12 જુલાઈના મહત્વના સમાચાર : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે માટે પ્રચાર કરશે મમતા બેનર્જી
Gujarat Live Updates : આજ 12 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
![12 જુલાઈના મહત્વના સમાચાર : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે માટે પ્રચાર કરશે મમતા બેનર્જી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Feature-Image-Live-Blog-Breaking-News-2-1.jpg?w=1280)
અંકલેશ્વરમાં નોકરી માટે યુવાનોની ભીડ પર રાજકારણ ગરમાયું છે. મુમતાજ પટેલ અને રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું, તો ભાજપે પણ પલટવાર કરતા કહ્યું.. ગુજરાતની કોઈપણ વાતને નકારાત્મક બનાવવી તે કૉંગ્રેસની માનસિકતા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઊર્જાપ્રધાનને પત્ર લખ્યો. જેમાં જિલ્લામાં અને રાજ્યમાં સ્માર્ટ મીટર ન લગાવવાનો ઉલ્લેખ કર્યો, જો સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તો ઉગ્ર વિરોધની ચીમકી આપી. વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો અરજી પર સુનાવણી. અગાઉ કોર્ટે તત્કાલીન બે મ્યુનિસિપલ કમિશનરો સામે કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો હતો. રાજકોટના ગોંડલમાં ખોડિયારનગર નાળામાં ખાડા પડતા અનેક લોકો ગરકાવ થયા. જીવન જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા લોકો. તંત્ર દ્વારા નક્કર પગલાં નહીં લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે મુંબઈમાં યોજાશે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે. દેશ વિદેશના વીવીઆઇપી મહેમાનો હાજર રહેશે.. તાજથી લઈને મુંબઇની તમામ હોટલમાં મહેમાનો માટે બૂક છે.
LIVE NEWS & UPDATES
-
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે માટે પ્રચાર કરશે મમતા બેનર્જી
શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, હું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉદ્ધવ ઠાકરે માટે પ્રચાર કરવા મહારાષ્ટ્રમાં ચોક્કસ આવીશ.
-
અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે હાલ સુધી 27 સ્થળોએ ભુવા પડ્યા
અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે હાલ સુધી 27 સ્થળોએ ભુવા પડ્યા છે. 27 પૈકી 22 સ્થળોએ ભુવાના સમારકામ પૂર્ણ થયાનો તંત્રે દાવો કર્યો છે. 45 વર્ષ જૂની લાઈનમાં ગેસ બનતો હોવાથી રોડ બેસી જવાના કારણે ભૂવો પડતો હોવાનું તારણ રજૂ કરવામાં આવ્યું છે. આથી તબક્કાવાર શહેરની પાઈપ બદલવા અંગે AMC નું આયોજન છે. શહેરમાં મોટાભાગના રોડમાં રિહેબીલીટેશનની કામગીરી કરાઈ રહી હોવાનો વોટર કમિટી ચેરમેનનો સ્વીકાર કર્યું છે.
-
-
કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમનાથ વચ્ચે 23.33 કિલોમિટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે ફાળવ્યાં રૂ. 466 કરોડ
ધોલેરા SIR ને રેલવે નેટવર્ક સાથે જોડવાના ઉદ્દેશથી, ધોલેરા- ભીમનાથ વચ્ચે 23.33 કિલોમીટરની નવી બ્રોડગેજ લાઈન નખાશે. ધોલેરા- ભીમનાથ બ્રોડગેજ રેલવે લાઈન માટે કેન્દ્ર સરકારે 466 કરોડની ફાળવણી કરી છે.
-
શકિતસિંહ ગોહિલનો દાવો-શ્રીલંકાના પ્રવાસે ગયેલા 15 ગુજરાતીઓને કોલંબો રિમાન્ડ પ્રિઝન ખાતે કેદ કરાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શકિતસિંહ ગોહિલે દાવો કર્યો હતો કે, શ્રીલંકના પ્રવાસે ગયેલા 15 ગુજરાતીઓને કોલંબો રિમાન્ડ પ્રિઝન ખાતે કેદ કરાયા છે. અગાઉ પણ વિદેશમાં સારી નોકરી આપવાનું કહીને બાલાસિનોરથી યુવાનોને થાઈલેન્ડ બોલાવીને ગોધી રખાયા હતા. આ ગુજરાતીઓને મુક્ત કરાવવામાં આવે તેવી માંગ તેમણે વિદેશ મંત્રાલય, એમ્બેસી તથા વડાપ્રધાન સમક્ષ કરી છે.
-
બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં સપ્તાહના વિરામ બાદ ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં સપ્તાહના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બરવાળા શહેરના મોરી શેરી, વાગડીયા શેરી, શાક માર્કેટ, મુખ્ય બજાર, ખારા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં વરસાદ વરસ્યો છે. તો બરવાળા તાલુકાના સાળંગપુર, ખાંભડા, બેલા, ટીંબલા, કુંડળ, રામપરા, રોજીદ, ખમીદાણા સહિતના તાલુકા પંથકમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે.
-
-
આગામી પાંચ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ
આગામી પાંચ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે પડશે. નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા સાબરકાંઠા, મહેસાણામાં વરસાદ વરસી શકે છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
-
વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર
વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે. એડવોકેટ જનરલે જણાવ્યુ કે સનરાઇઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે નહોતી લેવાઇ મંજૂરી. જે શાળા આવી પ્રવૃતિ કરે તેમણે પૂર્વમંજૂરી લેવી ફરજિયાત હોય છે. પીડિત પક્ષ વતી કરાયેલી અરજી હાઇકોર્ટે માન્ય રાખી. મેસર્સ કોટિયા પ્રોજેક્ટને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા. સનરાઇઝ સ્કૂલને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા.
-
અમદાવાદ : શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવા લેવાયો નિર્ણય
આગની ઘટના છૂપાવ્યા બાદ શાંતિ એશિયાટીક શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવા નિર્ણય લેવાયો છે. સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ના થયા ત્યાં સુધી શાળા બંધ રહેશે. જ્યાં સુધી શાળા બંધ રહે ત્યાં સુધી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે. જરૂરી તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ જ શાળાને ઓફલાઇન શિક્ષણ શરુ કરવા મંજુરી અપાશે.
-
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં અનુભવાયો ધરતીકંપ
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી છે. ભૂકંપથી ઉત્તર કાશ્મીરના ઘણા ભાગો પ્રભાવિત થયા છે.
-
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
વડોદરાના વાઘોડિયા રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. વૈકુંઠ સોસાયટી તરફ જતાં 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતાં ભૂવો પડ્યો છે. 10 ફૂટ જેટલો મોટો ભૂવો પડતા એક તરફનો રોડ બંધ કરાયો છે. કોર્પોરેશને ભૂવો પડતાં બેરીકેટિંગ લગાવી એક તરફનો રોડ બંધ કર્યો છે. ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યો. 3-4 દિવસ બાદ ભુવાનું સમારકામ કરવામાં આવશે.
-
સુરત: અલથાણના ખાડી વિસ્તારમાં સ્કૂલ વાન ફસાઇ
સુરત: અલથાણના ખાડી વિસ્તારમાં સ્કૂલ વાન ફસાઇ. ઘૂંટણ સમા વરસાદી પાણીમાં સ્કૂલ વાન ફસાતા વિદ્યાર્થિઓએ સ્કૂલ વાનને ધક્કા મારવા પડ્યા. એક જ જગ્યા પર પાણી ભરાઇ જતા વાન બંધ પડી ગઇ હતી. વરસાદી પાણી ભરાઇ જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો
-
અમદાવાદ: શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગ વિશે છુપાવાયુ
અમદાવાદઃ શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગની ઘટનાને શાળાએ વાલીઓ અને ફાયર વિભાગથી છુપાવી. વાલી અને DEOની ટીમ ઘટનાસ્થળ પર પહોંચતા શાળાએ ભૂલ સ્વીકારી. આગની ઘટનાના એક દિવસ બાદ શાળાએ આગ લાગી હોવાનું સ્વીકાર્યું. શાંતિ એશિયાટિક સ્કૂલે આગ લાગી હોવાનો સ્વીકાર કર્યો. ગઈકાલે શાળાએ આગ લાગી જ ના હોવાનું તરકટ રચ્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા બાદ સ્વીકાર કર્યો.
Fire broke out in Shanti Asiatic School , school authority plays Hide and Seek | #Ahmedabad #Gujarat pic.twitter.com/U9XHadzEzj
— Tv9 Gujarati (@tv9gujarati) July 12, 2024
-
24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસ્યો વરસાદ
24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસ્યો વરસાદ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સુરત, બોરસદ અને વાપીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના પાંચ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં ગાજવીજ સાથે વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
-
રાજકોટ: કાલાવડ રોડ પર હિટ એન્ડ રનમાં વૃદ્ધાનું મોત
રાજકોટ: કાલાવડ રોડ પર હિટ એન્ડ રનમાં વૃદ્ધાનું મોત થયુ છે. કારચાલકે વૃદ્ધાને ચાર કિલોમીટર સુધી ઢસળ્યાનો દાવો થઇ રહ્યો છે. ગત મોડી રાત્રે કારચાલકે કણકોટ ગામ નજીક વૃદ્ધાને અડફેટે લીધા હતા. અકસ્માતમાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. બેફામ કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
-
પાટણના રાધનપુર પાસે ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 4ના મોત
પાટણ: રાધનપુર પાસે ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે, તો ઇજાગ્રસ્ત 3 લોકોની હાલત ગંભીર છે. બસના ડ્રાઇવર, કંડકટર તેમજ ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનું મોત થયુ છે. ST બસમાં સવાર મુસાફરોને નાનીમોટી ઇજાઓ થઈ છે. આણંદ રાપર ST બસનો વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો.
-
નેપાળમાં ભૂસ્ખલન થતા બે બસ નદીમાં ખાબકી, 60 મુસાફરો ડૂબ્યા
નેપાળમાં વહેલી સવારે ખૂબ જ ભયંકર દુર્ઘટના બની છે. 63 મુસાફરો ભરેલી બે બસ જઇ રહી હતી તે દરમિયાન ભૂસ્ખલનને કારણે બંને બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માત સવારે લગભગ 3.30 વાગે થયો હતો.
-
અમદાવાદ : ગાંધી આશ્રમ નજીક સર્જાયો અકસ્માત
અમદાવાદ : ગાંધી આશ્રમ નજીક અકસ્માત સર્જાયો છે. હોન્ડા સિટી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી વીજ પોલ સાથે ટકરાઇ હતી. દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.
-
મુંબઈની જેમ અમદાવાદમાં પણ બનશે પોડિયમ પાર્કિંગ
મુંબઈની જેમ અમદાવાદમાં પણ પોડિયમ પાર્કિંગ બનશે. વર્ટિકલ ડેવલોપમેન્ટના લીધે પોડિયમ પાર્કિંગ બનાવાશે. AMCએ 22 ઇમારતોને પોડિયમ પાર્કિંગની મંજૂરી આપી છે. સૌથી વધુ નોર્થ ઝોનમાં 12 ઇમારતોને મંજૂરી અપાઈ છે. 4 હજાર ચોરસ મીટર જગ્યા અને 25 મીટર ઊંચાઇ ધરાવતા એકમોને લાભ મળશે. 20થી 25 માળની ઈમારતોમાં પોડિયમ પાર્કિંગ બનાવાશે. ઉંચી ઇમારતોમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.
-
પાટણ: ધારાસભ્ય કિરીટ પટેલે ઊર્જાપ્રધાનને લખ્યો પત્ર
પાટણ: ધારાસભ્ય કિરીટ પટેલે ઊર્જાપ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે જિલ્લામાં અને રાજ્યમાં સ્માર્ટ મીટર ન લગાવવા પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.કિરીટ પટેલે જણાવ્યુ કે વિરોધ બાદ સ્માર્ટ મીટરને લગાડવાની ના પાડી હોવા છતાં શા માટે લગાવાય છે. હાઇકોર્ટમાં કરેલ સ્માર્ટ મીટરની અરજી પણ કોર્ટમાં વિચારાધીન હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો.
Published On - Jul 12,2024 7:17 AM