બે વર્ષ જુના મામલે અક્ષય કુમાર, સલમાન ખાન સહિત 38 કલાકાર સામે કેસ દાખલ, તાત્કાલિક ધરપકડ કરવાની માંગ
અક્ષય કુમાર, સલમાન ખાન, અજય દેવગન, રકુલપ્રીત સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ હૈદરાબાદમાં બનેલી ઘટના સંદર્ભે આ કલાકારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. દિલ્હીની સબ્જી મંડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
અક્ષય કુમાર (Akshay Kumar), સલમાન ખાન (Salman Khan), અજય દેવગન (Ajay Devgan), રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આવા 38 મોટા કલાકાર સામે કેસ નોંધવામાં આવ્યો છે. બે વર્ષ જુના કેસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીએ હૈદરાબાદમાં બનેલી ઘટના સંદર્ભે આ કલાકારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.
દિલ્હીના સબ્જી મંડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જે કલાકારો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમાં બોલીવુડ કલાકારો સિવાય દક્ષિણ ભારતીય ફિલ્મોના કલાકારો પણ છે.
બે વર્ષ પહેલા એટલે કે 2019 માં હૈદરાબાદમાં બનેલી એક ઘટનાથી આખો દેશ હચમચી ગયો હતો. આ ઘટનામાં એક છોકરી પર ચાર નરાધમોએ બળાત્કાર કર્યો હતો. આ પછી તે નિર્દય લોકોએ છોકરીને જીવતી સળગાવી હતી. દેશભરમાં તેની સામે લોકોનો ગુસ્સો ઉતર્યો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પ્રદર્શન કર્યું હતું.
પીડિતાને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયા પર ઘણા મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા હતા. દરમિયાન, ઘણા બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના કલાકારોએ પણ પીડિતાને ન્યાય મળે તે માટે પોસ્ટ કરી હતી અને દુખ વ્યક્ત કર્યું હતું. અહીં તેઓએ મોટી ભૂલ કરી. હવે તેની સામે આ જ ભૂલ માટે કેસ નોંધવામાં આવ્યો છે.
લાગણીઓ મહત્વની છે, સાથે સમજણ શક્તિ પણ જરૂરી છે
તેમની પોસ્ટમાં આ કલાકારોએ પિડિતાનું નામ લઈને તેની ઓળખ સાર્વજનિક કરી દીધી હતી. આ બાબતે આ 38 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાય પ્રણાલી અનુસાર, કોઈપણ બળાત્કાર પીડિતા વ્યક્તિનું નામ, ફોટો અથવા ઓળખ જાહેર કરવી એ સજાપાત્ર ગુનો છે.દિલ્હી સ્થિત વકીલ ગૌરવ ગુલાટીએ આ કલાકારો સામે આ કેસ દાખલ કર્યો છે.
એડવોકેટ ગૌરવ ગુલાટી કહે છે કે આ કલાકારોએ અન્ય લોકો માટે રોલ મોડેલ બનવાને બદલે નિયમોનું ઉલ્લંઘન કરીને સમાજમાં ખોટો દાખલો બેસાડ્યો છે. તેણે પોતાની પોસ્ટમાં પીડિતાની ઓળખ સાર્વજનિક કરી છે. તેથી, આ કેસમાં, આ તમામ કલાકારોની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.