17 માર્ચના મહત્વના સમાચાર : LPG ટેન્કર નંદાદેવી આજે ગુજરાતના બંદરે પહોંચશે, જહાજ પર છે 46 હજાર મેટ્રિક ટન LPG
આજે 17 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા
ઉનાળામાં તાપમાન વધતા ગુજરાતમાં આજે ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદની આગાહી જોઈ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે, કારણ કે પાકને નુકસાન થવાની શક્યતા વધેલી છે.
-
પંચમહાલઃ ગોધરા-વડોદરા હાઈવે પર 3 વાહન વચ્ચે અકસ્માત
પંચમહાલ જિલ્લામાં ગોધરા–વડોદરા હાઈવે પર ખરસલીયા ચોકડી પાસે કન્ટેનર, ટ્રેલર અને વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં GRD જવાન સહિત બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાનમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યો પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક પણ અસરગ્રસ્ત બન્યો હતો.
-
-
અમદાવાદ: વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં બેના મોત
અમદાવાદ જિલ્લાના વિરમગામ હાઈવે પર વિરોચનનગરના પાટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કેટલાક વાહનોમાં આગ લાગી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગના કારણે કારમાં સવાર બે લોકો જીવતા જ ભસ્મીભૂત થઈ જતા તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને પોલીસ દ્વારા વાહન વ્યવહારને નિયમિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
-
LPG ટેન્કર નંદાદેવી આજે ગુજરાતના બંદરે પહોંચશે
ગુજરાતમાં ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. નંદાદેવી નામનું LPG ટેન્કર આજે ગુજરાતના જામનગર નજીક આવેલા વાડીનાર પોર્ટ પર પહોંચવાનું છે. આ જહાજ પર અંદાજે 46 હજાર મેટ્રિક ટન LPGનો મોટો જથ્થો છે. બંદરે પહોંચ્યા બાદ આ ગેસનો જથ્થો અન્ય બે નાના જહાજ MTBW બ્રિઝ અને MD જગ પ્રતાપમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ આ નાના જહાજો દ્વારા LPGનો જથ્થો તામિલનાડુના બંદર સુધી પહોંચાડવામાં આવશે, જ્યાં અંદાજે બે દિવસમાં ગેસ પહોંચવાની શક્યતા છે. આ પુરવઠાથી ગેસની અછત વચ્ચે થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
ટપાલ વિભાગની નવી 24 કલાક ચાલતી સ્પીડ પોસ્ટ સેવા આજે શરૂ થશે
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે ટપાલ વિભાગની નવી 24 કલાક ચાલતી સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરશે. પ્રથમ તબક્કામાં, આ સેવા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં ઉપલબ્ધ થશે.
-
આજે 17 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Mar 17,2026 7:33 AM
