Breaking News: ઈરાને માંગી ભીખ… 13,000 સૈન્ય ઠેકાણા રાખમાં ફેરવાયા, અમેરિકી રક્ષા મંત્રીએ આને ગણાવ્યું ‘ઐતિહાસિક ઓપરેશન’
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સીઝફાયર (યુદ્ધવિરામ) કરાર બાદ અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્વની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 'ઓપરેશન એપિક ફ્યુરી' દ્વારા ઈરાનની સૈન્ય ક્ષમતાને મોટું નુકસાન પહોંચ્યું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સીઝફાયર બાદ અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથ તેમજ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને પેન્ટાગોનમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન હેગસેથે દાવો કર્યો હતો કે, ‘ઓપરેશન એપિક ફ્યુરી’ એક ઐતિહાસિક સફળતા છે અને ઈરાને સીઝફાયર માટે ભીખ માંગી હતી. ઈરાનની સેનાને સંપૂર્ણપણે પાયમાલ કરી દેવામાં આવી છે અને આગામી ઘણા વર્ષો સુધી તે યુદ્ધ કરવા માટે અસમર્થ બની ગયું છે.
‘ઈરાન પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ સાબિત થયું’
અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે જણાવ્યું હતું કે, 40 દિવસથી પણ ઓછા સમયમાં અમેરિકાની સૈન્ય શક્તિનો માત્ર 10 ટકા ઉપયોગ કરીને દેશે દુનિયાની સૌથી મોટી સેનાઓ પૈકીની એકને તબાહ કરી દીધી છે. તેમણે દાવો કર્યો કે, ઈરાન પોતાનું રક્ષણ કરવામાં અસમર્થ સાબિત થયું છે. હેગસેથે વધુમાં ઉમેર્યું કે, તેહરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત અભિયાને યોજના મુજબ અને નિર્ધારિત સમયમાં દરેક લક્ષ્ય હાંસલ કર્યા છે.
#WATCH | Washington, DC | United States Secretary of War, Pete Hegseth, says, “…President Trump forged this moment. Iran begged for this ceasefire, and we all know it…Operation Epic Fury was a historic and overwhelming victory on the battlefield…Operation Epic Fury… pic.twitter.com/dUSLl6FUvX
— ANI (@ANI) April 8, 2026
‘ઈરાન હવે મિસાઈલ બનાવી શકશે નહીં’
પીટ હેગસેથે કહ્યું, “ઈરાનની નૌકાદળ સમુદ્રના તળિયે પહોંચી ગઈ છે અને તેની પાસે હવે કોઈ હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense) બચી નથી. ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. અમે ઈરાનના સંરક્ષણ ઔદ્યોગિક આધારને ખતમ કરી દીધો છે, જે અમારા મિશનનો મુખ્ય હેતુ હતો. હવે તેઓ મિસાઈલ બનાવી શકશે નહીં.”
‘તેહરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય’
અમેરિકી રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તેહરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય. હેગસેથે જણાવ્યું કે, ઈરાન સરકાર સમજી ગઈ હતી કે તેમની જે હાલત થવાની હતી, તેના કરતા આ કરાર કરવો વધુ સારો રહેશે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા ઈરાનના ઘણા વરિષ્ઠ નેતાઓના નામ પણ ગણાવ્યા હતા. ઈરાની સરકાર પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને સમય પણ પૂરો થઈ રહ્યો હતો, તેથી તેમણે આ સમજૂતી કરી છે.
‘સીઝફાયર એ માત્ર એક વિરામ છે’
અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ સીઝફાયર એ માત્ર એક વિરામ છે. જો આદેશ આપવામાં આવશે તો સેના ફરીથી ઓપરેશન માટે તૈયાર છે. કેને માહિતી આપી હતી કે, સેનાએ ઈરાનમાં 13,000 થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, અમેરિકાએ ઈરાનની 80 ટકા એર ડિફેન્સ સિસ્ટમ, 90 ટકાથી વધુ પરંપરાગત નૌકાદળ અને 90 ટકા હથિયાર ફેક્ટરીઓનો નાશ કર્યો છે.
