11 જુલાઈના મહત્વના સમાચાર : ભારતના શ્રીલંકા પ્રવાસની તારીખ જાહેર, 3 T20 અને 3 વન ડે મેચ રમશે
Gujarat Live Updates : આજ 11 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
દેવભૂમિ દ્વારકાના ધારાગઢ ગામે એક પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત થયા છે. રેલવે ફાટક પાસે તમાના મૃતદેહ મળ્યા છે. સામૂહિક આપઘાતનું પ્રાથમિક અનુમાન છે. કચ્છમાં સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઇ છે. ભચાઉ કોર્ટે જામીન રદ કરી ધરપકડનો આદેશ આપ્યો હતો. મહેસાણાના 79 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા અંગે રાજ્ય સરકારે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું. 8 વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માગ હતી. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ફિલ્મી ઢબે 40 લાખની લૂંટ થઇ છે. રિક્ષામાં જઇ રહેલા આંગડિયા કર્મીઓને આંતરીને બે લૂંટારૂઓએ લૂંટ ચલાવી. રાજકોટ અગ્નિકાંડના દોઢ મહિના બાદ પીડિત પરિવારો સાથે CMએ મુલાકાત કરી. સુપ્રીમના નિવૃત્ત જજ પાસે તપાસ સહિતની 12 માગ મુકવામાં આવી. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે. બોટાદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ છે. આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે.
LIVE NEWS & UPDATES
-
નડિયાદ સ્થિત લક્ષ્મી સ્નેક્સ પ્રા.લી. કંપનીને 1.10 લાખનો દંડ
રીયલ નામથી વિવિધ પ્રોડક્ટોનું ઉત્પાદન કરતી ખેડાના નડિયાદ સ્થિત લક્ષ્મી સ્નેક્સ પ્રા.લી. કંપનીને ફૂડ વિભાગ દ્વારા રૂપિયા 1.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિયલ બ્રાન્ડના ફૂડ પ્રોડક્ટનો નમૂનો મિસ બ્રાન્ડ આવતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા બજારમાંથી ખાદ્ય પદાર્થના નમુના લઇ ચેક કરતા મિસ બ્રાન્ડ આવતા કાર્યવાહી કરાઈ છે. લક્ષ્મી સ્નેક્સ, રીયલ નામથી વિવિધ પ્રોડક્ટોનું કરે છે ઉત્પાદન. ફૂડ વિભાગ દ્વારા કરમસદ સ્થિત કરિયાણાની દુકાનમાંથી ખાદ્ય પદાર્થનો નમૂનો લઇ પરીક્ષણ કરાવતા મિસ બ્રાન્ડ જાહેર થયું હતું.
-
NEET પેપર લીક કેસમાં ‘કિંગપિંગ’ રોકીની ધરપકડ, CBIએ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા
NEET પેપર લીક કેસમાં સીબીઆઈએ આ પેપરફોડ ગેંગના કિંગપીન ગણાતા રોકી ઉર્ફે રાકેશ રંજનની ધરપકડ કરી છે. CBIએ રોકીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ પર લીધો છે. જ્યારે, સીબીઆઈ આ કેસમાં હાલમાં 4 સ્થળોએ દરોડા પાડ્યા છે. રોકી સંજીવ મુખિયાનો સંબંધી હોવાનું કહેવાય છે.
-
-
CISF-BSFમાં ભૂતપૂર્વ અગ્નિવીર માટે 10% જગ્યા અનામત, ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં અગ્નિવીરની ભરતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. CISFએ આ અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. CISF DG નીના સિંહે કહ્યું છે કે હવે કોન્સ્ટેબલની ભરતીમાં 10 ટકા પોસ્ટ અગ્નિવીર માટે અનામત રાખવામાં આવશે. ઉપરાંત, તેઓને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાં મુક્તિ આપવામાં આવશે.
-
મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ મંદિરની વિવાદિત દીવાલ અથડાયો પાલિકાનો હથોડો
મોરબીમાં મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ મંદિરની વિવાદિત દીવાલ તોડવાનું શરૂ કરાયું છે. દીવાલની જે ઊંચાઈ વધારવામાં આવી હતી, તે GDCR ના નિયમ મુજબ તોડવા માટે પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી માત્ર દીવાલ પરના માત્ર પિલર તોડવાનું કામ કરાતુ હતું.
-
ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને નોટિસ, દિશા સાલિયાન મૃત્યુ કેસમાં કરાશે તપાસ
પોલીસ દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં નીતિશ રાણેની પૂછપરછ કરવા માંગે છે. આ મામલામાં ભૂતકાળમાં નીતિશ રાણેએ દાવો કર્યો હતો કે, દિશાના મોત પાછળ મોટા લોકો, નેતાઓ અને મંત્રીઓનો હાથ છે. દિશાના મૃત્યુ પછી તરત જ અભિનેતા સુશાંતસિંહનું પણ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. દિશા સાલિયાન, ફિલ્મ કલાકાર સુશાંતની મેનેજર હતી.
-
-
ભ્રષ્ટાચારને લગતા ગંભીર આરોપ બાદ ફી રેગ્યુલેટરી કમિટી અમદાવાદ ઝોનમાંથી CA ભરત પટેલની સરકારે કરી હકાલપટ્ટી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત પટેલને, ફી રેગ્યુલેટરી કમિટી (FRC) અમદાવાદ ઝોનના સભ્ય પદેથી હટાવાયા છે. ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ તેમજ ખોટા કાર્યોની શ્રેણીબદ્ધ ગંભીર ફરિયાદો બાદ, સરકારે પગલાં ભર્યા છે. CA ભરત પટેલની સામે ખાનગી શાળા સંચાલકો અને ટ્રસ્ટી મંડળમાંથી ભ્રષ્ટાચારને લગતા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.
-
સુરતમાંથી જાણીતી બ્રાન્ડનું ઝડપાયું નકલી ખાદ્ય તેલ
સુરતના લીંબાયત વિસ્તારમાંથી જાણીતી બ્રાન્ડના ખાદ્યતેલના ડબ્બા મળી આવ્યા છે. કંપનીના કર્મચારીએ પોલીસને સાથે રાખી લીંબાયત વિસ્તારમાં દરોડા પાડીને જાણીતી બ્રાન્ડનું બનાવટી ખાદ્યતેલના ડબ્બા ઝડપી લીધા છે. નકલી તેલ વેચનાર કરિયાણા માલિક સામે લીંબાયત પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
ટ્રેઇની IAS પૂજા ખેડકરની વિવાદોમાં ફસાયા બાદ બદલી
ટ્રેઇની IAS પૂજા ખેડકરની વિવાદોમાં ફસાયા બાદ બદલી થઇ છે. સિવિલ સર્વિસ ઓફિસર તરીકે પોતાની સત્તાનો દૂરઉપયોગ કર્યાનો આરોપ છે. પુણેથી મહારાષ્ટ્રના વાશિમ ખાતે બદલી કરવામાં આવી. 30 જુલાઈ 2025 સુધી વાશિમમાં પોતાની સેવા આપશે.
-
અમદાવાદ : કોંગ્રેસના 5 કાર્યકરોની જામીન અરજી કોર્ટે ફગાવી
અમદાવાદઃ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના 5 કાર્યકરોની જામીન અરજી કોર્ટે ફગાવી છે. કોંગ્રેસના કાર્યકરોને હજુ જેલમાં જ રહેવું પડશે. ધરપકડ કરાયેલા કાર્યકરોએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. હાલ પાંચેય આરોપીઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગઈકાલે બંને પક્ષે સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
-
ભરૂચઃ અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામ
ભરૂચઃ અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. હાઈવે પર 5 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે. ભારે ટ્રાફિકજામથી વાહનચાલકો અટવાયા છે.
-
બનાસકાંઠા: દાંતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
બનાસકાંઠા: દાંતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. બે દિવસનાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે. રતનપુરથી પુંજપુર તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
આજની વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ ટ્રેન કરવામાં આવી રિશિડ્યુઅલ
11.07.2024ની ટ્રેન નં. 16333 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ પેરિંગ રેક મોડી ચાલવાને કારણે વેરાવળથી 4 કલાક અને 10 મિનિટ મોડી 11.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
-
વિસાવદરમાં 20 માલધારીઓ સામે નોંધાઈ ફરિયાદ
જૂનાગઢ: ગૌચરની જમીનને ખાલી કરાવવાની માગ સાથે વિરોધનો મામલે વિસાવદરમાં 20 માલધારીઓ સામે ફરિયાદ નોંધાઈ. TDO અને મામલતદારે માલધારીઓ સામે ફરીયાદ નોંધાવી. માલધારીઓ બે દિવસથી પોતાના પશુઓ મામલતદાર કચેરી લાવી વિરોધ કરી રહ્યા હતા. 48 કલાકથી પશુઓ મામલતદાર કચેરીમાં રજળી રહ્યા હતા. જેથી જાહેરનામાના ભંગની માલધારીઓ સામે ફરિયાદ નોંધાઇ.
-
રાજકોટ: ઉપલેટાના વેણુ ડેમમાં પાણીની પુષ્કળ આવક
રાજકોટ: ઉપલેટાના વેણુ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે.ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં 3 ફૂટ પાણીની આાવક થઇ છે. વેણુ 2 ડેમની સપાટી 46.72 ફુટે પહોંચી છે. હાલ ઉપરવાસમાંથી 1963 ક્યૂસેક પાણીની આવક ચાલુ છે. વેણુ 2 ડેમમાં નવા નીરની આવકને પગલે લોકોમાં ખુશી જોવા મળી.
-
અમદાવાદ: બાવળાના કેરાળામાં બોગસ ડોક્ટરથી ચાલતી હોસ્પિટલ સીલ
અમદાવાદ: બાવળાના કેરાળામાં બોગસ ડોક્ટરથી ચાલતી હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. અનન્યા મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ સીલ કરાઈ છે. મેહુલ ચાવડા નામનો શખ્સ આ હોસ્પિટલ ચલાવતો હતો. ડૉ. મનિષા અમરોલીયાના નામે આ પ્રોપર્ટી નોંધાયેલી છે. થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં એક સગીરાનું મોત નિપજ્યું હતું. વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. સ્ટાફ રાજ્ય બહારનો બિન શૈક્ષણિક અને બિન અનુભવી હોવાનો ખુલાસો થયો છે.
-
NEET-UG 2024 પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
NEET-UG 2024 પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. પેપર લીક અને ગેરરીતિ મામલ અનેક અરજીઓ દાખલ કરાઈ છે. તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. કેન્દ્ર સરકારે NEET પરીક્ષા અંગે ફરી એક નવું સોગંદનામું દાખલ કર્યું છે. સરકારનું કહેવું છે કે મોટા પાયે ગડબડના કોઈ સંકેત નથી. NEET કાઉન્સેલિંગ જુલાઈના ત્રીજા સપ્તાહથી શરૂ થશે.
-
દેવભૂમિદ્વારકાઃ ધારાગઢમાં પરિવારનો સામુહિક આપઘાત
દેવભૂમિદ્વારકાઃ ધારાગઢમાં પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. જામનગરના બ્રાસના ઉદ્યોગકારે સહપરિવાર આપઘાત કર્યો છે. ધારાગઢની સીમમાં ઝેરી દવા પીને પરિવારના 4 સભ્યોએ મોતને વ્હાલ કર્યું છે. સામુહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. ભાણવડ પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
જામનગરઃ વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ
જામનગરઃ વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. બિલ્ડર નંદલાલ સંઘાણીએ દવા પીને આપધાતનો પ્રયાસ કર્યો છે. ધ્રોલના સોયલ ટોલનાકા નજીક બિલ્ડરે ઝેરી દવા પીધી હતી. બિલ્ડર નંદલાલ સંઘાણીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કારણભૂત હોવાનો પરિવારજનો આરોપ છે. વ્યાજખોરો ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાનો આરોપ છે.
Published On - Jul 11,2024 7:25 AM