Breaking News : સુનામીનો ખતરો.. જાપાનમાં 7.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભયાનક ભૂકંપ
જાપાનના ક્યુશુ ટાપુ પર 28 જુલાઈએ 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કુમામોટો નજીક સમુદ્રમાં હતું. આ આંચકાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો.

મંગળવારે (28 જુલાઈ) જાપાનના ક્યુશુ ટાપુ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર કુમામોટો વિસ્તાર નજીક સમુદ્રની અંદર લગભગ 10 કિલોમીટર ઊંડાઈએ હોવાનું જાપાન હવામાન એજન્સી (JMA)એ જણાવ્યું છે. ભૂકંપ બાદ સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
JMAના જણાવ્યા મુજબ, ભૂકંપ બાદ લગભગ 1 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે. આથી દરિયાકાંઠા નજીક રહેતા લોકોને તાત્કાલિક સતર્ક રહેવા અને સમુદ્રથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ લોકોને ઊંચા વિસ્તારોમાં સ્થળાંતર કરવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
ભૂકંપનું કેન્દ્ર જાપાનની રાજધાની ટોક્યોથી અંદાજે 900 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલા કુમામોટો વિસ્તારમાં નોંધાયું હતું. ભૂકંપના આંચકા ક્યુશુ ટાપુના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા, જેના કારણે લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી આવ્યા હતા.
યુએસ પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક દરિયાકાંઠા સિવાય અન્ય દેશો અથવા દૂરના વિસ્તારો માટે સુનામીનો કોઈ ખતરો નથી. તેમ છતાં સ્થાનિક સ્તરે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ વિસ્તારો માટે ચેતવણી જાહેર
જાપાન સરકારે કુમામોટો ઉપરાંત નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇટા અને મિયાઝાકી પ્રીફેક્ચર્સ માટે કટોકટીની ચેતવણી જાહેર કરી છે. તમામ સંબંધિત એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હાલ સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા પાયે મિલકતના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
જાપાનની સરકારી ન્યૂઝ ચેનલ NHKના અહેવાલ મુજબ, ભૂકંપના આંચકા લગભગ એક મિનિટ સુધી અનુભવાયા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
અગાઉ પણ આવ્યો હતો શક્તિશાળી ભૂકંપ
આ પહેલા 25 જૂને ઉત્તર જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સદનસીબે તે ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી. જાપાન દુનિયાના સૌથી વધુ ભૂકંપપ્રવણ દેશોમાંનો એક છે અને તે પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવેલું છે.
ભૂસ્તરીય પ્લેટોની સતત હિલચાલને કારણે જાપાનમાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દેશમાં સરેરાશ દર પાંચ મિનિટે કોઈને કોઈ તીવ્રતાનો ભૂકંપ નોંધાય છે. વિશ્વમાં 6.0 કે તેથી વધુ તીવ્રતાના લગભગ 20 ટકા ભૂકંપ જાપાન અને તેની આસપાસના વિસ્તારમાં અનુભવાય છે.
અમદાવાદ NIA કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની જેલ
