Fact Check: શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹12 નો તોતિંગ વધારો થયો છે? વાયરલ નોટિસથી જનતામાં ફફડાટ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹10 થી ₹12 ના વધારાની નોટિસ વાયરલ થતા જનતામાં ફફડાટ. સમાચાર એજન્સીએ આ સમાચારને ફેક ગણાવીને હકીકત સામે લાવી છે. જાણો શું છે સાચું.

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાંક કલાકથી એક મેસેજ વાવાઝોડાની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં દાવો કરાયો છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ સમાચાર વાંચીને સામાન્ય જનતામાં ફફડાટ ફેલાયો હતો. જોકે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI) તાત્કાલિક આ મામલે દરમિયાનગીરી કરીને આ વાયરલ નોટિસનું ખંડન કર્યું છે.
શું હતો એ વાયરલ દાવો?
સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના નામે એક નકલી ઓર્ડર ફરતો કરવામાં આવ્યો હતો. આ મનઘડંત દસ્તાવેજમાં એવો દાવો કરાયો હતો કે:
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 100 ટકા વધ્યા હોવાથી ભાવ વધારો અનિવાર્ય છે.
- પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયા નો વધારો થયો છે.
- ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 12.50 રૂપિયા નો વધારો થયો છે.
FAKE NEWS!
An order circulating on social media claims to be issued by the Ministry of Petroleum and Natural Gas, stating that petrol and diesel prices have been increased by ₹10 and ₹12.50, respectively.#PIBFactCheck:
❌ This order is #FAKE .
✅ The Government of India… pic.twitter.com/tMmJa0Y4qA
— PIB Fact Check (@PIBFactCheck) April 29, 2026
સરકારે અફવાઓ ફગાવી: કોઈ ભાવ વધારો થયો નથી
PIB ફેક્ટ ચેકે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે ભારત સરકાર દ્વારા આવો કોઈ જ આદેશ જારી કરવામાં આવ્યો નથી. વાયરલ થઈ રહેલા દસ્તાવેજો તદ્દન નકલી અને મનઘડંત છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
મુખ્ય શહેરોમાં આજના ભાવ:
- દિલ્હી: પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર.
- મુંબઈ: પેટ્રોલ 103.54 રૂપિયા અને ડીઝલ 90.03 રૂપિયા પ્રતિ લિટર.
- ગુજરાત: પેટ્રોલ 94.44 રૂપિયા અને ડીઝલ 90.11 રૂપિયા પ્રતિ લિટર.
- રાજસ્થાન: પેટ્રોલ 104.88 રૂપિયા અને ડીઝલ 90.36 રૂપિયા પ્રતિ લિટર.
- પશ્ચિમ બંગાળ(કોલકાતા):પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા પ્રતિ લિટર.
- તમિલનાડુ(ચેન્નાઈ):પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લિટર.
નાગરિકો માટે મહત્વની સૂચના
સરકારે લોકોને અપીલ કરી છે કે આવી અસ્પષ્ટ અને ભ્રામક માહિતી શેર કરવાથી બચવું જોઈએ. કોઈ પણ મોટી જાહેરાત માટે માત્ર અને માત્ર સરકારી સ્ત્રોત અથવા સત્તાવાર સમાચાર ચેનલો પર જ ભરોસો કરવો. સોશિયલ મીડિયા પર આવતા એડિટ કરેલા દસ્તાવેજો ગેરમાર્ગે દોરવા માટે બનાવવામાં આવતા હોય છે, જેનાથી સાવધ રહેવું જરૂરી છે.
