4 મેના મોટા સમાચાર: અમદાવાદના નારોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, યુરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ ઝડપાયો
Gujarat Live Updates : આજ 04 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 4 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલોથી હુમલો
રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલ હુમલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કિવમાં લગભગ 20 મિનિટ સુધી ઝડપી મિસાઈલ હુમલા કરવામાં આવ્યા.
-
અમદાવાદના નારોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, યુરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ ઝડપાયો
અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતુ યુરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હતો. જેમાં સરકાર દ્વારા અપાતુ સબસિડીવાળા યુરિયા ખાતર ગેરકાયદે મેળવતા હતા. તેમજ 6 લાખથી વધુ યુરિયા ખાતરની 250 બેગમાં 11250 કિલો યુરિયા મળી આવ્યું છે. જેમાં હર્ષ ગોયલ નામનો વ્યક્તિ ગેરકાયદે યુરિયા ખાતર ફેકટરીમાં વેચતો હતો. જેમાં પોલીસે દરોડા દરમ્યાન મેનેજર, શ્રમિક સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે.
-
-
ટાટા કેમિકલના નફામાં તગડો વધારો, શેરધારકોને મળશે ડિવિડન્ડ
Tata Chemicalsએ FY2023ના માર્ચ ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. 709 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 62 ટકાની વૃદ્ધિ બતાવે છે. સારા ઓપરેટિંગ પ્રદર્શન અને ટોપલાઈનમાં મજબૂત વૃદ્ધિને કારણે કંપનીનો નફો જોવા મળ્યો છે. કામગીરીમાંથી આવક રૂ. 4,407 કરોડ રહી હતી.
શેર દીઠ રૂ. 17.50નું ડિવિડન્ડ જાહેર
કંપનીના CEO આર મુકુન્દને જણાવ્યું હતું કે “અમે આશા રાખીએ છીએ કે ટકાઉપણું વલણ નવી એપ્લિકેશન જેમ કે સોલાર ગ્લાસ અને લિથિયમની માંગમાં વધારો કરશે જે વૃદ્ધિને વેગ આપશે. અમારું ધ્યાન વિસ્તરણ પ્રોજેક્ટના સમયસર અમલ અને કાર્યક્ષમ ખર્ચ વ્યવસ્થાપન પર છે.” કંપનીએ ગયા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 17.50નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
-
Gujarati Video: મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
ગુજરાતમાં મહેસાણામાં પોલીસ સ્ટેશનના આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં બની છે. જેમાં દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે. જો કે આરોપીના આત્મ હત્યાના પ્રયાસ બાદ તેને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયા ડૉક્ટર દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસ સ્ટેશનમાં આત્મ હત્યાનો પ્રયાસ કરવા પાછળનું કારણ હજુ જાણવા નથી મળ્યું. તેમજ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
-
DRDOના વૈજ્ઞાનિકની ધરપકડ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપતો હતો
મહારાષ્ટ્ર ATSએ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં DRDO વૈજ્ઞાનિકની ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે કે સાયન્ટિસ્ટ પ્રદીપ કુરુલકરને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટીંગના એક વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. આ પછી વૈજ્ઞાનિક ડીઆરડીઓ સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યા હતા.
-
-
Ahmedabad: મેટ્રો ટ્રેનની સુવિધામાં વધારો થશે, વર્ષના અંત સુધીમાં ઉમેરાશે નવા ત્રણ સ્ટેશન
અમદાવાદ શહેરમાં હાલ સફળતાપૂર્વક સંચાલિત મેટ્રો ટ્રેન સેવાનો વધુ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસી વાસણાથી મોટેરા સુધી ચાલી રહેલી મેટ્રો ટ્રેન સેવા થલતેજ ગામ સુધી લંબાવવા માટે કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત આ વર્ષના અંત સુધીમાં શહેરમાં ત્રણ નવા સ્ટેશનો મેટ્રો નેટવર્કમાં ઉમેરવામાં આવે તેવી શકયતા છે.
જેમાં ટ્રાફિકની દૃષ્ટિએ મહત્ત્વના કાંકરિયા અને સાબરમતી સ્ટેશનને પણ ઉમેરવામાં આવશે. જેમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ત્રણ નવા મેટ્રો સ્ટેશન- કાંકરિયા, થલતેજ ગામ અને સાબરમતીનું બાંધકામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર હતું કે વર્ષ 2024 માં આવનારી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલ કોર્પોરેશન આ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કાર્યરત છે.
જેમાં નવા ઉમેરવામાં આવી રહેલા બે સ્ટેશન કાંકરિયા અને સાબરમતી ટ્રાફિકની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. કાંકરિયા એક પ્રવાસન સ્થળ છે અને સાબરમતી સાબરમતી રેલ્વે સ્ટેશન અને અન્ય પરિવહન સેવાઓ સાથે જોડાયેલ છે. આ ઉપરાંત સાબરમતી નજીક જ અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન પણ આકાર પામી રહ્યું છે. જેના પગલે મેટ્રોને બુલેટ ટ્રેનની કનેકટીવીટી સાથે જોડવામાં આવશે. અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનમાં હાલ મુસાફરોની સંખ્યામાં વધી રહી છે. તેમજ આ નવા ત્રણેય સ્ટેશન શરૂ થયા મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થવાનું અનુમાન છે.
-
અમદાવાદમાં રખડતા ઢોર છુટા મુકનારા 1985 લોકો સામે PASA હેઠળ કાર્યવાહી કરાઇ
અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટ્યો છે. પરંતુ હજુ સમાપ્ત થયો નથી. રાજ્ય સરકારે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે.અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ હોય તેવા 8 સ્થળની ઓળખ કરવામાં આવી છે. જેમાં નરોડા ગામનો ભરવાડ વાસ, ઓઢવ ગામ, રબારી કોલોની, અમરાઈવાડી, રામોલ ગામ, મજૂર ગામ ત્રણ રસ્તા સામેલ છે. નવા વાડજ પોલીસ સ્ટેશનનો વિસ્તાર, એપલવુડથી બોપલ સુધીનો એસપી રિંગ રોડ, ગુપ્તાનગરથી અંજલી સુધીના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ છે.વર્ષ 2022-23માં 251 FIR નોંધવામાં આવી છે. તો 1951 લોકો સામે જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે.
-
Khyber Pakhtunkhwa Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એન્કાઉન્ટરમાં 6 સૈનિકના મોત, 3 આતંકવાદીઓ માર્યા ગયા
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન છ જવાનોના મોત થયા હતા. આ દરમિયાન ત્રણ આતંકીઓ પણ માર્યા ગયા હતા. ગોળીબારની આ ઘટના ઉત્તર વજીરિસ્તાનના ડીયર દુની વિસ્તારમાં બની હતી. ઇન્ટર-સ્ટેટ પબ્લિક રિલેશન્સ (ISPR) એ આ જાણકારી આપી. ISPRએ જણાવ્યું કે અફઘાનિસ્તાન સરહદને અડીને આવેલા પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં છ જવાનોના મોત થયા છે.
ISPRએ કહ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓને ખતમ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. પાકિસ્તાની સૈનિકો આતંકવાદના ખતરાનો ખાત્મો કરવા સંકલ્પબદ્ધ છે. અમે આ બહાદુર જવાનોના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ. અમે અમારા સૈનિકોને વધુ તાકાત આપીશું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં મોત થયેલા જવાનોમાં હવાલદાર સલીમ ખાન, જાવેદ ઈકબાલ, સિપાહી નઝીર ખાન, સિપાહી હઝરત બિલાલ, સિપાહી સૈયદ રજબ હુસૈન અને સિપાહી બિસ્મિલ્લા જાનના નામ સામેલ છે. મહત્વનું છે કે આ તમામની ઉંમર 22થી 37 વર્ષની વચ્ચે છે.
-
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 10 મે પછી ફરી બનશે નવી સરકાર! ભૂકંપનો નવો દાવો કોનો?
અજિત પવાર બોર્ડર લાઈન પર ઉભા છે. ઉદ્ધવ ઠાકરે થોડા દિવસો પહેલા બીજેપીના દરવાજે પોતાનું માથું અંદર નાખવા માટે ઉભા હતા. હું આનો સાક્ષી છું. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આજે આ નિવેદન આપ્યું હતું. આજે સંજય રાઉતે ફરી કહ્યું કે અજિત પવાર ભાજપના સંપર્કમાં છે. જો નહીં, તો તેઓએ તેના વિશે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ. આજે ફરી શરદ પવારની આત્મકથામાં ઉદ્ધવ ઠાકરેનું જુઠ્ઠાણું સામે આવ્યું છે. શરદ પવારે લખ્યું છે કે મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કોઈ યોજના નથી આ બનાવટી વસ્તુઓ છે.
‘બે-ત્રણ દિવસમાં NCPનું ચિત્ર સ્પષ્ટ, ત્યાર બાદ નવી સરકારની રચના શરૂ થશે’
તેમનો દાવો છે કે કર્ણાટક ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થશે. આ દરમિયાન શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ આવશે. આ સાથે એટલે કે 11 કે 12 મેથી મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. અસીમ સરોદેએ કહ્યું કે આ જ કારણ છે કે 6-7 મે સુધીમાં એનસીપીને લઈને સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. NCPમાં સ્પષ્ટ થશે કે નવા પ્રમુખ કોણ હશે? મહારાષ્ટ્રના રાજકારણ પર કોનું રહેશે નિયંત્રણ? આ બધી તૈયારી જેથી કરીને દસમી તારીખ પછીના કામને સરળ બનાવી શકાય.
-
Surat : સકંજામાં આવ્યો દેશનો સૌથી મોટો GST ચોર, 2700 કરોડની GST ચોરી મુદ્દે સુફિયાન કાપડિયાની ધરપકડ
દેશનો સૌથી મોટો GST ચોર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. સુરતમાં 2700 કરોડની GST ચોરી મામલે ઇકો સેલ દ્વારા મુખ્ય સુત્રધાર સુફિયાન કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુફિયાન કાપડિયા 19મો આરોપી છે. સુફિયાને જ GST ચોરીની શરૂઆત કરી હતી.સુફિયાને ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ પૂર્વે પોલીસે સુફિયાનના સાગરિત ઉસ્માનની ભાવનગરથી ધરપકડ કરી હતી. બંને ભાવનગર અને સુરત ખાતેથી GTS ચોરી ઓપરેટ કરતા હતા. સુફિયાને સુરતમાં જે 8 બોગસ પેઢી હતી તેની સાથે બીજી 27 બોગસ પેઢી ખોલ્યાનું સામે આવ્યું છે.
-
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 82 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 04 એપ્રિલના રોજ કોરોનાના નવા 82 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 750 એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 34, વડોદરામાં 09, સુરતમાં 07, સુરત ગ્રામ્યમાં 06, ગાંધીનગરમાં 04, મહેસાણામાં 04, આણંદમાં 03, સાબરકાંઠામાં 03, ભરૂચમાં 02, કચ્છમાં 02, બનાસકાંઠામાં 01, ગીર સોમનાથમાં 01, મોરબીમાં 01, નવસારીમાં 01, રાજકોટ ગ્રામ્યમાં 01, રાજકોટમાં 01, વડોદરામાં 01 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 186 દર્દી સાજા થયા છે.
-
SCO : એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી, ભારત-ચીન સરહદ વિવાદ પર લાંબી ચર્ચા
ગોવા : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગોવામાં યોજાનારી SCO બેઠક પહેલા ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી કિન ગેંગ સાથે મુલાકાત કરી છે. જયશંકરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે તેમણે કિન ગેંગ સાથે ભારત-ચીન સરહદ વિવાદના મુદ્દા પર પણ ચર્ચા કરી છે અને સરહદી વિસ્તારોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા પર ચર્ચા કરવામાં આવી છે.
જયશંકરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે SCO, G20 અને BRICS જેવી પરિષદો પર પણ લાંબી વાતચીત કરી છે. અગાઉ, તેમણે શેર કર્યું હતું કે તેઓ SCO CFM દરમિયાન ચીનના મહાસચિવ ઝાંગ મિંગને મળ્યા હતા. તેમણે SCOમાં ભારતના અધ્યક્ષપદે મિંગના સમર્થનની પ્રશંસા કરી છે.
-
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના ત્રણ આરોપીના હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા
ગુજરાતના મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી અલ્પેશ ગોહિલ,દિલીપ ગોહિલ અને પ્રકાશ ચૌહાણના હાઇકોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. જેમાં આરોપી દુર્ઘટના અગાઉ બ્રીજના સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા હતા. જેમાં તેમને મેનેજમેન્ટ સાથે સીધા કોઈ લેવાદેવા નહીં હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેની સુનાવણી માટે હાઇકોર્ટે બંને આરોપીના નિયમિત જામીન મંજૂર કર્યા છે.
મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મોરબી બ્રિજ દુર્ઘટના કેસ મુદ્દે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે જણાવ્યુ હતુ કે આ કેસને હાલ પુરતુ પૂર્ણ વિરામ આપવુ જોઈએ. મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ હોવાનું તેમણે જણાવ્યુ હતુ. મોરબી કેબલ બ્રિજની નિર્માતા કંપનીએ અગાઉ વળતરની રકમ જમા કરાવી હતી અને બાકીની બેલેન્સ એમાઉન્ટ 14.62 કરોડ રૂપિયા આજે જમા કરાવી છે. બ્રિજ બનાવનાર કંપની ઓરેવા ગૃપે વચગાળાના વળતર માટે 14.62 કરોડ રૂપિયા જમા કર્યા છે.
-
અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 80 કરોડનો દંડ ચૂકવ્યો, હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું
અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ વર્ષ 2015 થી 2023 દરમ્યાન 80 કરોડનો દંડ ચૂકવ્યો છે. જેમાં સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે. જેમાં ટ્રાફિક,પાર્કિંગ અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે રાજ્ય સરકારે આજે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતું. જેમાં અમદાવાદ શહેરના ટ્રાફિક અને પાર્કિંગની પરિસ્થિતિ મુદ્દે કોર્ટમાં વિગતો મુકાઈ હતી. જેમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં શહેરની વહેંચણી કરવામાં આવી હતી. આ બંને ઝોનના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને જવાબદારી સોંપાઈ છે.
-
Delhi Liquor Scam: એક્સાઈઝ કૌભાંડ કેસમાં EDની ચોથી સપ્લીમેન્ટરી ચાર્જશીટ, મનીષ સિસોદિયાને બનાવ્યા આરોપી
Delhi: એક્સાઈઝ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ ચોથી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં સિસોદિયાને આરોપી બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મનીષ સિસોદિયા વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં 2100 પાનાની સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. જો કે હવે કોર્ટ આ મામલે શનિવારે સુનાવણી કરશે. હાલમાં, રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં સિસોદિયાને 12 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
-
અરવલ્લીના રામગઢી ગામે કરા સાથે કમોસમી વરસાદ, વાવાઝોડાથી હોર્ડિંગ્સ થયા ધરાશાયી
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી મેઘરજના રામગઢી ગામે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. મેઘરજ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મેઘરજમાં વાવાઝોડાથી હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જો કે ખેડૂતોમાં ફરીથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
ખાનગી શાળાઓને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, ફી પરત કરવાના આદેશ પર લગાવી રોક
નોઈડા સહિત યુપીની ખાનગી શાળાઓને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કોરોના સમયગાળા દરમિયાન વસૂલવામાં આવેલી 15% ફી પરત કરવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. નોઈડાના ડીએમએ હાઈકોર્ટના આદેશ પછી પણ ફી પરત ન કરવા બદલ 90 શાળાઓ પર એક-એક લાખનો દંડ ફટકાર્યો છે. ડીએમ દ્વારા લાદવામાં આવેલા આ દંડ સામે ખાનગી શાળાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
તમને જણાવી દઈએ કે, ગૌતમ બુદ્ધ નગર જિલ્લા મેજિસ્ટ્રેટે 90 ખાનગી શાળાઓને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોરોના લોકડાઉન દરમિયાન હાઈકોર્ટે શાળાઓ દ્વારા લેવામાં આવતી ફી અંગે આદેશ જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે લોકડાઉન સમયે ટીચિંગ ફી સિવાય અન્ય કોઈ ફી લેવી તે ખોટું છે. આવી સ્થિતિમાં શાળાઓને કોરોના સમયગાળા દરમિયાન લેવામાં આવેલી 15 ટકા ફી પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
-
પાકિસ્તાન-અફઘાન સરહદ પર સ્કૂલમાં ફાયરિંગ, 7 શિક્ષકના મોત
આજે કેટલાક આતંકવાદીઓએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર આવેલી પારાચિનારની શાળામાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 7 શિક્ષકોના મોત થયાના સમાચાર છે. અત્યાર સુધીની માહિતી મુજબ કેટલાક હથિયારધારી માણસો સ્ટાફ રૂમમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
-
રાજ્યમાં 7મી મે એ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને તંત્ર થયુ સજ્જ
રાજયમાં આગામી 7 મે રવિવારે યોજાનાર તલાટીની પરીક્ષાને લઈ તંત્ર સજ્જ બની ગયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે તલાટીની પરીક્ષા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવાશે. ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા ગુજરાતમાં યોજાશે. ઉમેદવારોના કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારોને CCTV સામે ઉભા રાખી વીડિઓગ્રાફી થશે. રાજ્યમાં 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપશે.
-
Rain In Aravalli: અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો, મેઘરજ પંથકમાં કરા સાથે વરસાદ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારે ગાજવીજ અને પવન સાથે બપોરના અરસા દરમિયાન ગુરુવારે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે હોર્ડીંગ્સ પણ તૂટી પડ્યા હતા. આ ઉપરાંત મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારમાં કરા વરસ્યા હતા. સતત એક અઠવાડીયાથી કમોસમી વરસાદને લઈ ખેડૂતો પરેશાન બન્યા હતા.
-
Gujarat News Live : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ સર્જરી બાદ આજે આવ્યા ભાનમાં
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ગત રવિવારે બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ, વધુ સારવાર અર્થે મુંબઇ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હિન્દુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે આટલા દિવસની સારવારના અંતે આજે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે. અનુજ પટેલ સર્જરી બાદ આજે ભાનમાં આવ્યા છે. પુત્ર અનુજ પટેલના હાથ પગ હવે મુવમેન્ટ કરી શકે છે.
-
જમ્મુ-કાશ્મીર : કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, 2 થી 3 લોકો હતા સવાર
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડથી એક સમાચાર આવી રહ્યાં છે. કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આર્મીના આ હેલિકોપ્ટરમાં ઓછમાં ઓછા બેથી ત્રણ લોકો સવાર હતા.
An Army ALH #DhruvHelicopter crashed near Kishtwar, #JammuKashmir. Pilots have suffered injuries but are safe. Further details awaited: Army Officials.#TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) May 4, 2023
-
SEO Meeting in Goa : યુક્રેન યુદ્ધને કારણે ઉદ્ભવતા પડકારો પર કરાશે વિચારમંથન
ગોવામાં 4-5 મે, 2023ના રોજ SEOના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત આ વર્ષની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બેઠકમાં યુક્રેન યુદ્ધથી ઉદ્ભવતા પડકારો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.
-
Gujarat News Live : વિનેશ ફોગાટનું મોટું નિવેદન – અમે બધા મેડલ પરત કરીશું
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલી વિનેશ ફોગાટે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે અમે તમામ મેડલ પરત કરીશું.
-
Gujarat News Live : કેનેડાથી ગેરકાયદે અમેરિકા ધૂસણખોરી કરવા જતા માર્યા ગયેલા કેસમાં આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ
કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે માર્યા ગયેલા 4 ગુજરાતીઓના મુદ્દે, વસાઈ પોલીસે ફરિયાદ નોંધી છે. આજથી આશરે એક માસ પૂર્વે વસાઈ માણેકપુરા ના ચૌધરી પરિવારના 4 સભ્યોનું કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા સમયે મોત નિપજ્યું હતું.
-
લગ્નમાં જઈ રહેલો આખો પરિવાર માર્ગ અકસ્માતમાં માર્યો ગયો, દોઢ વર્ષના બાળક સહિત 11 લોકોના મોત
છત્તીસગઢમાં ગઈકાલ બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. છત્તીસગઢના બાલોદમાં બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર 11 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 લોકો તો એક જ પરિવારના હતા. મૃત્યુ પામેલાઓમાં દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
-
બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે બારામુલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક AK 47 રાઈફલ અને એક પિસ્તોલ મળી આવી છે. આ ઉપરાંત તેમની પાસેથી વાંધાજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
Published On - May 04,2023 7:42 AM