Breaking News: અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતીના અણસાર, ક્રૂડ ઓઈલના ભાવ કડાકા સાથે 96 ડોલરની નીચે પહોંચ્યા
વૈશ્વિક તેલ અને ગેસ સંકટ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે દરિયાઈ માર્ગે જહાજોની અવરજવર સામાન્ય કરવા માટે પ્રાથમિક સહમતિ બની હોવાના અહેવાલોથી બજારમાં મોટો ઘટાડો નોંધાયો છે.

દુનિયાભરમાં લાંબા સમયથી ચાલી રહેલા તેલ અને ગેસના સંકટ વચ્ચે એક ખુબ જ મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના સરકારી ટેલિવિઝન ચેનલના અહેવાલ અનુસાર, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે શાંત થવાના આરે છે. બંને દેશો દરિયાઈ સરહદ પરથી વેપારી જહાજોની અવરજવરને ફરીથી સામાન્ય કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર તરફ આગળ વધી રહ્યા છે. આ સકારાત્મક સમાચારની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી છે, જ્યાં કાચા તેલની કિંમતોમાં 3 ટકાથી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો છે અને બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 96 ડોલરના સ્તરથી નીચે સરકી ગયું છે.
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ ઘટાડવા માટે એક પ્રારંભિક અને અનૌપચારિક સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં સૌથી મહત્વપૂર્ણ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ના દરિયાઈ માર્ગને ફરીથી સંપૂર્ણપણે ખોલવા માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ટેન્કરોની અવરજવર પહેલાની જેમ જ સરળ બની જશે. આવો વિગતવાર સમજીએ આ સંભવિત કરારની મુખ્ય શરતો અને તેની પાછળનો આખો વિવાદ,
પ્રસ્તાવિત કરારમાં શું ખાસ જોગવાઈઓ છે?
- જહાજોની અવરજવર પૂર્વવત થશે: આ પ્રસ્તાવિત સમજૂતી હેઠળ, ઈરાન આગામી એક મહિનાની અંદર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી પસાર થતા તમામ વ્યાપારી જહાજોની અવરજવરને યુદ્ધ શરૂ થયું તે પહેલાના સ્તર પર પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયું છે.
- સેન્ય તૈનાતીમાં ઘટાડો: આ કરારના બદલામાં અમેરિકા ઈરાનની દરિયાઈ સરહદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી પોતાની સૈન્ય હાજરીમાં ઘટાડો કરશે અને નૌકાસેના દ્વારા લગાવાયેલી નાકાબંધી પણ હટાવી લેશે.
- ઈરાન અને ઓમાન સંભાળશે મેનેજમેન્ટ: આ નવા મુસદ્દામાં લશ્કરી જહાજોના પરિવહનને સામેલ કરવામાં આવ્યું નથી. વેપારી જહાજોની સુરક્ષા અને ટ્રાફિકનું સંચાલન સંયુક્ત રીતે ઈરાન અને ઓમાન દેશ મળીને કરશે. જો કે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આખરી નિર્ણય લેતા પહેલા તેને આ સમજૂતીના નક્કર પુરાવા જોઈશે.
કેમ સર્જાયું હતું આ ભયાનક તેલ સંકટ?
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સૈન્ય સંઘર્ષ અચાનક ખૂબ વધી ગયો હતો. બંને દેશો તરફથી એકબીજા પર કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે ખાડી દેશોના આ દરિયાઈ માર્ગ પર જહાજોનું પરિવહન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. ત્યારબાદ આ મામલામાં અમેરિકાએ હસ્તક્ષેપ કરીને પોતાની સેના તૈનાત કરતાં સમગ્ર મધ્ય-પૂર્વ એશિયામાં મોટા પાયે પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળવાની આશંકા ઉભી થઈ હતી, જેના કારણે તેલના ભાવો આસમાને પહોંચ્યા હતા.
કાચા તેલના ભાવ ઘટતા ભારતને શું થશે ફાયદો?
બુધવારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો થવાની આશા વચ્ચે તેલ બજાર પર મોટું દબાણ જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં હોર્મુઝ માર્ગ પરથી પસાર થતા ઓઈલ ટેન્કરોની સંખ્યામાં પણ સુધારો થયો છે, જો કે તે હજુ સામાન્ય ટ્રાફિક કરતા ઘણો ઓછો છે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી આયાત કરે છે. તેથી જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 96 ડોલરથી નીચે લાંબો સમય ટકી રહેશે, તો ભારત સરકારની તેલ આયાત પાછળ થતો અબજો રૂપિયાનો ખર્ચ બચશે, જે આખરે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવોને અંકુશમાં રાખવામાં મોટી મદદ કરી શકે છે.
