Ceasefire Breaking News: ‘લેબનોન યુદ્ધવિરામનો ભાગ નથી’ એવુ કહી ઈઝરાયેલે 10 મિનિટમાં 100 મિસાઇલ છોડી, અનેકના મોત
સીઝફાયર જાહેર થયા પછી પણ ઇઝરાયલે લેબનાનમાં ભારે હુમલો કર્યો છે. હિઝબુલ્લાહને નિશાન બનાવતા આ હુમલાઓએ મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધાર્યો છે.

મિડલ ઈસ્ટમાં શાંતિની આશા ફરી એકવાર ચૂરચૂર થઈ ગઈ છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા સીઝફાયર પછી લોકો થોડી રાહતની આશા રાખી રહ્યા હતા, પરંતુ તે માત્ર ભ્રમ સાબિત થયો. ઈઝરાયેલે લેબનોન પર ક્રૂર હુમલા ચાલુ રાખીને નિર્દોષ નાગરિકોની જિંદગી સાથે ખેલ કર્યો છે.
માહિતી અનુસાર, ઈઝરાયેલે માત્ર 10 મિનિટની અંદર લેબનોનપર આશરે 100 મિસાઈલ ફાયર કરી, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં ભયંકર વિનાશ સર્જાયો છે. આ હુમલાઓમાં સેકડો નિર્દોષ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું કહેવાય છે. અનેક ઘરો ધરાશાયી થઈ ગયા અને લોકો બેઘર બની ગયા છે. આ પરિસ્થિતિએ સમગ્ર વિસ્તારમાં ભય અને અસ્વસ્થતા ફેલાવી દીધી છે.
અમેરિકાની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લેબનોન આ સીઝફાયર કરારનો ભાગ નથી. અમેરિકાના ઉપપ્રમુખ JD Vanceએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા આ યુદ્ધવિરામમાં લેબનોને સામેલ કરવામાં આવ્યું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ નિર્ણય અંગે ન તો વોશિંગ્ટન અને ન તો ઈઝરાયેલે સંમતિ આપી હતી.
બેન્જામિન નેતન્યાહૂએ શું કહ્યું?
ઈઝરાયેલનું માનવું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સક્રિય છે અને તે દેશની સુરક્ષાને ખતરો ઉભો કરે છે. આ કારણસર લેબનોન સામેની સૈનિક કાર્યવાહી સીઝફાયરથી અલગ રાખવામાં આવી છે.
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ અમેરિકાના નિર્ણયને સમર્થન આપે છે, જેમાં ઈરાન સામેના હુમલાઓને બે અઠવાડિયા માટે રોકવામાં આવ્યા છે. જોકે તેમણે શરત મૂકી કે ઈરાન તરત જ હોર્મુઝ સ્ટ્રેટ ખોલે અને ક્ષેત્રમાં ચાલી રહેલા હુમલાઓને બંધ કરે.
ટ્રમ્પએ પણ સ્પષ્ટ કર્યું કે આ કરારનો ભાગ નથી
તે ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ સ્પષ્ટ કર્યું કે લેબનાન આ કરારનો ભાગ નથી. તેમણે જણાવ્યું કે હિઝબુલ્લાહને આ સીઝફાયર સમજોતામાં સામેલ કરવામાં આવ્યું નહોતું, તેથી લેબનોનમાં ચાલી રહેલી સૈનિક કાર્યવાહી અલગ પ્રકારની છે.
જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે સીઝફાયર હોવા છતાં લેબનાન પર હુમલા કેમ ચાલુ છે, ત્યારે જવાબ મળ્યો કે આ સંઘર્ષનો સ્વરૂપ અલગ છે અને તે સીઝફાયર કરાર હેઠળ આવતો નથી. પરંતુ માનવ અધિકાર સંગઠનોનો પ્રશ્ન એ છે કે શું આ કારણોસર નિર્દોષ લોકોના જીવ લેવો યોગ્ય ગણાય?
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે યુદ્ધમાં સૌથી વધુ નુકસાન સામાન્ય લોકોનું જ થાય છે. ઘરો, પરિવારો અને સપનાઓ પળવારમાં નાશ પામે છે. હાલ લેબનાનમાં સ્થિતિ અત્યંત ગંભીર છે અને લોકો ભયમાં જીવી રહ્યા છે.
વિશ્વભરના દેશો અને સંસ્થાઓ હવે આ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તાત્કાલિક શાંતિ માટે કોઈ મજબૂત પગલાં દેખાતા નથી. જો આ હુમલાઓ અટકશે નહીં, તો મિડલ ઈસ્ટમાં વધુ મોટા માનવ સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
