Breaking News: રૂપિયાની અસ્થિરતા અને વિદેશી રોકાણ અંગે RBIએ આપ્યું મોટું અપડેટ, શું હવે ભારતમાં વધુ મૂડી આવશે? જાણો વિગતો
રૂપિયાની ઘટતી કિંમત અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે RBIએ સ્પષ્ટ કર્યું છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને વિદેશી રોકાણ માટે દેશ વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે.

ભારતીય રૂપિયાની સામે ડોલરની મજબૂતીને કારણે તાજેતરમાં રૂપિયાની સ્તિથિ થોડી કમજોર દર્શાવી રહી છે. પરંતુ આ સ્થિતિ લાંબા ગાળે ચિંતાજનક નથી એવી ખાતરી ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી આપવામાં આવી છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં ઊભી થયેલી પરિસ્થિતિઓના કારણે બજારમાં થોડી અસ્થિરતા જોવા મળી રહી છે.
બુધવારે ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો અંદાજે 24 પૈસા નબળો નોંધાયો હતો. ઈરાન ઈઝરાયેલ US ના વધતા તણાવ બાદથી રૂપિયા અને ભારતમાં થતા વિદેશી રોકાણ બંને ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને RBIએ મહત્વપૂર્ણ માહિતી આપી છે.
રૂપિયા અને વિદેશી રોકાણ પર RBI સતત નજર રાખી રહ્યું છે
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે દેશમાં આવતું અને જતું વિદેશી રોકાણ તેમજ રૂપિયાની કિંમતમાં થતી ઉઠાલપાથલ સામાન્ય અને તાત્કાલિક સ્વરૂપની હોય છે. સમય જતા આવી પરિસ્થિતિ સ્થિર થઈ જાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ તમામ આર્થિક ફેરફારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ વાત તેમણે ન્યૂયોર્કમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસ દ્વારા આયોજિત એક બેઠક દરમિયાન કરી હતી, જેમાં વિશ્વભરના મોટા રોકાણકારો અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગવર્નરે જણાવ્યું કે ભારત સરકાર અને RBI મળીને નિયમો સરળ બનાવી રહ્યા છે, જેથી દેશમાં વ્યવસાય કરવો વધુ સરળ બને અને વધુને વધુ વિદેશી રોકાણકારો ભારત તરફ આકર્ષાય. સાથે જ, ભારતીય બજારોને વૈશ્વિક બજારો સાથે વધુ મજબૂતીથી જોડવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે.
ભારતની અર્થવ્યવસ્થા હાલમાં મજબૂત સ્થિતિમાં છે
RBIના અધિકારી ડિંપલ ભાંડિયાએ પ્રસ્તુતિ આપતાં જણાવ્યું કે દેશની આર્થિક સ્થિતિ સ્થિર અને મજબૂત છે. દેશમાં મોંઘવારી નિયંત્રણમાં છે, બેંકિંગ સિસ્ટમ સુદ્રઢ છે અને નીતિઓ લાંબા ગાળે સ્થિરતા લાવે તેવી છે. તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે અને નજીકના ભવિષ્યમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
હાલમાં ભારતની GDP
અહેવાલ મુજબ, ભારતનો ચલણી ખાતાનો ખાધ GDP (કરંટ એકાઉન્ટ ડેફિસિટ) ના આશરે 1.1 ટકા જેટલો છે, જે નિયંત્રણ હેઠળ માનવામાં આવે છે. ઉપરાંત, દેશ પાસે લગભગ 700 અબજ ડોલર જેટલો મજબૂત વિદેશી મુદ્રા ભંડાર ઉપલબ્ધ છે, જે આર્થિક સ્થિરતાનું મહત્વપૂર્ણ સંકેત આપે છે.
RBIનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે થતી અસ્થિરતા છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. આ કારણે ભારત રોકાણ માટે વિશ્વસનીય અને આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે.
