Breaking News: મણિપુર ફરી ‘ધ્રૂજ્યું’! આસામ રાઇફલ્સના જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ, 2 જવાનના મોત બાદ સમગ્ર વિસ્તાર કરાયો ‘સીલ’
મણિપુરના ઉખરુલ જિલ્લામાંથી હિંસાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં આસામ રાઇફલ્સના બે બહાદુર જવાનો શહીદ થયા છે અને અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મણિપુરના ઉખરુલ જિલ્લામાં ઉગ્રવાદીઓના હુમલામાં આસામ રાઇફલ્સના બે જવાનો શહીદ થયા છે, જ્યારે કેટલાક જવાનો ઘાયલ થયા છે. આ માહિતી પીટીઆઈ (PTI) ન્યૂઝ એજન્સીના હવાલાથી અહેવાલમાં આપવામાં આવી છે.
મણિપુરના રાજ્યપાલે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને હુમલાની સખત નિંદા કરી છે. હુમલા બાદ ઘટનાસ્થળે ભારે સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. અહીં આર્મી દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવી શકે છે.
આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા
રાજ્યપાલ ભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મણિપુરના રાજ્યપાલ આજે ઉખરુલમાં થયેલા હુમલામાં આસામ રાઇફલ્સના બે બહાદુર જવાનોના દુઃખદ અવસાનથી અત્યંત વ્યથિત છે. રાજ્યપાલ હિંસાના આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરે છે. આપણા સમાજમાં આવા હુમલાઓ માટે કોઈ સ્થાન નથી. આ પ્રકારની ઘટનાઓ શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડી શકે નહીં.’
⚡️Two Assam Rifles personnel martyred in an ambush near Nungshangkong village, Ukhrul district, Manipur.
Further details are awaited pic.twitter.com/4dgo9WOdAW
— War Flash (@WarFlash_2630) July 6, 2026
રાજ્યપાલ કાર્યાલય તરફથી જણાવાયું છે કે, રાજ્યપાલ પીડિત પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે આ દુઃખની ઘડીમાં તેમને હિંમત અને સાહસ મળે. તેઓ આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની શક્તિ, સહનશક્તિ અને ઝડપથી સાજા થવા માટે પણ પ્રાર્થના કરે છે.
આસામ રાઇફલ્સ અને સ્થાનિક લોકો વચ્ચે કેમ વિવાદ ચાલી રહ્યો છે?
આસામ રાઇફલ્સના બે જવાનોના મોતની આ ઘટના એવા સમયે બની છે, જ્યારે થોડા અઠવાડિયા પહેલા જ મણિપુરના આ જ જિલ્લામાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે હિંસક અથડામણ જોવા મળી હતી. આ અથડામણમાં અંદાજે ચાર સામાન્ય નાગરિકો ઘાયલ થયા હતા. વિવાદનું મુખ્ય કારણ એ હતું કે, આ વિસ્તારમાં આસામ રાઇફલ્સની એક ચોકી બનાવવાની હિલચાલ ચાલી રહી હતી.
ગ્રામજનોએ લગાવ્યો ‘આરોપ’
ગ્રામજનોનો આરોપ છે કે, લંબુઈ ગામમાં તૈનાત આસામ રાઇફલ્સના આશરે 40 જવાનોએ સ્થાનિક સત્તાવાળાઓ સાથે કોઈ પણ જાતની ચર્ચા-વિચારણા કર્યા વિના ‘ન્યૂ હેવન’ માં એક ચોકી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતનો વિરોધ વિસ્તારની મહિલાઓ અને વિદ્યાર્થી સંગઠનો સહિત સ્થાનિક રહીશોએ કર્યો હતો.
આ દરમિયાન ઉગ્ર વિરોધ પ્રદર્શનો પણ જોવા મળ્યા હતા. આસામ રાઇફલ્સના જવાનોએ વિરોધને ડામવા લાઠીચાર્જ કર્યો હતો અને હવામાં કેટલાય રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો, જેમાં ચાર નાગરિકો ઘાયલ થયા હતા.
