ગુજરાતી અબજપતિ યુવાને પળવારમાં જ ત્યાગ કર્યા વૈભવી સુખ સાહ્યબી અને સંસાર, જાણો કેમ

|

Apr 14, 2024 | 5:10 PM

આજના જમાનામાં સુખની એક પળ પણ ભોગવવાનું આપણે ચૂકતા નથી હોતા. બળબળતી ગરમીમાં જરાકવાર છાંયડો ના મળે તો, પરેશાન થઈ જઈએ છીએ. ટ્રાફિક સિગ્નલ પર બપોર તો ઠીક ઢળતી સાંજે પણ બે મિનિટ ઉભી રહેતી કારમાં પણ એસી ચાલુ રાખવાની આદત પડી ગઈ છે. ત્યારે એક અબજપતિ દંપતિએ જીવનની સઘળી વસાવેલી મિલકત અને ભૌતિક સુવિધાઓ પળવારમાં છોડી દેવાનો વિચાર કરવો એ અત્યંત કઠીન છે.

ગુજરાતી અબજપતિ યુવાને પળવારમાં જ ત્યાગ કર્યા વૈભવી સુખ સાહ્યબી અને સંસાર, જાણો કેમ
અબજપતિ યુવાને સંયમનો માર્ગ અપનાવ્યો

Follow us on

સુખની એક પળ પણ જતી કરવાની આવે ત્યારે બાળકને પણ શરમાવે એવી જીદ કેટલીક વાર આપણી જાત સાથે આપણે જ કરતા હોઈએ છીએ. બાળકને હાથમાંથી એક રમકડું બીજાને માટે છૂટતું નથી હોતું એમ જ સુખની પળ માણસને પોતાનાથી છોડવી પસંદ નથી હોતી. ગરમીમાં છાંયડો શોધતો માણસ, એ મળે એટલે પંખો શોધે અને પછી એસી. એ બધું જ મળે તોય ઈચ્છાઓતો અધૂરી જ હોય એમ પૂર્ણ કરવા સતત મથતો રહેતો હોય છે.

પરંતુ એક પળવારમાં જ તમારી પાસે રહેલી તમામ સંપત્તિ અને ભૌતિક સુખના સાધનો છોડવાનું આવે તો? જવાબ આપતા પહેલા મૌન ધારણ થઈ જાય અને મન વિચારે ચડી જાય અને અનેક સવાલો મનમાં સર્જાઈ જાય એ હકીકત છે. સાબરકાંઠાના હિંમતનગરના ભાવેશ ભંડારી અને તેમના પત્ની જીનલ ભંડારીએ એક દિવસે પળવારમાં જ આવો નિર્ણય લઈ લીધો અને એ પણ પૂરા બે અબજ કરતા વધારે રકમની મિલકતને ત્યાગીને દીક્ષા ધર્મ અપનાવવાનો.

200 કરોડની મિલકત છોડી દીધી

અમદાવાદ અને હિંમતનગરમાં કરોડો રુપિયાની મિલકત ધરાવતા ભાવેશ ભંડારી અને તેમના પત્ની જીનલ ભંડારી હવે દીક્ષાના માર્ગ પર ચાલી નિકળ્યા છે. 22 એપ્રિલે તેઓ અમદાવાદ ખાતે દીક્ષા ગ્રહણ કરનારા છે. દીક્ષા લેવીએ સમાજમાં સૌથી કઠીન છે, આ માર્ગ પર જવાની ઇચ્છા થવી અને તેને અપનાવવી એ ખૂબ જ અઘરી બાબત છે. જેને આ અબજપતિ દંપતિએ પળવારમાં જ ત્યજવાનો નિર્ણય કરીને તે દિશામાં જવા માટે તૈયારી શરુ કરી દીધી હતી.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

છ મહિના પહેલાથી જ દંપતિએ ઘરમાં જ મનોમન દીક્ષા માટેની તૈયારીઓ શરુ કરી હતી. દીક્ષા સાથે જે ત્યાગ કરવાનું હતું એ સઘળું ત્યાગ કરવા માટે છ મહિના પહેલાથી જ પોતાનો ભાવ શરુ કરી દીધો હતો. લોકો સાથેના વાણી અને વર્તનમાં પણ ફેરફાર આણી દીધો હતો. તો વળી તેઓએ કરોડોની મિલકત પ્રત્યેનો લગાવ પણ છોડી દીધો હતો. પોતાના પિતા અને અન્ય પરિવારજનોને પણ આ વાતની જાણ કરી દીધી હતી. આમ દીક્ષાના માર્ગે પ્રયાણ કરવા માટે મનથી જ તૈયારીઓ વહેલાથી જ કરી દીધી હતી.

બે અબજની સંપત્તિનો ત્યાગ

ફાઈનાન્સ અને રિયલ એસ્ટેટનો બિઝનેશ

દીક્ષા લઈ રહેલા ભાવેશભાઈ અને તેમના પરિવારનો મુખ્ય વ્યવસાય ફાઈનાન્સ પેઢીનો છે. તેમની અમદાવાદ અને હિંમતનગરમાં મોટી ફાયનાન્સ પેઢી આવેલી છે. જ્યાં તેમના પિતા અને તેમના પરિવારજનો સાથે તેઓ ફાઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ભાવેશભાઈને અમદાવાદમાં પણ પેઢી હોવા સાથે રિયલ એસ્ટેટનો મોટો વ્યવસાય છે. આમ તેઓની પાસે અઢળક સંપત્તી છે.

હિંમતનગરમાં ભાવેશભાઈએ ટીવી9 સંવાદદાતા સાથેની એક વાતમાં જણાવ્યું હતુ કે, તેઓના વ્યવસાયમાં તેઓની વ્યવહાર અને વર્તન અલગ હતા. જેને બદલવાએ જ પોતાના માટે મોટી વાત લાગી રહી છે. તેઓ ફાઈનાન્સનો વ્યવસાય કરતા હતા અને તેમના વાણી અને વર્તનમાં સ્વભાવિક જ તેની અસર જોવા મળતી હોય છે. પરંતુ તેઓ તેમના ગુરુ અને ધર્મના સાધુ સંતોના પ્રવચન સાંભળીને તેઓના વ્યવહાર અને વાણી વર્તનમાં ખૂબ જ ફેરફાર આવતો ગયો હતો. આમ તેઓનું મન પણ તેમના વ્યવાયમાં લાગી રહ્યુ નહોતું અને અંતે તેઓએ દીક્ષા લેવા માટેનું નક્કી કરી લીધુ હતું.

મોંઘા શૂઝ છોડી ખૂલ્લા પગે ચાલશે

મીડિયા સાથે સંવાદ કાર્યક્રમ થોડાક સમય અગાઉ હિંમતનગરમાં ભાવેશભાઈ અને તેમના પત્ની જીનલબહેન સાથેનો યોજાયો હતો. જેમાં ભાવેશભાઈએ કહ્યુ હતુ કે, સુખની તમામ ઘડીઓને તેઓ ભૂલી રહ્યા છે. તેઓ હવે એવી કોઈ જ લાલચ અને લોભ ના રહે એ માર્ગ પર જઈ રહ્યા છે. તેમના ગુરુના પ્રવચન સાંભળીને તેમનામાં ધાર્મિક ભાવના વધવા સાથે જીવનમાં લોભ અને લાલચને પોતાનાથી દૂર રાખવું હોય તો દીક્ષાનો જ માર્ગ યોગ્ય હોવાનું લાગ્યુ હતું. માટે જ તેઓએ આ માર્ગને અપનાવ્યો છે.

અબજપતિ ભાવેશભાઈ સ્વાભાવિક જ સુખના હિંડોળે હિંચકા લેતા હતા. તેઓ જ્યાં પગ મુકતા તે તમામ સ્થળ પર માત્ર ભૌતિક સુખ જ ભરેલું હતું. 25 હજારના શૂઝ પહેરીને હરતા ફરતા હતા, હવે ખૂલ્લા પગે જ ચાલશે. આમ ભાવેશભાઈએ કેવો કઠીન માર્ગ પસંદ કર્યો છે, આ પરથી જ તેમના મિત્રો વિચારી રહ્યા છે. આજીવન હવે તેઓ ના પંખો કે એસીનો ઉપયોગ કરશે ના વાહનનો ઉપયોગ કરશે, કે ના વીજળીના ઉપકણોનો ઉપયોગ કરશે.

ઘર ધાર્મિક સંસ્થાને દાન કર્યુ

તેમના મિત્રો વર્તુળે જણાવ્યુ હતુ કે, શહેરના પોશ એરિયામાં આવેલ તેમનો વિશાળ બંગલો ધાર્મિક સંસ્થાને દાનમાં આપી દીધો છે. જ્યા હવે ધાર્મિક સંતો અને મહાત્માઓ આશ્રય મેળવશે અને વિહાર કરતી વેળા ત્યાં વિરામ કરશે. આમ ભાવેશભાઈ અને તેમના પરિવારે દીક્ષા અગાઉ પણ ધર્મ ભાવના દર્શાવીને વિશાળ અને સુંદર ઘરને ધર્મકાર્ય માટે દાન કરી દીધું છે. આ સિવાય પણ અનેક સંપત્તિને તેઓએ દાન કરી છે.

ધર્મ પાછળ છૂટ્ટા હાથે પૈસા ખર્ચતા

તો વળી ભાવેશભાઈએ દીક્ષાના માર્ગને પસંદ કરવા અગાઉ પણ તેઓ ધર્મ પાછળ ખૂબ જ પૈસા ખર્ચ કરતા હતા. જેમકે તેમના ગુરુજીનો જન્મ દિવસ હોય તો એ દિવસને તેઓ ખૂબ જ ઉત્સાહથી ધર્મભાવ સાથે ઉજવતા હતા. આચાર્ય યોગતિલકસૂરી મહારાજને તેઓ ગુરુ માને છે. તેમના દરેક જન્મ દિવસે તેમની ઉંમરના વર્ષ મુજબ ચાંદીને દાન કરતા હતા. તેઓ સામાજીક કાર્ય પાછળ પૈસા વાપરતા.

ગુરુ મહારાજની દીક્ષાના દિવસને પણ ખૂબ જ ધાર્મિક ભાવ સાથે ઉજવતા આ માટે ધાર્મિક પ્રદર્શન સહિતના આયોજન કરતા અને જેટલા વર્ષ દીક્ષાને થયા હોય એટલા લાખ રુપિયાની રકમ તેઓ ખર્ચ કરતા હતા.

બે સંતાનોએ લીધી દીક્ષા

45 વર્ષના મુમુક્ષુ ભાવેશભાઈ અને 42 વર્ષના જિનલબેનને 2 સંતાન છે. જે બંને સંતાનોએ 2021માં દીક્ષા લીધી હતી. તેમના પુત્રી અને પુત્રએ ભક્તિ અને સંયમના માર્ગને અપનાવીને દીક્ષા લીધી હતી. જે બાદ માતા અને પિતા એટલે કે ભાવેશભાઈ અને જિનલબેન પણ પોતાનું બાકીનું જીવન સંયમ અને ભક્તિના માર્ગે વિતાવવા માટે નિર્ણય કરી ચૂક્યા હતા.

એટલે તે પુત્ર અને પુત્રીએ નાની વયે જ સંસાર ત્યાગીને ભક્તિ અને સંયમનો માર્ગ અપનાવી લેતા જ હવે માતા અને પિતાને પણ આ જ માર્ગ પર ચાલવાની પ્રેરણા થઈ આવી હતી. બંનેએ આખરે એક પળે વિચાર કરીને જીવનભર સંઘર્ષ કરીને એકઠી કરેલી સઘળી સંપત્તીનો ત્યાગ કરીને પુત્રી અને પુત્રના માર્ગે જ ચાલવાનો નિર્ધાર કર્યો હતો.

અમદાવાદમાં દીક્ષા લેશે

આગામી 18 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન અમદાવાદમાં રિવરફ્રન્ટ પર દીક્ષા સમારોહ યોજનાર છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણના 2550 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે ઉજવણી 18 એપ્રિલથી શરુ થનાર છે. આ દરમિયાન દીક્ષા સમારોહ થનાર છે. જેમાં 35 મુમુક્ષુ દીક્ષા લઈ સંયમનો માર્ગ અપનાવશે.

જ્યાં હિંમતનગરના રહેવાસી મુમુક્ષુ ભાવેશભાઈ ભંડારી અને તેમના પત્ની જિનલબેન ભંડારી દીક્ષા લેનાર છે. આ પહેલા હિંમતનગરમાં તેમની વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખૂબ ધામધૂમથી શોભાયાત્રા યોજાઇ હતી.

હિંમતનગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ

એક અત્યંત કઠીન કસોટી

મુમુક્ષુ દીક્ષા લેવા સાથે જ સાંસારિક જીવનની મોહમાયાનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. શરીર પર માત્ર એક સફેદ વસ્ત્ર સાથે સંયમના માર્ગને અપનાવવાનો હોય છે. પગમાં પગરખાં નહીં અને શરીર પર રંગબેરંગી કે અન્ય કોઈ કપડાં વિના ભક્તિ અને સંયમનું જીવન વિતાવવાનું હોય છે. આ વિધિ એ એક અત્યંત કઠીન કસોટી છે. સંસારના તમામ મોહ અને માયાનો આજીવન ત્યાગ કરવો પડતો હોય છે. પોતાની પાસે સુખ આપી શકે એવી કોઈ ચીજ રાખવામાં આવતી નથી કે, પૈસો પણ તેમની પાસે રાખવાનો હોતો નથી.

ભોજન માટે પણ ગોચરી લેવા માટે જવુ પડે છે અને ઈચ્છા મુજબ નહીં જે ઘરેથી જે મળે એ એટલી માત્રાથી પેટમાં અન્ન લઈ ભૂખ મીટાવવાની હોય છે. સંધ્યા બાદ ભોજન અને પાણી પણ ગ્રહણ કરવામાં આવતુ નથી. ભૌતિક સુવિધાના સાધનોનો ઉપયોગ કરી શકાતો નથી. માત્ર સેવા, સેવા અને વૈયાવચ વડે જીવન નિર્વાહ કરવામાં આવે છે. વાહનનો ઉપયોગ કર્યા વિના વિહાર કરવામાં આવે છે. એક સ્થળે લાંબો સમય રોકાણ પણ કરવામાં આવતુ નથી.

દીક્ષા પહેલા અનેક પ્રસંગના આયોજન

જૈન ધર્મમાં દીક્ષા અંગીકાર કરવા અગાઉ અનેક પ્રસંગોનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેમાં મુમુક્ષુ માટે માળા મુર્હૂત અને સ્વસ્તિક વિધિ યોજવામાં આવે છે. મુમુક્ષુના ધન અને મિલકતનું દાન કરવામાં આવે છે. જેને વર્શિદાન તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ મુમુક્ષુ પોતાની પાસે રહેલ સઘળા ધન દૌલતને જાહેરમાં દાન કરવામાં આવતુ હતુ. હવે દીક્ષા સ્થળ પર જ ઉપસ્થિતોને દાન આપવામાં આવે છે.

આ દાનને આર્થિક રીતે મૂલવવામાં આવતુ નથી. પરંતુ જેને મળે છે, તે ખૂબ જ આધ્યાત્મિક રીતે અને આશિર્વાદ રુપે સ્વિકાર કરતા હોય છે. આ પછી મુમુક્ષુને ભવ્ય વિદાય પણ આપવામાં આવે છે. જે સાથે જ દીક્ષાર્થી સફેદ વસ્ત્ર ધારણ કરીને સંયમ અને ભક્તિના માર્ગને અપનાવી વિદાય લેતા હોય છે. જે બાદ એક સપ્તાહ પછી દીક્ષાર્થીને ગુરુ ભગવંતોએ ભણાવેલ પાઠ બાદ વડી દીક્ષા યોજવામાં આવે છે. જ્યાં શાસ્ત્રોક વિધિ સાથે પૂર્ણ સ્વરુપે સાધુ તરીકે માનવામાં આવે છે.

 

Published On - 5:10 pm, Sun, 14 April 24

Next Article