Pakistan Economic Crisis: ગરીબી દૂર કરવા માટે શાહબાઝ શરીફ તેમના સૌથી મોટા દુશ્મન સમક્ષ પણ ઝૂકી ગયા, જાણો કોણ છે તેમના સૌથી મોટા દુશ્મન
ઈમરાન ખાન અને શાહબાઝ શરીફની મુલાકાત પાકિસ્તાનના રાજકારણમાં સૌથી ચોંકાવનારી હિલચાલ છે. ઈમરાને શાહબાઝ શરીફ પર તેમના પર થયેલા ખૂની હુમલાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ શાહબાઝ સરકાર દેશની દુર્દશા માટે ઈમરાનને જવાબદાર માને છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગયા વર્ષે એપ્રિલમાં સત્તા મેળવી હતી. પરંતુ સત્તાનો આનંદ માણવાને બદલે, તે દેશને ઐતિહાસિક આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા માટે ઝઝૂમી રહ્યા છે. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને ઈમરાન ખાનને સત્તા પરથી ફેંકી દીધા હતા.
સમય એવો વળાંક લઈ ગયો છે કે શાહબાઝ હવે એ જ ઈમરાન ખાનને આર્થિક અને રાજકીય કટોકટીનો ઉકેલ શોધવા પર કેન્દ્રિત સર્વપક્ષીય સંમેલન માટે આમંત્રણ મોકલી રહ્યા છે. વાસ્તવમાં, શાહબાઝ સરકારને ચિંતા છે કે જો તે IMFની શરતોને સ્વીકારે છે અને લોન મેળવવા માટે વધારાના ટેક્સ લાદે છે તો વિપક્ષ હંગામો મચાવી શકે છે.
જિયો ટીવી મુજબ પાકિસ્તાન સરકારના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું કે પાક પીએમ તમામ રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠક કરવા માંગે છે. જેથી તેઓ સાથે મળીને દેશના પડકારોનો સામનો કરવા માટેના રસ્તાઓ શોધી શકે. આ કોન્ફરન્સ ઈસ્લામાબાદમાં 7 ફેબ્રુઆરીએ યોજાશે. તેમણે કહ્યું કે મંત્રી અયાઝ સાદીકે પીટીઆઈના ટોચના નેતાઓનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે, તેમને આગામી બેઠકમાં હાજરી આપવાનું કહ્યું છે.
આ પણ વાચો: ભૂખમરી-ગરીબી સંભાળી નથી શકતાને કાશ્મીર જોઈએ છે, પાકિસ્તાન રચી રહ્યું છે નવું ષડયંત્ર
એકબીજાના કટ્ટર વિરોધી છે ઈમરાન અને શાહબાઝ
પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટની આગેવાની હેઠળની સરકારે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને બેઠક માટે આમંત્રણ મોકલતા પાકિસ્તાનના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. બંને લગભગ તમામ મુદ્દાઓ પર એકબીજાની વિરુદ્ધ રહે છે, પછી ભલે તે સત્તામાં હોય કે ન હોય.
આવી સ્થિતિમાં આ પરિષદના કોઈપણ પરિણામ સુધી પહોંચવાની અપેક્ષાઓ ઘણી ઓછી છે. પાકિસ્તાન અત્યારે ગંભીર આર્થિક, રાજકીય અને આતંકવાદી સંકટનો સામનો કરી રહ્યું છે અને તેમાંથી બહાર નીકળવાની શક્યતાઓ દૂર દૂર સુધી દેખાતી નથી.
જાન્યુઆરી મહિનો પાકિસ્તાન માટે કપરો હતો
2023નો પહેલો મહિનો પાકિસ્તાન માટે ભયાનક સાબિત થયો. તેમાં પેશાવરની મસ્જિદમાં થોડા દિવસ પહેલા થયેલા બ્લાસ્ટનો પણ સમાવેશ થાય છે. નમાજ દરમિયાન થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. મસ્જિદ પોલીસ લાઈન વિસ્તારમાં હોવાથી મૃતકોમાં મોટા ભાગના પોલીસકર્મીઓ અને સેનાના જવાનો હતા. તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનમાં આવા આતંકવાદી હુમલામાં વધારો થયો છે.