સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો પર કોંગ્રેસમાં મંથન યથાવત, રાજકોટમાં ફસાયો પેચ, પાટીદાર અથવા ઓબીસી ઉમેદવારને ઉતારી શકે મેદાને
સૌરાષ્ટ્રની ત્રણ લોકસભા બેઠકો જુનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટને લઈને કોંગ્રેસમાં હજુ પણ મંથન ચાલી રહ્યુ છે. જેમા રાજકોટ બેઠક પરથી કોંગ્રેસે પરેશ ધાનાણીનું નામ આગળ કર્યુ હતુ પરંતુ ધાનાણીએ ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરતા હવે અહીંથી કોને ટિકિટ આપવી તેને લઈને હજુ પણ પેચ ફસાયેલો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 8 બેઠકો પૈકી પાંચ બેઠકોના નામ કોંગ્રેસ અને તેના ગઠબંધન દ્રારા જાહેર કરવામાં આવ્યા છે.જો કે હજુ પણ ત્રણ બેઠકો પર કોંગ્રેસ દ્રારા મંથન ચાલી રહ્યું છે.આ ત્રણ બેઠકોમાં જુનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો પર કોંગ્રેસ દ્રારા જાતિગત રણનિતી ઘડાઇ રહી છે. ત્રણેય બેઠક પર ભાજપે તેના ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે તેને ટક્કર આપી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપવાની રણનિતી ઘડી રહ્યું છે.
ત્રણેય લોકસભા બેઠક પર કોણ છે સંભવિત ઉમેદવાર
રાજકોટ, સુરેન્દ્રનગર અને જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ મુરતીયાઓ પર મંથન કરી રહ્યા છે. રાજકોટ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે અને આ વખતે આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલા મેદાને છે ત્યારે તેની સામે કોંગ્રેસે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને મેદાને ઉતારવાની રણનિતી બનાવી હતી પરંતુ પરેશ ધાનાણીએ લડવાની ના પાડતા હવે રાજકોટમાં ઉમેદવારને લઇને પેંચ ગુચવાયેલો છે.
આ બેઠક પર કોંગ્રેસ કડવા પાટીદાર નેતા સામે લેઉવા અથવા ઓબીસીનો દાવ રમવાની રણનિતી ઘડી રહ્યું છે ત્યારે આ બેઠક પર હાલના સંજોગોમાં હિતેષ વોરા અથવા તો કોળી સમાજના કોઇ આગેવાનનું નામ ચર્ચામાં છે.આ ઉપરાંત ડૉ.હેમાંગ વસાવડા અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નામ પણ ચર્ચાઈ રહ્યા છે. આ સીટ પર કોંગ્રેસના એક જુથ દ્રારા વિક્રમ સોરાણીનું નામ ઓબીસી નેતા તરીકે મૂકવામાં આવ્યું હતું પરંતુ આ કોંગ્રેસના નેતાઓ દ્રારા તેનો વિરોધ કરીને આ સીટ પર સ્થાનિક અને મૂળ કોંગ્રેસી નેતાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરથી ઋત્વીક મકવાણાના નામ પર ચર્ચા
હવે વાત સુરેન્દ્રનગર બેઠકની આ સીટ પર ભાજપે કોળી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. તેની સામે પીઢ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવે તેવું ચર્ચાઇ રહ્યું છે. આ નામ લગભગ નિશ્વિત માનવામાં આવી રહ્યું છે.
જુનાગઢથી કોંગ્રેસમાં હિરા જોટવાના નામની પર ચર્ચા
વાત જુનાગઢ બેઠકની કરીએ તો આ બેઠક પણ કોળી સમાજના પ્રભુત્વવાળી બેઠક છે. ભાજપે આ સીટ પર રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. જેની સામે કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યાક્ષ અને આહિર સમાજના અગ્રણી હિરા જોટવાને મેદાને ઉતારી શકે છે. એક શક્યતા એવી પણ વર્તાઇ રહી છે કે ભાજપના કોળી ઉમેદવારની સામે કોળી સમાજને મેદાને ઉતારવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાના અંગત વ્યક્તિને પણ ટિકીટ ફાળવી શકાય છે જો કે હાલના સંજોગોમાં હિરા જોટવાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
રાજકોટ બેઠક માટે શક્તિસિંહ ગોહિલે મધ્યસ્થી કરવી પડી
રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસનો પેંચ ફસાયેલો છે. નામને લઇને કોંગ્રેસમાં જુથવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વિક્રમ સોરાણીનું નામ મૂક્યું હતું. જેની સામે મહેશ રાજપૂત, હેમાંગ વસાવડા સહિતના નેતાઓએ નારાજગી દર્શાવી હતી. આ સીટ પર લેઉવા પાટીદાર સમાજમાંથી પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાનું નામ પણ ચર્ચામાં છે. જો કે જેની સામે એક જુથને વાંધો છે. ટૂંકમાં રાજકોટ લોકસભા બેઠક માટે સર્વસંમતિ સધાતી ન હતી. જેના કારણે જ ગત રવિવારે શક્તિસિંહ ગોહિલે રાજકોટના તમામ નેતાઓ સાથે બેઠક કરી હતી અને ચીમકી આપી હતી કે પાર્ટીમાં રજૂઆત કરી શકાશે પરંતુ જો શિસ્ત ભંગ કર્યો તો ગમે તેવા મોટા નેતા હશે તેમને કાઢી મુકવામાં આવશે. ત્યારે હવે સર્વ સંમતિ સાધવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે ક્યારે આ નામ જાહેર થશે તેના પર સૌની નજર ટકેલી છે.