વડોદરા પાસે પાણી પૂરું થઈ ગયું! આજવા સરોવરનું સ્તર ઘટતાં મનપાએ સરદાર સરોવર પાસેથી પાણી ખરીદ્યું, જુઓ Video
વડોદરા શહેરમાં વરસાદની અછતને કારણે જળસંકટ ઘેરું બન્યું છે. આજવા સરોવરનું જળસ્તર ઘટતા મહાનગરપાલિકાને નર્મદા નિગમ પાસેથી અંદાજે રૂ. 1.50 કરોડનું પાણી ખરીદવું પડ્યું છે.

વડોદરા શહેરમાં વરસાદની અછતને કારણે પાણીની સમસ્યાની આશંકા વધતી જઈ રહી છે. શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા આજવા સરોવરનું જળસ્તર સતત ઘટી રહ્યું છે, જેના કારણે વડોદરા મહાનગરપાલિકાને સરદાર સરોવર નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં મનપા અંદાજે રૂ. 1.50 કરોડનું પાણી ખરીદી ચૂકી છે.
સામાન્ય રીતે જુલાઈ મહિનાના આ સમયગાળા દરમિયાન આજવા સરોવરનું જળસ્તર આશરે 210 ફૂટ હોવું જોઈએ, પરંતુ હાલ તે માત્ર 207 ફૂટ આસપાસ નોંધાયું છે. વરસાદ ઓછો પડતાં આજવા સરોવરમાં નવા પાણીની આવક ખૂબ જ ઓછી રહી છે, જેના કારણે પાણીના જથ્થામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
વરસાદની ઘટથી પાણીની આવક ઘટી
આ વર્ષે વડોદરા શહેર અને આસપાસના કેચમેન્ટ વિસ્તારમાં અત્યાર સુધીમાં માત્ર 5થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ ઓછો હોવાથી આજવા સરોવરમાં ઉપરવાસમાંથી પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઈ નથી. પરિણામે શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે મનપાને નર્મદા નિગમ પાસેથી પાણી મેળવવું પડી રહ્યું છે, જેના કારણે કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે જો આગામી સમયમાં પાણીની જરૂરિયાત વધશે તો પણ સરદાર સરોવર પાસેથી પાણી મેળવવાની વ્યવસ્થા અગાઉથી જ કરવામાં આવી છે.
બે મહિના સુધી પૂરતું પાણી હોવાનો દાવો
જૂન મહિનામાં પણ પાણીની અછત સર્જાતા મનપાએ સરદાર સરોવર પાસેથી પાણી ખરીદ્યું હતું. જોકે, ઉપરવાસમાંથી પાણીની આવક હજુ પણ ઓછી હોવાથી આજવા સરોવરનું જળસ્તર અપેક્ષા મુજબ વધી રહ્યું નથી.
પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં અંદાજે બે મહિના સુધી ચાલે એટલું પાણી ઉપલબ્ધ છે. જો કે, જરૂરિયાત ઊભી થશે તો સરદાર સરોવર નર્મદા નિગમ પાસેથી વધુ પાણી ખરીદવામાં આવશે. દર વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં આજવા સરોવરનું જળસ્તર આશરે 212 ફૂટ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રહે છે, પરંતુ આ વર્ષે વરસાદની અછતને કારણે તે શક્ય બન્યું નથી.
આજવા સરોવરમાં પાણીની જગ્યાએ સૂકી જમીન
સામાન્ય રીતે જુલાઈ મહિનામાં આજવા સરોવર નવા પાણીથી ભરાઈ જતું હોય છે અને સરોવરમાં પાણીનો વિશાળ જથ્થો જોવા મળે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ બિલકુલ અલગ છે. સરોવરના અનેક વિસ્તારોમાં પાણીના બદલે સૂકી જમીન નજરે પડી રહી છે. ખાસ કરીને સરોવરના 62 દરવાજા નજીક પણ પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે.
વરસાદની અછતને કારણે ઉભી થયેલી આ પરિસ્થિતિ વચ્ચે મનપા દ્વારા પાણી પુરવઠો નિયમિત રાખવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને સરદાર સરોવર પાસેથી મળતા પાણીના આધારે શહેરની પાણી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી વિસ્ફોટની તપાસ માટે SITની રચના, જુઓ Video