25 ઓગસ્ટના મહત્વના સમાચાર : નવસારી જિલ્લામાં રેડ એલર્ટ, 102 લોકોનું કરાયું સ્થળાંતર, પંચાયતના 78 રસ્તા બંધ
Gujarat Live Updates : આજે 25 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
25 ઓગસ્ટના મોટા સમાચારો પર નજર કરીએ તો કેન્દ્ર સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરી છે. જેનો 23 લાખ કર્મચારીઓને લાભ મળશે. 1 એપ્રિલ 2025થી આ સ્કીમ લાગુ થશે. છત્તીસગઢમાં ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો કે વર્ષ 2026 સુધી દેશમાંથી નક્સલવાદનો ખાતમો બોલાવીશુ. નક્સલગ્રસ્ત હિંસામાં જવાનોના મોતની ઘટનામાં ઘટાડો થયો છે. આ તરફ પ્રયાગરાજમાં સંવિધાન સન્માન કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ફરી એક વાર જાતિ આધારીત વસતી ગણતરીનો મુદ્દો ઉછાળ્યો છે. રાહુલે કહ્યુ અમે સત્તામાં આવીશુ તો 50 ટકા ખાનગી અનામતની મર્યાદા દૂર કરીશુ. ગુજરાતના હવામાનની વાત કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોટા સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આ મેળાને ખુલ્લો મુક્યો છે, પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં રાઈડ્સને લઈને મામલો ગૂંચવાયો છે ત્યારે રાઈડ્સ શરૂ થાય તેવી સંભાવના છે. વહીવટીતંત્રએ રાઈડ્સના ફિટીંગની પરવાનગી આપતા આશા વધી છે.
LIVE NEWS & UPDATES
-
ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેકટરો- મ્યુ કમિશનરોને એલર્ટ રહેવા મુખ્ય સચિવની તાકીદ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવે, વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપરાંત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેકટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.
-
જૂનાગઢના વંથલી અને શાપુર વચ્ચે અકસ્માતમાં 3 મોત
જૂનાગઢના વંથલી અને શાપુર રોડ પર કાર અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 3 મોત થયા છે. શાપુર ગામના રહેવાસી પ્રવીણ મકવાણા, રમણીક અખેચા અને સમીર બલેચાના મોત થયા છે. વંથલી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
-
-
સિંધુ ભવન નજીક કાર સ્ટંટ કરનાર 6ની ટ્રાફિક પોલીસે કરી અટકાયત
સિંધુ ભવન નજીક કાર સ્ટંટ કરનાર 6ની ટ્રાફિક પોલીસે અટકાયત કરી છે. અટકાયતી 6 આરોપી પાસેથી 5 કાર કબજે કરવમાં આવી છે. જોખમી રીતે સમૂહમાં કાર ચલાવાતી હોવાનો એક વીડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
-
નવસારી જિલ્લામાં રેડ એલર્ટ, 102 લોકોનું કરાયું સ્થળાંતર, પંચાયતના 78 રસ્તા બંધ
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમા નવસારી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ એલર્ટને પગલે, આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે, બિલીમોરામાં અત્યાર સુધીમાં 102 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કાશીવાડી, ગધેવાન ભેંસદ ખાડા, રૂસ્તમ વાળી જેવા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 4 રસ્તાઓ બંધ છે. જ્યારે પંચાયત હસ્તકના 78 રસ્તા બંધ છે.
-
ગુજરાતના સૌ નાગરિકોને કૃષ્ણજન્મોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવતા CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, આવતીકાલ સોમવાર, તારીખ 26 મી ઓગષ્ટે ઉજવાનારા કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવનું આ પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું જન્માષ્ટમી પર્વ સમાજમાં આપસી પ્રેમ, સૌહાર્દ અને સામાજિક સમરસતા તથા બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવશે તેમ જણાવીને સૌને શુભકામનાઓ પાઠવી છે.
-
-
વલસાડની ઔરંગા નદીમાં ઘૂઘવતા પૂર, ધમડાચી ગામમાં ઘુસ્યા છાતી સુધીના પાણી
વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાં ઘૂઘવતા પૂર વહી રહ્યાં છે. ધમડાચી ગામમાં ગળા સુધીના પાણી ઘુસ્યા છે. ભારે વરસાદના કારણે ઔરંગા નદીના પાણી ભયજનક સપાટી એ વહેતા ધમડાચી ગામમાં નદીના પાણી ઘૂસ્યા છે.
-
સુરત જિલ્લામાં કિમ નદી બે કાંઠે, કેટલાક ગામોને કરાયા એલર્ટ, તલાટીને ગામ ના છોડવા આદેશ
સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે. માંગરોળના મોટા બોરસરા ગામનો હાઇવે બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. કીમ નદી બે કાંઠે થતા તંત્ર એલર્ટ થયું છે. ઓલપાડ, માંગરોળ, હાંસોટ તાલુકાને કીમ નદીના પાણી અસર કરે છે. કીમ નદી બે કાંઠે થતાં નદીને અડીને આવેલા કઠોદરા, કીમામલી, મોટાં બોરસરા, પાનસરા, ઉમરાછી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. કીમ નદીનુ જળસ્તર વધતાં તંત્ર દ્વારા એલર્ટ વાળા ગામોના તલાટીઓને હેડ ક્વાર્ટર ના છોડવા સૂચના અપાઈ છે. કીમ નદીના પાણી બ્રિજ ઉપર ફરી વળતાં વાહનોની અવર જવર સાવચેતીના ભાગરૂપે બંધ કરાઈ છે.
-
સરદાર સરોવર ડેમમાં 2,65,748 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક, ડેમના 15 દરવાજા ખોલાયા
સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 135.30 મીટર પર પહોંચી ગઈ છે. જો કે ડેમના 15 દરવાજા 1.65 મીટર ખોલીને નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમ ખાતે બનેલ વરબેડ પાવરહાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી 23,081ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.
-
કરજણ ડેમમાં નવા પાણીની આવક, 75 ટકા ભરાઈ ગયો, ડેમના પાંચ દરવાજા ખોલાયા
ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં થેલા ભારે વરસાદથી કરજણ ડેમમાં નવા પાણીની આવક થવા પામી છે. કરજણ ડેમમાં હાલ, 64,869 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે 5 દરવાજા ખોલી ને 54,962 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળ સપાટી 110.39 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ જળ સપાટી 116.10 મીટર છે. કરજણ ડેમ હાલ 75 ટકા ભરાયેલો છે
-
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે, નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં બે કાંઠે ધસમસતા પૂર વહી રહ્યાં છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીમાં આવેલા પૂરથી ગણદેવી અને ધમડાછા ગામને જોડતો લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.
-
ગીરસોમનાથ: ઝૂડવડલી ગામની ગ્રામ પંચાયતની ઓફીસમાં મારામારી
ગીરસોમનાથ: ઝૂડવડલી ગામની ગ્રામ પંચાયતની ઓફીસમાં મારામારીની ઘટના સામે આવી. આંબેડકર ભવન બનાવવા બાબતે મળેલ મીટીંગમાં બબાલ થઈ છે. પિતા-પુત્ર અને અન્ય લોકો દ્વારા મારામારી કરાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
રાજકોટ: શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ
રાજકોટ: શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. બપોર સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા અનેક રસ્તા પાણી-પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. યુનિવર્સિટી રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તો માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળામાં પણ સારો વરસાદ થયો છે. આજીડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મૌવામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો . રાજકોટમાં અત્યાર સુધીમાં સીઝનનો 18 ઈંચ વરસાદ નોંધાયો છે.
-
વડોદરાઃ દેવ ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી
વડોદરાઃ દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. વાઘોડીયા તાલુકાના કાંઠાના 26 ગામોને એલર્ટ કરાયા છે. ડેમના 3 દરવાજા ખોલી 2,948 ક્યુસેક પાણી છોડાયું છે. મામલતદાર અને તલાટીઓને મુખ્યમથકો ન છોડવા આદેશ કરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી દેવ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.
-
OPS સહિતની માગને લઇ શૈક્ષિક સંઘનું આંદોલન યથાવત
OPS સહિતની માગને લઇ શૈક્ષિક સંઘનું આંદોલન યથાવત છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે નિવેદન આપ્યુ કે રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે આંદોલન યથાવત રહેશે. OPS અંગે કોર કમિટી સાથે મળીને નિર્ણયની જાહેરાત કરાશે. આવનારા 2-3 દિવસોમાં કોર કમિટી બેઠક કરીને નિર્ણય લેશે. સરકાર પાસે 1 એપ્રિલ 2005 પહેલાની માગણી યથાવત છે. UPSની જાહેરાત થઇ પરંતુ તમામ પાસાનો અભ્યાસ બાકી છે.
-
પંચમહાલ: ગોધરા, કાલોલ,હાલોલ, પાવાગઢ સહિત વરસાદી માહોલ
પંચમહાલ: ગોધરા, કાલોલ,હાલોલ, પાવાગઢ સહિત વરસાદી માહોલ છવાયો છે. શહેરા, ઘોઘંબા મોરવા હડફ અને જાંબુઘોડામાં વરસાદ વરસી રહ્યો છે. ગોધરાનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. 10 થી વધુ ગામને જોડતા રેલવે અંડર પાસમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ભારે વરસાદ થતા મેસરી નદી બે કાંઠે થઇ છે. મેસરી નદીના કોઝ વે પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. નદીના કોઝ વે પર થી જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા
-
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત
હવામાનની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના 10 કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ વૈકલ્પિક માર્ગથી જવાની લોકોને કરી અપીલ કરી છે. ભારે વરસાદના કારણે આહવા-મહાલ હાઇવે ધોવાયો છે. જિલ્લામાં સવારે 6થી 12 સુધીના 6 કલાકમાં અવિરત વરસાદ વરસ્યો. આહવા અને વઘઇમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે સુબીરમાં 2.5 ઇંચ અને સાપુતારામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
-
ભાવનગર: ધોધમાર વરસાદ થતા અનેક ઘરોમાં પાણી પ્રવેશ્યા
ભાવનગર: ધોધમાર વરસાદ થતા અનેક ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. કુંભારવાડા કૈલાશ વાડી વિસ્તારમાં ઘરોમા વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માત્ર 2 ઇંચ વરસાદમાં વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કૈલાશ વાડી વિસ્તારમાં 6 કલાકથી વરસાદી પાણી ઓસર્યા નથી. ત્યારે લોકો પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે.
-
દાહોદ: ઝાલોદ, મીરાખેડી, દમેલા, કદવાળ સહિતના પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ
દાહોદ: ઝાલોદ, મીરાખેડી, દમેલા, કદવાળ સહીતના પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે દાહોદમાં 4 ડેમ ઓવરફલો થયા છે. માછણ ડેમ, કબુતરી ડેમ, કાળી 2 ડેમ ઓવરફલો થયા છે. માછણડેમ ડેમમાંથી 801 કયુસેકસ પાણી છોડાયું છે. ઝાલોદ તાલુકાના 15 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. વરસાદના કારણે લીમખેડાનો ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો છે.
-
સુરતઃ કાકરાપાર ડેમ નજીક ગંભીર બેદરકારીના દ્રશ્યો
સુરતઃ કાકરાપાર ડેમ નજીક ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્રની સુચનાનો સરેઆમ ભંગ કરતા લોકો જોવા મળ્યા. લોકો દીવાલ કૂદીને જીવના જોખમે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પ્રવેશયા. ખતરાની પરવા કર્યા વિનાડેમ વિસ્તારમાં લોકો કરી રહ્યા અવરજવર કરી રહ્યા છે. ડેમના અધિકારીઓની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. કાકરાપાર ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી અત્યંત જોખમી પુરવાર થઈ શકે છે. હાલ ઉકાઈ ડેમમાંથી તાપીમાં 2 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે
-
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે. કશ્મીર નગર, બંદર રોડ, ભાગડાવાડા વિસ્તારમાં પાણી ભરાયા છે. ખરીયાવાડ વિસ્તારમાં પણ વરસાદના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્રએ નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. જિલ્લામાં NDRF અને ફાયરની ટીમને સતત સ્ટેન્ડ બાય રખાઈ છે. વલસાડ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. વરસાદ અને નદીની સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યુ છે. અનેક લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
-
વરસાદે બગાડી રાજકોટવાસીઓની મેળાની મજા
વરસાદે રાજકોટવાસીઓની મેળાની મજા બગાડી છે. ધોધમાર વરસાદની શરૂઆત થતા લોકમેળાના ગ્રાઉન્ડમાં ધોધમાર વરસાદ થતા પાણી ભરાયુ છે. વરસાદ થતા ઠેર-ઠેર પાણી ભરાયા છે.
-
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં ધરખમ આવક
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ધરખમ આવક થઈ છે. ઉકાઈ ડેમમાં 2લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. તાપી નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તાપી નદીની આસપાસના ગામોમાં અલર્ટ અપાયુ છે. હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 102.13 મીટર પહોંચી છે.
-
સુરત: માંગરોળના ગુંદીકૂવા ગામે બાઈક ચાલક તણાયો
સુરત: માંગરોળના ગુંદીકૂવા ગામે બાઈક ચાલક પૂરના પાણીમાં તણાયો. ઝંખવાવથી ગુંદીકૂવા ગામે જતા માર્ગ પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોવાથી બાઈક ચાલક તણાયો હતો. સ્થાનિકોની સતર્કતાથી બાઈકચાલકનો જીવ બચ્યો. માનવ સાંકળ રચી બાઈક ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
-
વલસાડ: ભારે વરસાદને પગલે ઔરંગા નદી બે કાંઠે
વલસાડ: ભારે વરસાદને પગલે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. શહેરમાં ઔરંગા નદીના પાણી ઘુસ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાનું શરૂ થતાં તંત્ર એલર્ટ થયુ છે. કાશ્મીર નગર વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગ, પોલીસની મદદથી તંત્રએ સ્થાનિકોનું સ્થળાંતર હાથ ધર્યું છે. 150થી વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડવામાં આવ્યા છે. વલસાડ મામલતદાર, નગરપાલિકાના કર્મીઓની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
-
વલસાડ: જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ
વલસાડ: જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેરને 40 ગામ સાથે જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કૈલાશ રોડ બ્રિજ ઉપર ઓરંગા નદીના પાણી ફરી વળ્યા છે. 40 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.
-
નવસારીમાં રેલવે ફાટક બંધ કરતા રાહદારીઓને પારાવાર હાલાકી
નવસારીમાં એક સાંધતા તેર તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. વાહન ચાલકો માટે રેલ્વે ઓવર બ્રિજ તો બની ગયો પરંતુ રેલવે ફાટક બંધ કરતા રાહદારીઓ માટે મુશ્કેલી ઉભી થઈ. નવસારીમાં અનેક રજૂઆતો બાદ 6 વર્ષ બાદ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો જેના કારણે વાહન ચાલકોને સવલત તો મળી પરંતુ ઓવરબ્રિજના લોકાર્પણ બાદ તુરંતજ રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરી દેતા ચાલીને જતા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ. બાળકોથી લઈને મહિલાઓ, વૃદ્ધો તમામ લોકો સુવિધાના અભાવે જીવના જોખમે પાટા ઓળંગી રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા. જેને કારણે સ્થાનિકોએ ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માગ કરી
Published On - Aug 25,2024 8:03 AM