ભારે વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન પડી ભાંગી, જાણો શુ છે રેલવે સેવાની વર્તમાન સ્થિતિ ?
Mumbai Local Railway Service : મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી મુંબઈ લોકલ ટ્રેન સેવા ભારે વરસાદને કારણે ખોરવાઈ ગઈ છે. તો બીજી બાજુ લાંબા અંતરની ઘણી ટ્રેન વિવિધ સ્થળોએ અટવાયેલી જોવા મળે છે.
Mumbai Rains : ગઈકાલ રવિવાર રાતથી મુંબઈમાં શરૂ થયેલા એકધારા વરસાદને કારણે, મુંબઈમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે. મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી મુંબઈ લોકલ ટ્રેન સેવા પણ ભારે વરસાદને કારણે ખોરવાઈ ગઈ છે. મુંબઈના કુર્લા અને વિદ્યાવિહાર વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે સેન્ટ્રલ રેલવેનો ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે. બીજી તરફ હાર્બર રેલવે સેવા પણ સાવ ખોરવાઈ ગયો છે. મુંબઈમાં વરસેલા વરસાદને કારણે લાંબા અંતરની અનેક ટ્રેનોને પણ અસર થવા પામી છે.
મુંબઈમાં હાલ રેલ સેવાની પરિસ્થિતિ શું છે?
મુંબઈની પશ્ચિમ રેલ્વે પરનો ટ્રાફિક તેના નિયત સમય અનુસાર ચાલી રહ્યો છે. ચર્ચગેટથી વિરાર રૂટ પરની લોકલ 10થી 15 મિનિટ મોડી દોડી રહી છે. જ્યારે હાર્બર રૂટ પર ગોરેગાંવ જતી લોકલ માહિમથી ગોરેગાંવ સુધી ચાલુ રહે છે.
આ દરમિયાન મધ્ય રેલવેના સાયન, કુર્લા, ભાંડુપ, ચુનાભટ્ટી, વિક્રોલી, દાદરમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ડાઉન અને અપ રૂટ પરની લોકલ ટ્રેન ધીમી ગતિએ ચાલી રહ્યો છે. સીએસએમટીથી થાણે સુધી લોકલ સેવા ઝડપથી ચાલી રહી છે.
જ્યારે હાર્બર લાઇન પર વાહન વ્યવહાર ખોરવાયો જવા પામ્યો છે. વાશીથી સીએસએમટી સુધીની લોકલ ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ પનવેલથી વાશી રૂટ ઉપરની ટ્રેન સેવાની કામગીરી ચાલી રહી છે. ઘણા પ્રવાસીઓ મુંબઈ જવા માટે જે વાહન મળે તેમાં જવા માટે રસ્તા પર ઉભા જોવા મળે છે. નવી મુંબઈ ટ્રાન્સપોર્ટની બસ દ્વારા મુંબઈ જવા માટે ઘણા બસ સ્ટોપ પર પણ લાંબી કતારો જોવા મળે છે.
પુણેથી મુંબઈ જતી 3 એક્સપ્રેસ રદ
મુંબઈ ઉપનગરોમાં ભારે વરસાદને કારણે પુણે-મુંબઈ ટ્રેન સેવા સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે જેના કારણે આ રૂટ પરની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. સિંહગઢ એક્સપ્રેસ, ડેક્કન એક્સપ્રેસ અને પ્રગતિ એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. આ સાથે, ડેક્કન ક્વીન, સીએસએમટીથી પુણે જતી ઇન્ટરસિટી એક્સપ્રેસને આજે રદ કરવામાં આવી છે. મુંબઈ ઉપનગરોમાં ભારે વરસાદને કારણે મનમાડ-મુંબઈ પંચવટી એક્સપ્રેસને પણ રદ કરી દેવામાં આવી છે.
કોલ્હાપુરથી મુંબઈ આવી રહેલી એક્સપ્રેસ અંબરનાથમાં અઢી કલાકથી અટવાઈ પડી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. મુંબઈમાં રેલવે સેવા ખોરવાઈ ગઈ હોવાથી એક્સપ્રેસ અંબરનાથમાં ઉભી રાખવામાં આવી હોવાનું જોવા મળે છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણા મુસાફરો ટ્રેનમાંથી ઉતરી જઈને રેલવે ટ્રેક પર ચાલીને નજીકમાંથી રીક્ષા કે જે પણ પણ વાહન મળે તેના દ્વારા ઘરે જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લાંબા અંતરની ટ્રેનો અટવાઈ ગઈ હતી
મુંબઈ તરફ આવતી ઘણી લાંબા અંતરની ટ્રેનો પણ વિવિધ સ્થળોએ અટવાઈ પડેલી જોવા મળે છે. આમાંથી કેટલીક એક્સપ્રેસ ટ્રેનો કલ્યાણ, વિઠ્ઠલવાડી, ઉલ્હાસનગર, અંબરનાથ સ્ટેશનો વચ્ચે ફસાઈ ગઈ છે. જ્યાં સુધી સેન્ટ્ર્લ રેલવે પરનો ફાસ્ટ ટ્રેક રેલ વ્યવહાર માટે શરૂ નહીં થાય ત્યાં સુધી આ વિવિધ સ્ટેશને અટવાયેલી ટ્રેનો શરૂ થવાની શક્યતા નથી.