જસદણમાં વિકાસના નામે મજાક ! હાથથી ઉખડી રહ્યો છે નવો બનેલો ડામર રોડ; ભ્રષ્ટાચારના આરોપ સાથે જનતાનો ભારે આક્રોશ
જસદણથી ખાનપર સુધીનો રોડ બનતા જ વિવાદોમાં ઘેરાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જનતાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં આવ્યું છે. જાણો કેવી રીતે 1 કિમીના રસ્તે તંત્રની પોલ ખોલી નાખી.
રાજકોટના જસદણથી ખાનપર વચ્ચે બનેલા નવા રસ્તાએ ફરી એકવાર સરકારી કામગીરીમાં થતા લોટ-પાણીને લાકડા જેવા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે. માત્ર 1 કિમીનો રસ્તો હજુ હમણાં જ બન્યો છે, ત્યાં તો તેની હાલત એવી થઈ ગઈ છે કે લોકો તેને હાથથી ઉખેડી રહ્યા છે.
તંત્રની મિલીભગત કે જનતા સાથે દ્રોહ?
સ્થાનિકોમાં ભારે રોષ છે કે જ્યારે જનતા પાસેથી પૂરેપૂરો ટેક્સ સમયસર વસૂલવામાં આવે છે, તો પછી સુવિધાના નામે આવો ‘ઠગાઈ’ જેવો રોડ કેમ? લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓ વચ્ચે પહેલેથી જ કમિશન નક્કી થઈ ગયા હોય છે? કેમ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવા છતાં કોઈ અધિકારી લાલ આંખ નથી કરતું?
ચૂંટણીલક્ષી કામગીરીનો આક્ષેપ
વાહનોની અવર-જવર માટે ડાયવર્ઝન ન હોવાને કારણે ગ્રામજનોએ 4 કિમીનો ફેરો ખાવો પડ્યો, અને આટલી તકલીફ વેઠ્યા પછી જે રસ્તો મળ્યો તે સાવ ખસ્તા હાલતમાં છે. સ્થાનિકોના મતે, ચૂંટણી સમયે જનતાને બતાવવા માટે ઉતાવળે આવા નબળા કામો કરીને માત્ર સરકારી તિજોરી સાફ કરવામાં આવે છે.
હાલ તો ગ્રામજનોએ આ હલકી ગુણવત્તાની કામગીરીનો ઉગ્ર વિરોધ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની અને નવો, મજબૂત રસ્તો બનાવી આપવાની માંગ કરી છે. સવાલ એ છે કે શું જનતાના અવાજ પર તંત્ર જાગશે ખરું?
(ઈનપુટ ક્રેડિટ: રાજેશ લિંબાચીયા)
આ પણ વાંચો:
ચૂંટણી સમયે જ AMTSએ ખોલી તંત્રની પોલ, ગોતામાં ખોદાયેલા ખાડામાં બસ ખાબકતા તંત્ર સામે સવાલો
“ટેક્સ ઉઘરાવો છો તો સુવિધા ક્યાં?”, 565 ફ્લેટના રહિશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ
વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ: “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે રહીશો મેદાને, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ
Breaking News : કેરીના રસિયાઓ માટે સારા સમાચાર: તાલાળા યાર્ડમાં કેસરની હરાજીની તારીખ જાહેર
