રાજકોટ: સૌરાષ્ટ્રના ખેડૂતોને આનંદો, બેડી માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ મણે 2500 થી 3500 ઉપજ્યાં

રાજકોટ: સૌરાષ્ટ્રના ખેડૂતોને લસણના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા છે. એક મણના 25000 થી લઈને 3500 સુધી પહોંચ્યા છે. છેલ્લા 8 દિવસમાં લસણના ભાવમાં 500થી 700 રૂપિયાનો વધારો થયો છે. ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી લસણના ભાવ મળતા ન હોવાથી ઓછા ભાવે લસણ વેચવાની ફરજ પડતી હતી.

| Edited By: | Updated on: Nov 30, 2023 | 8:07 PM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા વર્ષો બાદ લસણના ભાવ ખેડૂતોને પોષણક્ષમ મળ્યા છે. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં લસણના મણના ભાવ 2500 રૂપિયાથી 3500 રૂપિયા મળ્યા છે. આજે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં ચાર હજાર ગુણી જેટલી લસણની આવક થઇ હતી. લસણની ગુણવત્તા પ્રમાણે ભાવ મળી રહ્યા છે. એક સમય હતો જ્યારે લસણના ભાવ તળિયે ગયા હતા પરંતુ આ વર્ષે ઓછી આવકને કારણે ખેડૂતોને લસણના જોરદાર ભાવ મળી રહ્યા છે.

આવક ઓછી, વિદેશમાં ડિમાન્ડ

સૌરાષ્ટ્રમાં લસણની આવક પ્રમાણમાં ઓછી છે. જેની સામે વિદેશોમાં સૌરાષ્ટ્રના લસણની ડિમાન્ડ ભરપુર છે જેના કારણે લસણના ભાવમાં ભરપૂર ઉછાળો આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં જ લસણના ભાવમાં મણે 800 થી 900 રૂપિયાનો વધારો નોંધાયો છે. વેપારીઓનું માનીએ તો આ વર્ષે સૌરાષ્ટ્રમાં લસણની આવક ઓછી છે. જેની સામે ડિમાન્ડ ખુબ જ વધારે છે. ખેડૂતોની આવક જેમ જેમ આવતી જશે તેમ તેમ ભાવમાં વધારો થશે. હજુ પણ લસણમાં મણે 800થી 1000 રૂપિયાનો વધારો થાય તેવી પુરી શક્યતા જોવા મળી છે.

ત્રણ વર્ષના ભાવનું વળતર મળ્યું-ખેડૂત

આજે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે લસણ વેચવા આવેલા કાલાવડના ખેડૂતે tv9 સાથે વાતચીતમાં કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી લસણના ભાવ તળિયે જોવા મળ્યા હતા. 100 રૂપિયા મણ ખેડૂત લસણ ફુંકી મારતો હતો. જો કે આ વર્ષે જે ભાવ મળી રહ્યા છે તે ખુબ જ સારા છે.

જો કે ખેડૂતોને છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી જે નુકસાની થઇ રહી હતી તેનું આ વળતર કહી શકાય છે. ખેડૂતોને જ્યારે પણ લસણના ભાવ મળતા નથી ત્યારે લસણ ઢોરને ખવડાવી દે છે. લસણના ભાવ તળિયે હોય ત્યારે મજૂરોને રાતા પાણીએ રડવાનો વારો આવે છે અને મહેનતના રૂપિયા પણ નથી નીકળતા.

આ પણ વાંચો: રાજકોટ ભાજપમાં ફરી સામે આવ્યો આંતરિક જૂથવાદ, ચાલુ કાર્યક્રમે સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે શાબ્દિક ટપાટપી, ઘટનાનો રેલો ગાંધીનગર સુધી

એક વીધે 4000 રૂપિયાનો ખર્ચ થાય છે

ખેડૂતોનું કહેવું છે કે હાલમાં દવા,બિયારણ અને ખાતરના ભાવ આસમાને પહોંચ્યા છે. ખેડૂતોને વીધે 4 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જો બિયારણમાં ફેરફાર થાય તો ક્યારેક લસણની ગુણવત્તા વધારે ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. જે રીતે ભાવ વધી રહ્યા છે તે રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા ખૂબ જ જરૂરી છે. જો પુરતા ભાવ ન મળે તો ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો