13 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : વર્તમાન ચોમાસામાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પહોંચી 136 મીટર પાર, 42 ગામને કરાયા એલર્ટ
આજે 13 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
5 વર્ષમાં બીજીવાર મોંઘવારી સૌથી નીચલા સ્તરે પહોંચી છે. ઓગસ્ટમાં છુટક મોંઘવારી દરમાં નજીવો વધારો થયો છે, જો કે શાકભાજીના ભાવ વધ્યા છે. તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ 3 વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા છે, સરકાર ભાવ ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. 15 સપ્ટેમ્બરથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે. 16મીએ મેટ્રો સ્ટેશનનું તેઓ ઉદઘાટન કરશે, તો 9 કરોડના કામોનું પણ લોકાર્પણ કરશે. સુરતમાં કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખની લાંચ કેસમાં વધુ એક AAP કોર્પોરેટરની ધરપકડ કરી છે. જીતુ કાછડીયાની ACBએ ધરપકડ કરી છે. ફરિયાદ બાદ ફરાર થયો હતો. આગામી સાત દિવસ વરસાદનો રાજ્યમાં વિરામ રહેશે. તો નર્મદા ડેમની સપાટી 135.71 મીટરે પહોંચી છે. ત્રણ જિલ્લાના 42 ગામોમાં એલર્ટ છે.
LIVE NEWS & UPDATES
-
વર્તમાન ચોમાસામાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પહોંચી 136 મીટર પાર, 42 ગામને કરાયા એલર્ટ
સરદાર સરોવર નર્મદા ડેમ જળની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે, તંત્ર દ્વારા સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. 2024ના ચોમાસામાં પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર થઈ છે. હાલમાં ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 3,47,891 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે નર્મદા નદીમાં કુલ 3,17,014 ક્યુસેક છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને એલર્ટ કરાયા છે.
-
દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ચેકડેમમાં 10 ડૂબ્યા, 8ના મૃતદેહ બહાર કાઢ્યા
ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે આવેલી મેશ્વો નદીમાં ચેકડેમ પાસે નાહવા પડેલા વાસણા સોગઠી ગામના 10 યુવાનો ડૂબ્યા છે. 8 યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ દહેગામ નગરપાલિકાની ફાયર બ્રિગેડ, બહિયલના સ્થાનિક તરવૈયાઓ, મામલતદાર TDO તેમજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે હાજર થયો હતો અને બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી.
-
-
સુરતના માંગરોળના દેગડીયા ગામે દીપડાએ મહિલા પર હુમલો કરતા થયું મોત
સુરત જિલ્લામાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. માંગરોળના દેગડીયા ગામે આજે વહેલી સવારે દીપડાએ વહેલી સવારે 40 વર્ષીય ગીતા બેન વસાવા નામની મહિલા પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. શિકારની શોધમાં આવેલ દીપડાએ હુમલો કર્યો હતો. સુરત જિલ્લા વન વિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી. વન વિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે. એક મહિના અગાઉ પણ માંડવી તાલુકામાં દીપડાના હુમલાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. દીપડાઓના વધી રહેલા આતંકને લઇને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
-
ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.
રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હક્કપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે, બિન ખેતીની પરવાનગી દરમ્યાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકર્ડની બિન ઉપલબ્ધતા અને બિન ખેતી મંજુરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ નડે છે.
ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તા. 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં.
-
યુવતીને લવજેહાદથી પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર નકલી આર્મી જવાનની ધરપકડ
યુવતીને લવજેહાદથી પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર નકલી આર્મી જવાનની અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી છે. યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવકે, યુવતીઓને ટાર્ગેટ બનાવી હતી. આર્મી જવાન બનીને મોહમદ જહેબાઝ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ કરી હતી. જમાલપુરમાં રહેતા આરોપી મોહમદ જહેબાઝ ખાને ભારતની જુદી જુદી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમજાળમાં ફસાવતા સમગ્ર મામલો ખુલ્યો હતો. આરોપી વિરુદ્ધ 5થી વધુ ગુના નોંધાયા છે.
-
-
દિલ્હીથી અધિકારીઓની ટીમે જામનગરની મુલાકાતે
દિલ્હીથી અધિકારીઓની ટીમે જામનગરની મુલાકાતે આવી છે. ભારે વરસાદથી થયેલ નુકસાનીનો તાગ મેળવવા ટીમે મુલાકાત લીધી. દિલ્લીની ટીમે કલેકટર, ડીડીઓ સહીતના અધિકારીઓ સાથે બેઠક કરી છે. જિલ્લામાં થયેલ પાક નુકસાન, જમીન ધોવાણ, પશુ મૃત્યુ સહીતના મુદ્દે બેઠકમાં ચર્ચા થઇ.
-
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટનું આકરું વલણ
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટનું આકરું વલણ જોવા મળ્યુ છે.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરનો હાઇકોર્ટે ઊધડો લીધો. હાઈકોર્ટે સોગંદનામા પર સવાલ ઉઠાવી નારાજગી વ્યક્ત કરી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાયેલું સોગંદનામુ સ્વીકારવા ઇનકાર કર્યો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલું સોગંદનામુ પરત ખેંચ્યું. વળતર સહિતના મુદ્દે રિપોર્ટ કરી નવેસરથી સોગંદનામું રજૂ કરવા કોર્ટનો હુકમ છે. 27 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
-
અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અંતે જેલ મુક્તિ થઇ છે. CBI ના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જામીન અરજી પર સુનાવણી થયા બાદ સુરક્ષિત રહેલો ચુકાદો આજે આવ્યો. 177 દિવસ બાદ કેજરીવાલ જેલની બહાર આવશે. ED ના કેસમાં અગાઉ જામીન મળી ચૂક્યા હોવાના કારણે જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે.
-
નર્મદા ડેમના 15 દરવાજા 2.35 મીટર ખોલાયા
ઉપરવાસમાંથી પાણી આવતા નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થયો છે. 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 20 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 4 લાખ 38 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા નદીમાં 2 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડાયુ છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.86 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના 15 દરવાજા 2.35 મીટર ખોલાયા છે. ડેમમાંથી 2 લાખ 50 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયુ. વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે.
-
વડોદરામાં ગણેશ વિસર્જનને લઇને પોલીસ સજ્જ
વડોદરામાં ગણેશ વિસર્જનને લઇને પોલીસ સજ્જ બની છે. જુનીગઢીના ગણેશ વિસર્જનમાં પોલીસ એક્શન મોડમાં છે. મોડી રાત્રે પોલીસે ચાર દરવાજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું. પેટ્રોલિંગ વાન, ઘોડે સવાર, ડ્રોન, ધાબા પોઇન્ટ અને બોડી વોર્ન કેમેરાથી સજ્જ છે. ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા. આજે જુનીગડીના ગણેશજીનું વિસર્જન થશે.
-
જામનગર: હાપામાં આવેલ એલગ્ન સોસાયટીમાં ફૂડ પોઇઝનિંગ
જામનગર: હાપામાં આવેલ એલગ્ન સોસાયટીમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે. 30 ઉપરાંત બાળકો સહિત 100થી વધુને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. તમામે બટેટાના શાક સાથે ભાત આરોગ્યા બાદ અસર થઈ હોવાનો દાવો છે. ગણેશ પંડાલમાં ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ઝાડા-ઉલ્ટી થતા તમામને જી.જી હોસ્પિટલ ખસેડાયા છે. તબીબોએ તાત્કાલિક સારવાર આપી મોટાભાગના દર્દીઓને ભય મુક્ત કર્યા છે.
-
સુરતઃ રૂપિયા 10 લાખની લાંચ કેસમાં વધુ એક કોર્પોરેટરની ધરપકડ
સુરતઃ રૂપિયા 10 લાખની લાંચ કેસમાં વધુ એક કોર્પોરેટરની ધરપકડ થઇ છે. AAPના વધુ એક કોર્પોરેટર જીતુ કાછડીયાની ACBએ ધરપકડ કરી છે. જીતુ કાછડીયા અને વિપુલ સુહાગીયા સામે કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ AAP કોર્પોરેટર જીતુ કાછડીયા ફરાર હતો. કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગની FSLમાં તપાસ ચાલી રહી હતી. FSLની તપાસમાં રેકોર્ડિંગ સાચુ હોવાનું પુરવાર થયું છે. સુરતના SMCના અધિકારીઓની કામગીરી સામે સવાલ સર્જાયા છે.
-
PM મોદીએ પેરાલિમ્પિકમાં મેડલ જિતનાર રમતવીરો સાથે મુલાકાત કરી
વડાપ્રધાન મોદીએ પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જિતનાર રમતવીરો સાથે મુલાકાત કરી. ત્યારે ચર્ચા દરમિયાન ભાલા ફેંક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જિતનાર નવદીપ સિંહે વડાપ્રધાન મોદીને કેમ્પ પહેરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. નવદીપ સિંહ વડાપ્રધાન મોદીને કેમ્પ ગિફ્ટ કરવા માગતા હતા, ત્યારે વડાપ્રધાન મોદીએ જમીન પર બેસી જઈને રમતવીરના કેપ સ્વીકારી હતી. તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વડાપ્રધાન મોદીના આ વર્તનની પ્રશંસા કરી હતી.
Published On - Sep 13,2024 7:43 AM