Rajkot: વરસાદ બાદ રોગચાળાએ માથું ઉચક્યું, તંત્રએ આપી કાળજી લેવાની સલાહ
શરદી, ઉધરસ, તાવ ઉપરાંત ડેન્ગ્યુ,(Dengue) મલેરીયા અને ચિકનગુનિયા સહિતના કેસો સતત વધી રહ્યા છે. રાજકોટની સ્થિતિ કેવી છે એ જાણવા માટે આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં જ મનપાના ચોપડે નોંધાયેલા કેસની જ વાત કરીએ તો શરદી ઉધરસના 300 ઉપર કેસ નોંધાયા છે.
રાજકોટમાં (Rajkot) વરસાદી વાતાવરણ બાદ હવે રોગચાળાએ (Epidemic) માથું ઉંચક્યું છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ શહેરીજનોને રીતસર ઘેરી લીધા છે. હોસ્પિટલોમાં લાંબી લાંબી લાઈનો લાગી છે, ત્યારે પાલિકા અને તેનું આરોગ્ય વિભાગ રોગચાળો ઘટાડવાને બદલે લોકોને માત્ર કાળજી લેવાની સલાહ આપે છે. રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું (Mosquito borne diseases ) પ્રમાણ વધી રહ્યું છે. હવે શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના કેસો મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે.
શરદી-ઉધરસ સહિત મલેરિયા,ચિકન ગુનિયાના કેસ વધ્યા
શરદી, ઉધરસ, તાવ ઉપરાંત ડેન્ગ્યુ,(Dengue) મલેરીયા અને ચિકનગુનિયા સહિતના કેસો સતત વધી રહ્યા છે. રાજકોટની સ્થિતિ કેવી છે એ જાણવા માટે આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં જ મનપાના ચોપડે નોંધાયેલા કેસની જ વાત કરીએ તો શરદી ઉધરસના 300 ઉપર કેસ નોંધાયા છે.
- શરદી-ઉધરસના 354 કેસ
- ઝાડા-ઉલ્ટીના 94 કેસ
- સામાન્ય તાવના 82 કેસ
- મલેરિયાના 26
- ડેન્ગ્યુના 14
- ચિકનગુનિયાના 12 કેસો
પાલિકા પાસે નથી નક્કર જવાબ
જોકે પાલિકા રોગચાળો ડામવા શું કરી રહી છે એનો કોઈ જવાબ નથી, પરંતુ સિઝનલ ફ્લૂ કે કોવિડના લક્ષણો ઓળખી લોકોએ શું કરવું જોઈએ. તેની સલાહ જરૂર આપે બીજી તરફ જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે આ દરમ્યાન રોગચાળો હજુ પણ વકરે તેવી ભીતિ છે. આ સંજોગોમાં આરોગ્ય વિભાગે લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ માને તો છે કે સ્થિતિ ધીમે ધીમે વકરી રહી છે, પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકોના સ્વાસ્થ્યની ચકાસણી સાથે મચ્છરોના પોરા નાશક દવાનો છંટકાવ અને ફોગિંગ સહિતની કામગીરી કેવી અને કેટલી થઈ રહી છે તે અંગે નક્કર જવાબ પાલિકા પાસે નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં વરસાદ બાદ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે અને મોટા શહેરોના હોસ્પિટલની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ રહી છે.