રાજકોટના રાઈડ્સ સંચાલકોને હવે મળ્યુ કોંગ્રેસના નેતા લલિત વસોયાનું સમર્થન, લોકમેળાના નિયમો હળવા કરવા કરી માગ
રાજકોટના રાઈડ્સ સંચાલકોના સમર્થનમાં હવે કોંગ્રેસના નેતા લલિત વસોયા આવ્યા છે. લલિત વસોયાએ લોકમેળાના નિયમો હળવા કરવાની માગ કરી છે. આ અગાઉ ભાજપના નેતા વિનુ ધવાએ પણ રાઈડ્સના નિયમોમાં થોડી છૂટછાટ આપવાની માગ કરી હતી.
સૌરાષ્ટ્રનો પ્રખ્યાત મેળો એટલે રાજકોટમાં જન્માષ્ટમીએ ભરાતો લોકમેળો. જેની ખાસિયત તેની અવનવી રાઈડ્સ હોય છે.. પરંતુ, તંત્રએ નિયમો કડક કરતા આ લોકમેળાને ગ્રહણ લાગ્યું છે.. ત્યારે કોંગ્રેસ નેતા અને ધોરાજીના પૂર્ણ ધારાસભ્યએ રાઈડ્સના નિયમો હળવા કરવા માગ કરી છે.
લલિચ વસોયાએ જણાવ્યુ કે લોકોની સલામતી માટે કાયદાઓ બનાવવા જોઈએ. સરકારે ટેકનિકલ ટીમને આ કામ સોંપી અને નિયમોમાં થોડા ફેરફારો કરી અને જન્માષ્ટમીનો મેળો હિન્દુ પ્રજા ધામધૂમથી ઉજવી શકે એટલા માટે નિયમો કંઈક હળવા કરવા જોઈએ. આવો મારો વ્યક્તિગત મત છે.
લલિત વસોયાનું માનવું છે કે, લોકોની સુરક્ષા માટે નિયમો જરૂરી છે. પરંતુ અગ્નિકાંડ બાદ સરકારે રાઈડ્સ ફિટિંગના નિયમો અત્યંત કડક કરતા રાઈડ સંચાલકો બેરોજગાર બન્યા છે અને હજારો લોકોને મળતી રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. તેથી સરકાર નિયમોને હળવા કરે તેવી માગ કરી છે.
જો કે આ અગાઉ ભાજપના નેતા વિનુ ધવાએ પણ નિયમોમાં છૂટછાટની આપવાની માગ કરી હતી.. તેમનુ કહેવુ છે કે લોકમેળો થવો જોઈએ અને રાઈડ્સ સાથે જ થવો જોઈએ. આ અંગે જરૂર લાગશે તો તેઓ મુખ્યમંત્રીને પણ નિયમોમાં થોડી છૂટછાટ આપવા અંગે રજૂઆત કરશે.
તેમણે કહ્યુ કે આ લોકમેળો એ સૌરાષ્ટ્ર અને રાજકોટનું ગૌરવ છે અને જેમને વાંધો હોય તે ઘરે રહે. તેમણે કહ્યુ ચકરડી વાળો, ફઝરવાળો અને રાઈડ્સવાળા માટે સરકાર અને કલેક્ટર કાગળિયામાં થોડી બાંધછોડ કરે અને રાઈડ્સ ધારકોને મંજૂરી આપે. તેમણે કહ્યુ મેળો થવો જ જોઈએ, તેમા ચાલે જ નહીં. આ મેળો એ સૌરાષ્ટ્ર અને રાજકોટનું નાક છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે મેળા સ્થળે મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા હતા અને એકપણ દિવસ મેળો ચાલી શક્યો ન હતો. એકપણ રાઈડ્સ ચાલુ થઈ શકી ન હતી. જેના કારણે રાઈડ્સ ધારકોને મોટી નુકસાની સહન કરવી પડી હતી. બીજુ એ કે ગત વર્ષથી રાજકોટ કોર્પોરેશને અગ્નિકાંડની ઘટના બાદ તકેદારીના ભાગરૂપે રાઈડ્સ લગાવવાને લઈને નિયમો થોડા કડક કર્યા છે. જે રાઈડ્સ ધારકોને પોસાતા નથી. આથી છેલ્લા ઘણા સમયથી રાઈડ્સ ધારકો અને અધિકારીઓ વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. જે હજુ પણ ઉકેલાઈ નથી. રાઈડ્સ ધારકો નિયમોમાં કેટલીક છૂટછાટ આપવાની માગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ અગ્નિકાંડના કારણે દાઝેલા અધિકારીઓ કોઈપણ બાંધછોડ કરવાના મૂડમાં જણાઈ રહ્યા નથી. જેને લઈને જન્માષ્ટમીના મેળાના આયોજનનું કોકડુ હજુ ગૂંચવાયેલુ છે.