AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પે ઈરાન સામે કરેલી સીઝફાયરની ઘોષણા એ વૈશ્વિક શાંતિનો પ્રયાસ કે બજાર બચાવવાનો આર્થિક પેંતરો?- વાંચો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના ઘટનાક્રમ વચ્ચે અચાનક એક એવી ઘટના બની જેમણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ ઈરાન સાથે પાંચ દિવસના સીઝફાયરની જાહેરાત કરી દીધી. ટ્રમ્પના આ નિવેદનથી એવું લાગ્યું કે જાણે યુદ્ધ હવે વિરામ તરફ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. અહીં વિગતવાર સમજીશું કે કેવી રીતે આ કહેવાતો સીઝફાયર માત્ર કાગળ પર રહ્યો અને તેની પાછળના અસલી કારણો શું હોઈ શકે છે.

ટ્રમ્પે ઈરાન સામે કરેલી સીઝફાયરની ઘોષણા એ વૈશ્વિક શાંતિનો પ્રયાસ કે બજાર બચાવવાનો આર્થિક પેંતરો?- વાંચો
| Updated on: Mar 24, 2026 | 8:12 PM
Share

પશ્ચિમ એશિયામાં હાલ ભારે અંધાધૂંધી અને અનિશ્ચિતતાનો માહોલ છે. મિસાઈલ હુમલાઓ અને આક્રમક નિવેદનો વચ્ચે અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક નાટ્યાત્મક જાહેરાત કરવામાં આવી. ‘5 દિવસનો સીઝફાયર’ (યુદ્ધવિરામ). આ જાહેરાતે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે, પરંતુ શું આ શાંતિનો ખરેખર પ્રારંભ છે કે પછી ટ્રમ્પની ‘પ્રેડિક્ટેબલ’ ગણાતી અનપ્રેડિક્ટેબિલિટીનો માત્ર એક નવો અધ્યાય? સોશિયલ મીડિયાના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનું અંતર તપાસવું અનિવાર્ય છે.

ટ્રમ્પની સીજફાયરની એકપક્ષીય જાહેરાત, ઈરાનનો ઈનકાર

આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલે તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલો કરશે. ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાને નમવાને બદલે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું. ઈરાને વળતી ધમકી આપી કે જો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવશે, તો ઈરાન પશ્ચિમ એશિયાના અમેરિકાના મિત્ર દેશોના ડિસેલિનેશન પ્લાન્ટ્સ (પીવાના પાણીના પ્લાન્ટ્સ) અને પાવર યુનિટ્સને તબાહ કરી દેશે.

કતાર, સાઉદી અને UAE સહિતના મિડલ ઈસ્ટના દેશો પોતાની પીવાના પાણીની જરૂરિયાત માટે 80% થી 90% સુધી દરિયાના ખારા પાણીને મીઠું કરવાના આ પ્લાન્ટ્સ પર નિર્ભર છે. જો આ પ્લાન્ટ્સ પર હુમલો થાય, તો આ દેશોમાં પાણી અને વીજળીનું મોટું સંકટ સર્જાઈ શકે તેમ હતું. આ ભયને કારણે ખાડી દેશોએ ટ્રમ્પને વિનંતી કરી કે તેઓ હુમલો કરવાનું ટાળે, જેના પરિણામે ટ્રમ્પે ‘5 દિવસના સીઝફાયર’ની જાહેરાત કરી.

આ દબાણ હેઠળ ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ 5 દિવસ સુધી ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો નહીં કરે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સીઝફાયર ની જાહેરાત વખતે ઇઝરાયેલ અને ઈરાનની કોઈ સંમતિ લેવામાં આવી નહોતી. આ એક એવો યુદ્ધવિરામ હતો જે યુદ્ધ લડતા દેશોને પૂછ્યા વગર જ જાહેર કરી દેવામાં આવ્યો હતો.

માર્કેટ મેનિપ્યુલેશન- શું આ માત્ર ‘ફેક ન્યૂઝ’ હતા?

ટ્રમ્પના આ સીઝફાયરના દાવા પર સૌથી મોટો પ્રશ્ન ત્યારે ઉભો થયો જ્યારે જાણવા મળ્યું કે તેમણે આ માટે ન તો ઈઝરાયેલની સલાહ લીધી હતી કે ન તો ઈરાન સાથે કોઈ સીધી વાતચીત કરી હતી. તો પછી આ જાહેરાત શા માટે કરવામાં આવી? વિશ્લેષકોનું જણાવે છે કે આ એક આર્થિક ચાલ હોઈ શકે છે. વિશ્વના બજારો મંદી તરફ જઈ રહ્યા હતા, સોના અને બોન્ડના ભાવ ગગડી રહ્યા હતા અને તેલની વધતી કિંમતો વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી હતી. આ ઘટનાક્રમ વચ્ચે જેવી ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી, મિનિટોમાં જ ક્રિપ્ટોકરન્સી માર્કેટ ઉછળ્યું, તેલની કિંમતોમાં ઘટાડો થયો અને ડોલર મજબૂત થયો.

ઈરાની અધિકારીઓએ પણ આક્ષેપ કર્યો છે કે ટ્રમ્પે માત્ર આર્થિક બજારને ટેકો આપવા માટે આ ‘ફેક ન્યૂઝ’ ફેલાવ્યા હતા ઈરાને આરોપ લગાવ્યો કે ટ્રમ્પ મંદીના ડરથી બજારને બચાવવા માટે આ પ્રકારની હેરાફેરી કરી રહ્યા છે. ઈરાની સત્તાવાર નિવેદન મુજબ

“યુએસ અને ઈઝરાયેલ જે ફાંસામાં ફસાયા છે તેમાંથી બચવા માટે અને નાણાકીય તેમજ તેલ બજારમાં હેરાફેરી કરવા માટે આ ફેક ન્યૂઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”

ઈઝરાયેલે પણ ટ્રમ્પની અવગણના કરી હુમલા ચાલુ રાખ્યા

ઈઝરાયેલનો ઇનકાર: ટ્રમ્પની અવગણના કરીને હુમલા ચાલુ રાખ્યા ટ્રમ્પના સીઝફાયરના દાવાને સૌથી મોટો ફટકો ત્યારે લાગ્યો જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી કે તેઓ ઈરાન અને લેબનાન પર પોતાના હુમલા ચાલુ રાખશે. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું કે તેઓ ઈરાનના મિસાઈલ પ્રોગ્રામ અને ન્યુક્લિયર પ્રોગ્રામને સ્મેશ કરવાનું ચાલુ રાખશે. રસપ્રદ વાત એ છે કે, ઈઝરાયેલે ટ્રમ્પના નિવેદનનું માન રાખવા માટે એક રસ્તો શોધ્યો. ટ્રમ્પે પાવર પ્લાન્ટ્સ પર હુમલો ન કરવાની વાત કરી હતી, તેથી ઈઝરાયેલે ઈરાનના ઉર્મિયા શહેર અને અન્ય વિસ્તારોમાં મિસાઈલ ડેપો અને લશ્કરી થાણાઓ પર બોમ્બમારો કર્યો. ઈઝરાયેલે સાબિત કરી દીધું કે તે પોતાની સુરક્ષા માટે ટ્રમ્પના આદેશોની પણ રાહ જોશે નહીં.

ઈરાનની વ્યૂહાત્મક સ્થિતિ ‘ન્યૂસન્સ વેલ્યુ’ અને બાર્ગેનિંગ પાવર

ઈરાનના સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલીબાફે સ્પષ્ટપણે નકારતા જણાવ્યુ કે અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકા અને ઈઝરાયેલ અત્યારે યુદ્ધના ચક્રવ્યૂહમાં ફસાયેલા છે અને તેમાંથી બહાર નીકળવા માટે ખોટા દાવા કરી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં ઈરાન પાસે ‘બાર્ગેનિંગ પાવર’ વધી ગયો છે. તેની ટોચની નેતાગીરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું હોવા છતાં, હવે તેની પાસે ગુમાવવા માટે કશું બચ્યું નથી. ઈરાન અત્યારે એ સ્થિતિમાં છે કે તે માત્ર એક નાનકડો ડ્રોન હુમલો કરીને પણ હોર્મુઝની સામુદ્રધૂનીમાં તેલના જહાજોનો વાહનવ્યવહાર અટકાવી શકે છે. જ્યાં સુધી ઈરાન પોતે સુરક્ષાની ગેરંટી ન આપે, ત્યાં સુધી કોઈ પણ વીમા કંપની જહાજોને ત્યાંથી પસાર થવાની મંજૂરી નહીં આપે. આ શક્તિના જોરે ઈરાન હવે અમેરિકા પાસે પોતાની શરતો મનાવવા પ્રયાસ કરી રહ્યું છે.

ટ્રમ્પની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ અને ‘બ્લેમ ગેમ’

આ સમગ્ર ઘટનાક્રમમાં ટ્રમ્પની રાજદ્વારી વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે આ સીઝફાયરની અસર જમીન પર ન દેખાઈ અને ઇઝરાયેલે હુમલા ચાલુ રાખ્યા, ત્યારે ટ્રમ્પે આ નિષ્ફળતાનો ટોપલો પોતાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથ પર ઢોળવાનો પ્રયાસ કર્યો. ટ્રમ્પની આ એક ક્લાસિક બ્લેમ ગેમ છે, જ્યાં સફળતાનો જશ ટ્રમ્પ ખુદ લે છે અને નિષ્ફળતાનો દોષ તેમની નીચેના અધિકારીઓ પર ઢોળી દે છે. ટ્રમ્પની આ કાર્યશૈલી નવી નથી. વિકિપીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ખોટા અને ભ્રામક નિવેદનો” નામે આખું પેજ અસ્તિત્વ ધરાવે છે, જે તેમની મુત્સદ્દીગીરીની મર્યાદાઓ સ્પષ્ટ કરે છે. રસપ્રદ વાત એ છે કે, ભૂતકાળમાં ટ્રમ્પે ઓબામા પર ઈરાન સાથે યુદ્ધ કરવાની અસમર્થતા બદલ ટીકા કરી હતી, અને આજે તેઓ પોતે એ જ યુદ્ધના વમળમાં ફસાયા છે, જ્યાં તેમની કોઈ વાત માનવા તૈયાર નથી.

Breaking News: ભારત પાસે હવે 10 દિવસ ચાલે એટલુ સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ, હાલ ટોટલ સ્ટોરેજ કેપેસિટીનો 64% જથ્થો ઉપલબ્ધ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">