Breaking News : TMCમાં ભાગલા નક્કી ! પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે TMCના 12 સાંસદ, મમતા સાથે ખેલા કરવાના મૂડમાં
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના મમતા બેનર્જીની સત્તા જતા રહ્યાં બાદ, હવે 12 સાંસદો મમતા બેનર્જી સાથે ખેલા કરવાના મૂડમાં આવ્યા છે. આ સાંસદો ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો ચાલી રહી છે. જો ટીએમસીના 12 સાંસદો ભાજપમાં જોડાઈ જશે તો રાષ્ટ્રીયસ્તરે મમતા બેનર્જીને રાજકીય રીતે મોટો ધક્કો પહોંચશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ ઘેરો બન્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, લોકસભામાં તૃણમૂલના કેટલાક સાંસદો ભાજપ સાથે સીધા સંપર્કમાં છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ 12 સાંસદોનુ જૂથ ટૂંક સમયમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં તૃણમૂલના કુલ 29 સાંસદોમાંથી, લગભગ 12 સાંસદોએ ભાજપમાં જોડાવા અથવા તેમને ટેકો આપવા માટે યોજનાઓ બનાવી લીધી છે. વધુમાં, અન્ય પાંચ કે છ સાંસદો સાથે ચર્ચા ચાલી રહી હોવાના રાજકીય વર્તુળોમાં અહેવાલ ચર્ચાઈ રહ્યો છે.
પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા 20 સાંસદનું સમર્થન જરૂરી
ટીએમસીના આ સાંસદોને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાય તો પક્ષપલટા વિરોધી કાયદાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. આથી એક એવા અહેવાલ સામે આવ્યા છે કે, પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈઓને ટાળવા માટે ઓછામાં ઓછા ટીએમસીના 19 થી 20 સાંસદોને એકસાથે લાવવાની રણનીતિ ઘડાઈ રહી છે. આથી જ જે 12 સાંસદો ભાજપમાં જોડાઈ જવા ઉત્સુક છે તેઓ જ બીજા સાંસદોને ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ જવા સમજાવી રહ્યાં છે. જો એક તબક્કે પક્ષપલટો કરનારા સાંસદોની સંખ્યા ઓછી હશે તો તેઓ હાલમાં નહીં, પરતુ લોકસભાની ચૂંટણી ટાણે ટીએમસીમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ જશે.
રાજકીય સૂત્રોનો દાવો છે કે તૃણમૂલ નેતૃત્વને આ સંભવિત વિભાજનનો ખ્યાલ આવી ગયો છે, અને પક્ષને એક રાખવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી વાત અનુસાર, આ જૂથમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીના નજીકના વિશ્વાસુ ગણાતા ઘણા સાંસદોનો સમાવેશ થાય છે. એક અહેવાલ એવા પણ છે કે, મમતા બેનર્જીના ભત્રીજા અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પણ પક્ષપલટો કરવાના મૂડમાં છે. જો કે, આ વાતને હજુ સુધી સમર્થન મળ્યું નથી. જો આમ શક્ય થશે તો, આ પોલીટીકલી ડેવલપમેન્ટને ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
રાજ્યસભામાં તૃણમૂલ સાંસદો પર ભાજપની નજર
હાલમાં, ભાજપ લોકસભામાં 240 બેઠકો ધરાવે છે, અને સરકાર તેના ગઠબંધન ભાગીદારોના સમર્થનથી કાર્યરત છે. પરિણામે, જો મોટી સંખ્યામાં તૃણમૂલ સાંસદો ભાજપ સાથે જોડાણ કરે છે, તો પક્ષની સંસદીય શક્તિ નોંધપાત્ર રીતે વધશે, જેનાથી તેના સાથી પક્ષો પર તેની નિર્ભરતા ઓછી થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી, ભાજપે હવે રાજ્યસભામાં તૃણમૂલ સાંસદો પર પણ નજર રાખી છે. I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) ની ભૂમિકા અને સંગઠનાત્મક શૈલી અંગે તૃણમૂલ કોંગ્રેસમાં અસંતોષ વધી રહ્યો હોવાની પણ ચર્ચા છે. જો કે, આમાંથી કોઈ પણ દાવાને હજુ સુધી કોઈપણ પક્ષ તરફથી સત્તાવાર પુષ્ટિ મળી નથી. આ તમામ વાતો હાલ તો જો અને તો ના અહેવાલથી સામે આવી રહી છે.