Gujarat માં બિન-ખેડૂતોને જાતે નીકળી જવાની મહેસૂલ મંત્રીની તાકીદ, નહિતર ફોજદારી કાર્યવાહી કરાશે
ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ(Rajendra Trivedi) સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રશાદની હાજરીમાં ગોકુલધામ-નાર ખાતે 108 ફુટ રાષ્ટ્રધ્વજ પ્રતિષ્ઠાપન અને સેવાયજ્ઞમાં હાજરી આપી હતી તે પ્રસંગે આ બાબત કહી હતી.
ગુજરાતના(Gujarat) મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi) તાજેતરમાં ખેડા જિલ્લાના માતરમાં જેઓ બિન ખેડૂતો છે(Non Farmers) અને ખેડૂતો બની બેઠાં છે તેનો ઉલ્લેખ કરી ગુજરાતમાં જે કોઇ બિન ખેડૂતો હોય અને ખેડૂતો બની બેઠાં હોય તેવા તમામને જાતે નીકળી જવાની સાથે ગુજરાતના આવા બની બેઠલાં બિનખેડૂતો જો જાતે નીકળી નહીં જાય તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે ફોજદારી કેસો કરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ધર્મ દયા કરતા શીખવે છે તેમ જણાવી શાસ્ત્ર અને શસ્ત્ર આગળ વધી રહ્યાં હોવાનું કહ્યું હતું. તેમણે મહેસૂલ વિભાગમાં કરવામાં આવી રહેલ પરિવર્તન સહિત ૨૪ પ્રકારના ઇનામી જમીનોના વિવિધ કાયદાનું નિરાકરણ લાવવાની સાથે આગામી સમયમાં નાગરિકોના હિતાર્થે હજુ આવનારા દિવસોમાં વધુ 19 નિર્ણયો લેવામાં આવનાર હોવાની જાણકારી આપી આવનારા સમયમાં નાગરિકો માટે ફાયદાકારક બની રહેશે તેમ જણાવ્યું હતું.
યોજનામાં કોઇ પ્રશ્નો કે તકરારને કોઇ અવકાશ નથી
ત્રિવેદીએ રાષ્ટ્રધ્વજની તાકાત શું છે તે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુધ્ધના સમયે રાષ્ટ્રએ જોઇ હોવાનો ઉલ્લેખ કરી સરકાર સૌનો સાથ-વિકાસ-વિશ્વાસ અને પ્રયાસના મંત્રથી આગળ વધી રહી હોવાનું જણાવી સરકારે કુટુંબ પહેલું-સમાધાન શરૂ કરવામાં આવેલ યોજનાની વિગતો આપતાં કહ્યું હતું કે, આ યોજનામાં કોઇ પ્રશ્નો કે તકરારને કોઇ અવકાશ નથી અહીં માત્ર સમાધાન કરવામાં આવશે.
રાજયના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ધર્મ સંસ્થાઓમાં આવી રહેલ પરિવર્તનથી વિશ્વાસ વધ્યો છે ત્યારે દેશને આગળ વધતા કોઇ નહીં રોકી શકે તેમ જણાવી રાજસત્તાથી ઉપર ધર્મ સત્તા રહેલી હોવાનુ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રશાદની હાજરીમાં ગોકુલધામ-નાર ખાતે 108 ફુટ રાષ્ટ્રધ્વજ પ્રતિષ્ઠાપન અને સેવાયજ્ઞમાં હાજરી આપી હતી તે પ્રસંગે આ બાબત કહી હતી.
બે લાખથી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ
કેન્દ્રિય સંચાર રાજય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણએ ગોકુલધામ નાર ખાતે ગોકુલધામ નાર સંસ્થા દ્વારા હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયા (યુ.એસ.એ.)ના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે ૧૦૮ ફૂટના સ્તંભ પર રાષ્ટ્રધ્વજનું પ્રતિષ્ઠાપન કર્યું હતું જયારે આણંદ જિલ્લાના 365 ગામની 1019 સરકારી પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રિય સંચાર રાજય મંત્રી દેવુસિંહજી ચૌહાણે રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરવા રાષ્ટ્ર અને ધર્મ પરસ્પર જોડાયેલા છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આપણા સંતો અને શાસ્ત્રોએ પણ આપણને શીખવાડયું છે કે, ચારિત્ર્ય નિર્માણથી સમાજનું નિર્માણ અને ઘડતર થાય છે.