીતે રાજ્યસભા માટે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ગુજરાતમાંથી જે પી નડ્ડાની સાથે અન્ય ત્રણ ઉમેદવારો, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, ડોકટર જસવંતસિંહ પરમાર અને મયંક નાયક પણ રાજ્યસભા માટે બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
ગુજરાતમાંથી રાજ્યસભા માટેના ચાર ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા બાદ, હવે ગુજરાતમાંથી રાજ્યસભાની કુલ 11 બેઠકોમાંથી એક જ બેઠક કોંગ્રેસ પાસે રહી છે. ગુજરાતમાં 2027 સુધી રાજ્યસભાની જેટલી પણ ચૂંટણી આવશે એ તમામ ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવારો વિજયી જાહેર થશે. 2022માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા અલ્પ હોવાથી, રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે જરૂરી સંખ્યાબળ કોંગ્રેસ પાસે નથી. તેથી 2027 સુધી ગુજરાતની રાજ્યસભા માટે ખાલી પડનારી તમામે તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થશે.
બિહારમાં રાજ્યસભાના તમામ 6 ઉમેદવારો બિનહરીફ વિજયી
બિહારના તમામ 6 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. બિહારમાંથી રાજ્યસભા માટે ભાજપના બે, આરજેડીના બે, જેડીયુમાંથી એક અને કોંગ્રેસમાંથી એક ઉમેદવાર મેદાનમાં હતા. રાજ્યસભા માટે તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. ભીમ સિંહ અને ધરમશીલા ગુપ્તાએ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે જેડીયુ તરફથી સંજય ઝાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય જનતા દળ તરફથી મનોજ ઝા અને સંજય યાદવ અને કોંગ્રેસ તરફથી અખિલેશ પ્રસાદ સિંહે ઉમેદવારી નોંધાવી હતી. આ બધા ઉમેદવારો આજે બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
મધ્ય પ્રદેશમાંથી કોણ?
મધ્યપ્રદેશમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ભાજપના એલ મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા, બંશીલાલ ગુર્જરનું નામ સામેલ છે. સાથે જ કોંગ્રેસના અશોક સિંહને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.