Cyclone Alert: 3 દિવસ બાદ ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે અસાની નામનું વાવાઝોડું, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ડીપ ડીપ્રેશન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને દક્ષિણમાં આંદામાન સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર શનિવાર સુધીમાં દબાણના ક્ષેત્રમાં ફેરવાય તેવી શક્યતા છે.
દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું ડીપ ડીપ્રેશનનું ક્ષેત્ર વાવાઝોડામાં (Cyclone) પરિવર્તિત થઇ આવતા સપ્તાહની શરૂઆતમાં આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ડીપ ડીપ્રેશન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર શનિવાર સુધીમાં દબાણના ક્ષેત્રમાં ફેરવાય તેવી શક્યતા છે. રવિવાર સાંજ સુધીમાં તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. હવામાન કચેરીએ વાવાઝોડાને જોતા આવતા સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની (Heavy Rain) ચેતવણી પણ આપી છે.
ઓડિશા સરકાર અનુસાર, હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર સર્વિસીસને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ ઉનાળામાં આ પ્રદેશે ચક્રવાતી તોફાનોનો અનુભવ કર્યો હતો. ઓડિશામાં 2021માં યાસ, 2020માં અમ્ફાન અને 2019માં ફાની વાવાઝોડુ આવ્યુ હતુ. ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે લો પ્રેશર એરિયા ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ગતિ બનાવી રહ્યુ છે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. તે 10 મે સુધીમાં દરિયાકાંઠે પહોંચી શકે છે.
NDRFની 17 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમો તહેનાત
ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, ”અમે હજુ સુધી અનુમાન નથી કર્યું કે તે ક્યાં દસ્તક આપશે. અમે પવનની સંભવિત ગતિનો પણ ઉલ્લેખ કર્યો નથી.” ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પી.કે. જેનાએ જણાવ્યું હતું કે, “અમે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), ODRAF (ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ)ની 17 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને બોલાવી છે.”
આ ઉપરાંત NDRF સત્તાવાળાઓ તરફથી કોઈપણ કટોકટી માટે વધુ 10 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે જગતસિંહપુર, ગંજમ અને ખોરધા જિલ્લાઓ ભારે વરસાદથી પ્રભાવિત થશે જ્યારે ઓડિશાના દરિયાકાંઠાના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.
માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પી.કે. જેનાએ કહ્યું કે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડને દરિયામાં માછીમારોની હિલચાલ પર નજર રાખવા માટે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. મહાપાત્રાએ કહ્યું, ‘આઈએમડી ચક્રવાત, તેના પવનની ગતિ, દસ્તકની જગ્યા વિશે 7 મેના રોજ દબાણનો વિસ્તાર બન્યા પછી જ માહિતી આપી શકે છે.
9 મેથી દરિયામાં ઉછળતા ઉંચા મોજાને કારણે માછીમારોએ ત્યાં ન જવું જોઈએ. અમારું અનુમાન છે કે ચક્રવાતી તોફાન દરમિયાન પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. જેનાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે અને તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.