23 એપ્રિલના મહત્વના સમાચાર : અંબાજીથી 25મી એપ્રિલે ક્ષત્રિય સમાજ ધર્મ રથનું કરાવશે પ્રસ્થાન
Gujarat Live Updates : આજ 23 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ભાજપે પ્રથમ જીત નોંધાવી છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઇ છે. તો સુરતમાં લોકસભાની ચૂંટણી સ્થગિત કરવાની કોંગ્રેસે માગ કરી છે. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું, તાનાશાહીની અસલી ‘સૂરત’ દેશની સામે આવી છે. બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી પંચને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં 17 ફરિયાદો કરી છે. ચૂંટણી ઢંઢેરાને લઈને PMના નિવેદન સામે આચારસંહિતા ભંગનો આરોપ છે. પહેલી મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે વતનની મુલાકાતે વડાપ્રધાન આવશે. દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચારની સભા, લીમખેડામાં સભાને સંબોધન કરશે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…
LIVE NEWS & UPDATES
-
અંબાજીથી 25મી એપ્રિલે ક્ષત્રિય સમાજ ધર્મ રથનું કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠા અંબાજીમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મ રથનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય આગેવાનો દ્વારા ધર્મ રથનો રૂટ જાહેર કરાયો છે. ક્ષત્રિય નારીની અસ્મિતાને લઇ પણ આયોજન કરવામાં આવ્યું છે. 25મી એપ્રિલે ધર્મ રથ અંબાજીથી પ્રસ્થાન કરશે. આ ધર્મ રથનું 25 મી એપ્રિલે સવારે 10:00 કલાકે અંબાજી મંદિરથી પ્રસ્થાન કરાશે. લોકશાહી બચાવો અસ્મિતા ટકાઓનું અપાયું છે સૂત્ર. તાનાશાહી વિરુદ્ધ મતદાન કરવા કરાશે હાંકલ. અંબાજી, દાંતા, મોટાસડા, વડગામ થઈને અંતે પાલનપુરમાં ધર્મ રથનું સમાપન થશે.
-
મહીસાગરના ખાનપુરના ભુવાબાર ગામે ફુંકાયેલા વંટોળીયામાં લગ્નનો મંડપ ઉડ્યો-5ને પહોંચી ઈજા
મહીસાગર જિલ્લાના ખાનપુરના ભુવાબાર ગામે ફુંકાયેલા વંટોળીયામાં લગ્નનો મંડપ ઉડ્યો હતો. આ દુર્ધટનામાં 5 થી વધુ માણસો ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા. ઇજાગ્રસ્તોને નજીકમાં સરકારી દવાખાને લઇ જવાયા હતા. જ્યા એક વૃદ્ધને વધુ ઇજા થતા લુણાવાડા રિફર કરાયા છે. મોરના તળાવ ગામની જાન ભૂવાબાર ગામે આવી હતી.
-
-
ભાજપે મેનિફેસ્ટોનું ગુજરાતી સંસ્કરણ બહાર પાડ્યું
લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોનું ગુજરાતી સંસ્કરણ રાજ્યમાં મતદાનના બે અઠવાડિયા પહેલા મંગળવારે અહીં બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્યમાં ભાજપના એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેરનામું બહાર પાડ્યું. મેનિફેસ્ટોમાં પાર્ટીના કાર્યક્રમો અને મતદારોને આપવામાં આવેલા વચનોની વિગતો આપવામાં આવી છે.
-
કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકરના બંધારણ માટે ખતરો છેઃ યોગી આદિત્યનાથ
બાગપતમાં એક જાહેર સભામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં બે વસ્તુઓ દેખાઈ રહી છે. પ્રથમ- કોંગ્રેસનું કહેવું છે કે તેઓ શરિયા કાયદો લાગુ કરશે. આનો અર્થ એ છે કે તેઓ બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણ માટે ખતરો ઉભો કરવા માંગે છે. તાલિબાન શાસન લાદવા માંગે છે. તેમના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ગરીબી દૂર કરશે. તેઓ દીકરીઓ, બહેનો અને માતાઓના ઘરેણાં જપ્ત કરવાનું કાવતરું કરી રહ્યા છે.
-
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કર્યા
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ધામધૂમ પૂર્વક કરાઈ છે.જે નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કષ્ટભંજન દેવના દર્શને સાળંગપુર મંદિરે પહોંચ્યા હતા.આ દરમિયાન તેમણે અન્નકુટના દર્શન કરી, કષ્ટભંજન દાદાની આરતી ઉતારી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ જય શ્રીરામના નારા લગાવતા મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ BAPS મંદિર ખાતે દર્શને પહોંચ્યા હતા અને સંતો સાથે બેઠક કરી હતી.
-
-
સુરતમાં હનુમાનજીને ચઢાવામાં આવ્યો 5100 કિલો બુંદીનો એક લાડુ
સુરતમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. પાલ અટલ આશ્રમમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. હનુમાનજીને 5100 કિલો બુંદીનો લાડુ ચઢાવવામાં આવ્યા છે. લીમ્કાબુક ,ગોલ્ડન બુક ,એશિયા બુક ,ઇન્ડિયા બુકમાં વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંતમાં મંદિરમાં જય શ્રી રામના નાદથી ગૂંજી ઉઠ્યું છે.
-
બનાસકાંઠા : શોભાયાત્રામાં લોકો પર ભમરાનો હુમલો
- બનાસકાંઠામાં શોભાયાત્રામાં લોકો પર ભમરાનો હુમલો
- 50 કરતા વધુ લોકોને ડંખ મારતાં ઘાયલ
- પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે નીકળી હતી શોભાયાત્રા
- ઈજાગ્રસ્તોને સરવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- ઢીમા APMC નજીક નીકળી હતી શોભાયાત્રા
-
દેવભૂમિ દ્વારકામાં બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ
દેવભૂમિ દ્વારકામાં અકસ્માતની ઘટના બની છે.બ્રિજરાજસિંહ સોઢાનું આર્મીમાં સિલેકશન થતા તે ટ્રેનિંગ માટે હૈદરાબાદ જઈ રહ્યો હતો.ત્યારે રસ્તાની બાજુએ ઉભા હતા. તે દરમિયાન એક પુરપાટ ઝડપે આવેલા કારચાલકે તેને અડફેટે લીધો હતો.પોલીસે કારચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
-
ભાજપની ચિંતામાં થયો વધારો, ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
સુરેન્દ્રનગરમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો આજથી પ્રારંભ કરાવાશે. જેમાં સતત 3 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 30 થી વધુ ગામોમાં ક્ષત્રિયો અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે તેવુ સમાજના આગેવાનોનું કહેવુ છે. આ સાથે જ ગામે – ગામ બુથ લેવલ પર ભાજપ વિરોધમાં મતદાન થાય તે માટે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના યુવકોની કમિટીની રચના કરાઈ છે.
-
સુરત: કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વ્યક્ત કર્યો રોષ
સુરતમાં કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી રોષ વ્યક્ત કર્યો છે. લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈ વિરોધ કર્યો છે. કુંભાણીના ઘર બહાર કોંગ્રેસ નેતાઓએ પોસ્ટર લગાવ્યા છે. સરથાણા વિસ્તારમાં નિલેશ કુંભાણીના ઘરે તાળા લગાવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી નિલેશ કુંભાણી અને પરિવાર ઘરે નથી જેની માહિતી તેમના પાડોશીએ આપી છે. નિલેશ કુંભાણી ક્યાં છે તે કોઈને નથી ખબર. સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખને પણ નથી ખબર કે નિલેશ કુંભાણી ક્યાં છે?
-
રાજકોટ: મોજ નદીના પુલ પર ભારે વાહનોને જવા પર પ્રતિબંધ
રાજકોટમાં મોજ નદીના પુલ પર ભારે વાહનોને જવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. 100 વર્ષ જૂના પૂલ પર ભારે વાહનની અવર-જવર બંધ કરાઈ છે. લોખંડના ગડર લગાવી પૂલ બંધ કરવામાં આવ્યો છે. પૂલનું સ્ટ્રક્ચર નબળું પડી જવાથી જિલ્લા કલેકટરએ આ નિર્ણય લીધો છે. જાહેરનામું બહાર પાડી ભારે વાહન જવા પર રોક લગાવાઇ છે. પૂલ પર નાના વાહનને અવર-જવરની છૂટ અપાઈ છે.
-
રાજકોટના કાલાવડ રોડ પર પાણીના ટાંકામાં પડી જતા એક વ્યક્તિનું મોત
રાજકોટમાં પાણીના ટાંકીમાં પડી જતા યુવકનું મોત થયુ છે. મહેશ ચૌહાણ નામના યુવકનું મોત નિપજ્યુ છે. અમીન માર્ગ પર આ ઘટના બની છે. ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી યુવકને બહાર કાઢ્યો છે. સિવિલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા છે.
-
યાત્રાધામ પાવાગઢમાં ચૈત્રી પૂનમ હોવાથી ભક્તોની ભીડ
યાત્રાધામ પાવાગઢમાં ચૈત્રી પૂનમ હોવાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મહાકાળી માતાજીના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડ્યા છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ભકતો માતાજીના દર્શનાર્થે આવ્યા છે. માતાજીનું નિજ મંદિરનું પ્રાંગણ વહેલી સવારથી ભક્તોથી છલકાયું છે.
-
અમદાવાદની રાજસ્થાન હિન્દુ હાઈસ્કૂલ સામે DEOએ આપ્યા તપાસના આદેશ
અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે પરિણામના દિવસે જ વાલીઓના હાથમાં વિદ્યાર્થીઓનું LC પકડાવી દીધું અને કહી દીધું કે, હવે અમારી પાસે હિન્દી મીડિયમના શિક્ષક નથી. જેથી તમારા બાળકને લઈ જાઓ. સીધા જ હાઈસ્કૂલના આવા આદેશથી વાલીઓના માથે આભ તુટી પડ્યું અને વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો, હવે રાજસ્થાન હિન્દુ હાઈસ્કૂલ સામે DEOએ તપાસના આદેશ આપ્યા છે.
-
સુરતમાં આયુર્વેદિકની આડમાં નશાકારક ગોળીઓની હેરાફેરી ઝડપાઈ
સુરતમાં આયુર્વેદિકની આડમાં નશાકારક ગોળીઓની હેરાફેરી ઝડપાઈ છે. SOGએ 6.65 લાખ રુપિયાની કિંમતની 66,560 નશાકારક ગોળી કબજે કરી છે. કરિયાણાની દુકાન મારફતે નશાકારક ગોળીઓનું વેચાણ થતુ હતુ. ગોડાદરા વિસ્તારમાં ટેમ્પામાં નશાકારક ગોળીઓ લઈ જવાતી હતી. પોલીસે ટેમ્પો ડ્રાઇવર ચંદુ લાઠીયાની ધરપકડ કરી છે.
-
ફોર્મ રદ થયા બાદથી જ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા
સુરત લોકસભા બેઠક પરનું ફોર્મ રદ થયા બાદથી જ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થયા છે. સરથાણા વિસ્તારમાં તેમના ઘરને તાળા જોવા મળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી તેમના ઘરે તાળા લટકતા જોવા મળી રહ્યા છે. નિલેશ કુંભાણી ક્યાં છે તેની કોઈને ખબર નથી.
-
ગુજરાતમાં 50,787 બૂથ પૈકી 13,600થી વધુ બૂથ સંવેદનશીલ
ગુજરાતમાં 50,787 બૂથ પૈકી 13,600થી વધુ બૂથ સંવેદનશીલ છે. આ તમામ સંવેદનશીલ બૂથો પર વધુ બંદોબસ્ત ગોઠવાશે. 27 ટકા બૂથ સંવેદનશીલ પર દરેક બૂથ પર 4 SRP જવાનો હાજર રહેશે. SRPની કુલ 112 પૈકી 10 કંપનીના સશસ્ત્ર જવાનોને મતદાન મથકની સુરક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં 450 ક્રિટિકલ મથકો ઘટ્યા છે.
-
મલેશિયામાં 2 સૈન્ય હેલિકોપ્ટરની હવામાં ટક્કર, 10 લોકોના મોત
મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટરની હવામાં ટક્કર થઇ છે. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.
-
1 મે ના દિવસે દાહોદની મુલાકાતે PM
ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન ગુજરાત આવવાના છે. પહેલી મેના દિવસે દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે PM મોદી પ્રચાર કરશે. લીમખેડામાં PM મોદી સભાને સંબોધન કરશે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વાર વડાપ્રધાન વતન આવશે. ગુજરાતની 26 માંથી 26 બેઠકો કબજે કરવાનો ભાજપનો પ્રયત્ન છે.
-
વિરમગામ બાયપાસ રોડ પર મોડી રાત્રે ટ્રકમાં લાગી આગ
વિરમગામ બાયપાસ રોડ પર મોડી રાત્રે ટ્રકમાં આગ લાગી હતી. રાજકોટથી ચંડીગઢ જતી ટ્રકમાં આગ લાગતા તે બળીને ખાખ થઇ ગયા છે. ટ્રકમાં ભંગાર હોવાની પ્રાથમિક માહિતી છે. વિરમગામ નગરપાલિકા ફાયર વિભાગની ટીમે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે.
-
અમદાવાદ: બાવળાથી રૂપાલ જવાના માર્ગે દુર્ઘટના
અમદાવાદના બાવળાથી રૂપાલ જવાના માર્ગે દુર્ઘટના સર્જાઇ છે. 2 કાર સામ-સામે અથડાતા 11 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને બાવળા સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. 4 ઇજાગ્રસ્તોને સોલા સિવલ હોસ્પિટલ લઇ જવાયા છે. ખાનગી કંપનીથી ઘર તરફ કામદારો જઇ રહ્યા હતા. ઇજાગ્રસ્તો ધોળકાના સરગાવાડાના હોવાનું સામે આવ્યું છે. બાવળા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
-
વડોદરા કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલ ટોલનાકા પર અકસ્માત
વડોદરા કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલ ટોલનાકા પર અકસ્માત સર્જાયો છે. જેમાં પોલીસ વાન અને બાઈક વચ્ચેની ટક્કરમાં બાઈકચાલકનું મોત નિપજ્યું છે. જે ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે બાઈક સવાર રોંગ સાઈડ જઈ રહ્યો છે. જે દરમિયાન સામેથી આવતી પોલીસવાન સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક બાઈક ચાલક ભરથાણા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
બોટાદ: હનુમાન જયંતીની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણીની તૈયારી
બોટાદમાં હનુમાન જયંતીની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણીની તૈયારી ચાલી રહી છે. ભક્તોનું ઘોડાપુર બળિયા બજરંગીના દર્શને સાળંગપુરમાં ઉમટ્યું છે. સાળંગપુરથી હનુમાનજી મહારાજની મૂર્તિ અને મંદિરના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે.
Published On - Apr 23,2024 7:17 AM