Surat : ભેસ્તાનમાં કોર્પોરેશનની દુકાનોમાં ઝડપાયેલા અનાજ મામલે બે પરવાનેદારોના લાયસન્સ સસ્પેન્ડ
મનપાના શોપીંગ સેન્ટરમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગ તરફ શંકાની સોય પણ તકાઈ હતી. ત્યારે હવે આ મામલે જવાબદાર પરવાનેદારનો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે આ મામલે આગળ કેવા પગલા ભરાય છે એ જોવું રહ્યું.
સુરતના (Surat ) ભેસ્તાનમાં સુરત મહાનગરપાલિકાના (SMC) શોપિંગ સેન્ટરની બંધ દુકાનોમાં (Shop ) ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલા સરકારી અનાજનો જથ્થો મળી આવ્યા બાદ, જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસના અંતે ભેસ્તાનના બે પરવાનેદાર આ ગેરકાયદે સરકારી અનાજના સંગ્રહમાં જવાબદાર ગણાતા બંને દુકાનનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સુરત મહાનગરપાલિકાના ભેસ્તાન ખાતે આવેલા શોપીંગ સેન્ટરની 37, 38 અને 39 નંબરની બંધ રહેલી ત્રણ દુકાનોમાં મનપાના કર્મચારીઓની તપાસ દરમિયાન સરકારી અનાજ ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલું મળી આવ્યું હતું.
આ ઘટનાની તપાસ મનપા તંત્ર સહિત જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પણ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે શોપીંગ સેન્ટરની દુકાનોમાં ગેરકાયદે રીતે સંગ્રહાયેલું સરકારી અનાજ ભેસ્તાનના પરવાનેદાર તારાબેન ધનસુખભાઈ પટેલની દુકાનનું હોવાનું બહાર આવતા જિલ્લા પુરવઠા અધિકારી અનીલ હળપતિ દ્વારા પરવાનેદાર તારાબેનનો યુ -70 નો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ઉધના ઝોનના ભેસ્તાન વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ એડિશનલ સીટી ઇજનેરને મળતા તેઓએ તાત્કાલિક તપાસ કરાવીને એસઆરપી જવાનોની ટીમ અને માર્શલ સિક્યુરિટીને સાથે રાખી ત્રણ દુકાનોમાંથી 300 અનાજની ગુણો કબ્જે લઇ ત્રણેય દુકાનો સીલ કરી દીધી હતી . જોકે આ તમામ અનાજનો જથ્થો સરકારી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો .
સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવી દેવામાં આવતા શોપિંગ સેન્ટરો સમયસર ફાળવણી કરવામાં ન આવતા અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે . અમરોલીમાં પણ આવી જ રીતે એક જ કોમ્પ્લેક્ષમાં 44 દુકાનો પર અસામાજિક તત્વો દ્વારા કબ્જો કરાયો હતો, ઉધના ઝોનમાં પણ મનપાના શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલ દુકાનમાં અસામાજિક તત્વોએ કબ્જો કર્યો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ મનપાના શોપિંગ સેન્ટરમાંથી મળી આવેલા જથ્થામાં યુ -70 નંબરની દુકાનનું 34 કિલો મીઠું , ખાંડ 42 કિલો , ચોખા 823 કિલો અને ઘઉં 912 કિલો તથા યુ -116 ની દુકાનના 767 કિલો ચોખા વધારાના મળીને 30 ગુણ ઝડપાઈ હતી.
ભેસ્તાનના પરવાનેદાર તારાબેન દ્વારા દુકાનનું સંચાલન રાજુ રાવ નામના વ્યક્તિને આપવામાં આવ્યું હતું. તથા કાર્ડ ધારકોને અનાજ ઓછું આપીને વધેલું અનાજ બારોબાર સગેવગે કરી દેવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. જે બાબત પણ તપાસનો વિષય બની રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનપાના શોપીંગ સેન્ટરમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગ તરફ શંકાની સોય પણ તકાઈ હતી. ત્યારે હવે આ મામલે જવાબદાર પરવાનેદારનો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે આ મામલે આગળ કેવા પગલા ભરાય છે એ જ જોવું રહ્યું.
આ પણ વાંચો :
Surat : દેશ વિદેશની 25 કંપનીઓ સુરતમાં ટેક્સટાઈલ યુનિટ સ્થાપવા તૈયાર
હરિધામ સોખડાનો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો, પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ધાકધમકી આપ્યાનો પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના હરિભક્તોનો આક્ષેપ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-