પાણીની બૂમાબૂમ… એક તરફ કોન્ટ્રાક્ટરોની મનમાની અને બીજી તરફ સંકટ ઉકેલવા તંત્રની દોડધામ, શું જનતાને મળશે ‘રાહત’? – જુઓ Video
એક કહેવત છે કે, પૂર આવે ત્યારે પાળ બાંધવા ન જવાય પરંતુ વડોદરા મનપાના અધિકારીઓ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. વાત એમ છે કે, જ્યાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે અને ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યાં વડોદરામાં આજવા સરોવરમાં પાણીના સ્તર ઘટી ગયા છે.
વડોદરામાં ભર ઉનાળે પાણીની તંગી મુદ્દે ઘમાસાણ મચ્યું છે. શહેરમાં પાણીકાપ વચ્ચે આજવા સરોવરમાં જળસ્તર ઘટતા પાણીનું મોટું સંકટ ઊભું થયું છે, જેના કારણે હવે નર્મદાનું પાણી આજવા સરોવરમાં ઠાલવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
પૂર્વ વિસ્તાર સહિત શહેરના અનેક ભાગોમાં પાણીની ભારે અછત જોવા મળી રહી છે. આ પાણીની તંગીનો ઉકેલ લાવવા માટે પૂર્વ ઝોનમાં એક તાકીદની બેઠક પણ બોલાવવામાં આવી છે. આ દરમિયાન એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, કોન્ટ્રાક્ટરો પાણી શહેરની બહાર પહોંચાડી રહ્યા છે. આમ જોઈએ તો, એકતરફ પાણીનું સંકટ છે અને બીજી તરફ પાણીકાપ પણ લાગુ પાડવામાં આવતા લોકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.
વધુમાં, મહિસાગરના ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીના લીધે 30 દિવસનો પાણીકાપ પણ લાગુ પડતા લોકોમાં રોષ છે. જો કે, તંત્રએ તાત્કાલિક બેઠક યોજીને પાણીની ઘટને પહોંચી વળવા પ્રયાસ હાથ ધર્યા છે.
બીજી તરફ પાણી પુરવઠા વિભાગના અધિકારીનું કહેવું છે કે, જો આજવા અને મહિસાગરની કામગીરી નહીં કરવામાં આવે તો ચોમાસામાં પૂરની સ્થિતિ વધારે કફોડી બનશે. વધુમાં જણાવ્યું કે, લોકોને હાલાકી ન પડે તે મુજબનું આયોજન કરીને આગળની કામગીરી કરવામાં આવશે.
