Breaking News : યુદ્ધ વિરામની વાતો કરતા પાકિસ્તાનના શાહબાઝ શરીફની પોલ ખોલતુ અમેરિકા-ઈઝરાયેલ, જાણો ઈનસાઈડ સ્ટોરી
ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ગત 28 ફેબ્રુઆરી 2026થી શરુ થયેલ યુદ્ધમાં 8 એપ્રિલના રોજ વિરામ જાહેર કરવામાં આવ્યો. આ વિરામ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે થયો છે. ઈઝરાયેલ મનેકમને યુદ્ધ વિરામ માટે રાજી થયું છે. જો કે યુદ્ધ વિરામ કરાવવાની વાત કરનાર પાકિસ્તાન કેટલુ સાચુ અને કેટલું જુઠ્ઠુ એ તો ખુદ અમેરિકાએ જ જાહેર કરી નાખ્યું છે. વાસ્તવમાં એવી વાત પ્રસરી છે કે, વિશ્વમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા માટે આટલા બધા શક્તિશાળી અને વગદાર દેશો હોવા છતા પાકિસ્તાનના જ માથે કેમ યુદ્ધ વિરામનો શહેરો બાંધવામાં આવ્યો ?

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા એવુ ગંભીર રીતે ભેરવાઈ ગયું કે, ગુજરાતીમાં કહેવાત છે ને કે મા મને કોઠીમાંથી કાઢ, એના જેવો ઘાટ થયો હતો. એક તરફ અમેરિકા ઈરાન પર હવાઈ હુમલાઓ કરતું હતું. જ્યારે બીજી બાજુ આ યુદ્ધમાંથી હેમખેમ બહાર નીકળવાનો માર્ગ શોધતું હતું. આના માટે જગત જમાદારે, નાટોને પણ વિનતી કરી જોઈ. નાટોના સભ્ય દેશને પણ હોર્મુઝ સ્ટ્રેટ માટે આગળ આવવા જણાવ્યું પરંતુ બધેથી અમેરિકાને જાકારો મળી રહ્યો હતો. ના તો નાટો વચ્ચે આવ્યું કે ના તો નાટો દેશ હોર્મુઝ સ્ટ્રેટ માટે આગળ આવ્યા. આવા સંજોગોમાં પોતાની આબરુ અને વિશ્વ મહાસત્તાનુ બિરુદ ટકાવી રાખવા ટ્રમ્પે હવાતીયા મારવા લાગ્યા.
ઈરાન સાથેના યુદ્ધના 38-39 દિવસ વિતવા છતા અમેરિકા સલામત રીતે યુદ્ધમાંથી પોતાને બચાવી શક્યું નહોતું. રોજબરોજ અમેરિકાને કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું હતું. અમેરિકામાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વિરોધ વધતો રહ્યો. વિપક્ષ ટ્રમ્પને પદભ્રષ્ટ કરવા માટેની પેરવી કરતા રહ્યાં. આવા સંજોગોમાં ટ્રમ્પને હાથવગુ પ્યાદુ પાકિસ્તાન યાદ આવ્યું. એક રાતમાં આખી સભ્યતા ખતમ કરી નાખવાની વાત કરીને દુનિયાભરને અચંબા સાથે શું કરાશે અને શું થશે તેવા સવાલ વચ્ચે છોડીને ટ્રમ્પ, માનભેરની શરણાગતી સ્વીકારવા મથી રહ્યાં હતા. આથી જ તેમણે પાકિસ્તાનને ઈરાન સાથે વાત કરવા અને યુદ્ધ વિરામ માટે મનાવવાનુ ફરમાન કર્યું.
પાકિસ્તાન માટે માઈબાપ એવા જગત જમાદારના આદેશને માથે ચડાવ્યા વિના કોઈ જ છુટકો નહોતો. આથી રાતોરાત ઈરાન સાથે વાત કરી અને યેનકેન પ્રકારે યુદ્ધ વિરામ માટેનો સંદેશ પહોચાડ્યો. ઈરાને પોતાની શરતે રાજી થવાનું કહ્યું જે, મને કમને મંજૂર રાખીને યુદ્ધમાંથી હેમખેમ બહાર નીકળવા મથતા અમેરિકાએ આખરે યુદ્ધ વિરામની વાતનો સ્વીકાર કર્યો અને પોતાની ટગડી ઊંચી રાખવા મથતા પાકિસ્તાનના વડાપ્રધાને એક એવી વાત કરી કે, જેનો અમેરિકા અને ઈઝરાયેલ બન્નેએ વિરોધ કરવા સાથે ખોટી ઠરાવી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એવી જાહેરાત કરી કે, “મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે, ઈરાન અને અમેરિકા – તેમના સંબંધિત સાથી દેશો – લેબનોન અને અન્ય તમામ સ્થળોએ તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
શાહબાઝ શરીફની આ વાતને લઈને યુનાઇટેડ સ્ટેટ્સે સ્પષ્ટતા કરી છે કે ઈરાન સાથે થયેલા યુદ્ધવિરામ કરારમાં લેબનોનનો સમાવેશ થતો નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલ લેબનોનમાં હુમલા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે, જેમણે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો, તેણે કહ્યું કે લેબનોન ખરેખર ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ માટેના કરારનો એક ભાગ હતો. શાહબાઝ શરીફના આ કથનથી સાવ વિરુદ્ધ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, લેબનોન ક્યારેય યુદ્ધ વિરામ માટેના કરારનો કોઈ ભાગ પહેલા પણ નહોતું અને આજે પણ નથી. આ પહેલા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇનકાર કર્યો હતો કે, લેબનોન યુદ્ધ વિરામના કરારનો કોઈ ભાગ નથી.