MP: ‘ભારત જોડો યાત્રા’માં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા! કોંગ્રેસના આઈટી ચીફ પર FIR
મધ્યપ્રદેશમાં 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra)દરમિયાન 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવા બદલ મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પીયૂષ બાબેલે અને આઈટી ચીફ અભય તિવારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા‘ દરમિયાન કથિત રીતે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવવા અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર તે નારા ફેલાવવા બદલ મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પીયૂષ બબેલે અને આઈટી વડા અભય તિવારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસ ભાજપના નેતાઓની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. ભાજપના નેતાઓએ રવિવારે ભોપાલના એમપી નગર સ્થિત ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ કરી હતી.
પાર્ટીના પ્રદેશ પ્રવક્તા પંકજ ચતુર્વેદી અને રાજ્યના સહ-મીડિયા પ્રભારી નરેન્દ્ર શિવાજી પટેલ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કમલનાથ સહિત સમગ્ર કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્ર વિરોધી સંગઠનનું આયોજન કર્યું છે. ‘ભારત જોડો યાત્રા’ની આડમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ આચરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે દેશની શાંતિને ખલેલ પહોંચાડવા માટે યાત્રા દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે.
ભાજપે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા
ફરિયાદમાં જણાવાયું છે કે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે યાત્રાનો હેતુ માત્ર લોકપ્રિયતા મેળવવા માટે દેશને એક કરવાનો હતો, જ્યારે ભારત જોડો યાત્રાનો કથિત ઉદ્દેશ્ય એક મોટું ગુનાહિત કાવતરું હતું. ભાજપના નેતાઓની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત જોડો યાત્રાનો વાસ્તવિક હેતુ મધ્ય પ્રદેશના ખંડવામાં યાત્રા દરમિયાન સામે આવ્યો, જ્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા.”
આ વીડિયો MP કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.
ભાજપના નેતાઓએ પોલીસને આપેલી તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે યાત્રા મધ્ય પ્રદેશના ખંડવાના ધનગાંવ ગામમાં પહોંચી ત્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ પોતે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો અને 25 નવેમ્બરના રોજ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ મધ્યપ્રદેશના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યો અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પીયૂષ બબેલેએ પણ આ ઘટનાનો વીડિયો વોટ્સએપ ગ્રુપમાં અને પત્રકારોને મોકલ્યો હતો જો કે ટ્વિટરને બાદમા હટાવી દીધુ હતું.
રાહુલ-પ્રિયંકા પર પણ કાર્યવાહીની માંગ
ભાજપના નેતાઓની ફરિયાદ પર ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પીયૂષ બબેલે અને આઈટી વડા અભય તિવારી વિરુદ્ધ આઈપીસી કલમ 153-બી, 504, 505(1), 505(2), 120-બી વગેરે હેઠળ કેસ નોંધ્યો છે. . ફરિયાદમાં ભાજપે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કમલનાથ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.
ભાજપ યાત્રાને બદનામ કરી રહી છે – કોંગ્રેસ
બીજી તરફ, કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભારત જોડો યાત્રાના સંબંધમાં બીજેપીના આઈટી સેલ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં અત્યંત સફળ યાત્રાને બદનામ કરવા માટે છેડછાડ કરવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું કે અમે ભાજપની આવી જઘન્ય યુક્તિઓ માટે તૈયાર છીએ અને તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે.