05 એપ્રિલના મહત્વના સમાચાર : ચૂંટણી જંગ માટે ‘કોંગ્રેસ’ સજ્જ! 7 મહાનગરપાલિકાના 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, અમદાવાદમાં સૌથી વધુ 90 નામ
Gujarat Live Updates : આજ 05 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 05 એપ્રિલને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કોંગ્રેસે 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે 7 મહાનગરપાલિકા માટે કુલ 243 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, મોરબી, વડોદરા અને ભાવનગર શહેરનો સમાવેશ થાય છે.
આ યાદી મુજબ, અમદાવાદમાં સૌથી વધુ 90 ઉમેદવારો જાહેર કરાયા છે, જ્યારે રાજકોટમાં 40, સુરતમાં 26, વડોદરામાં 18, જામનગરમાં 22, મોરબીમાં 23 અને ભાવનગરમાં 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
-
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બેટરી ભરેલા કન્ટેનરમાં લાગી ‘ભીષણ આગ’
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ખેડા પાસે એક કન્ટેનરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ કન્ટેનર બેટરી ભરીને વડોદરાથી અમદાવાદ જઈ રહ્યું હતું, તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી.
ઘટનાની જાણ થતા જ નડિયાદ અને આણંદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગના કારણે ઇમરજન્સીમાં એક્સપ્રેસ હાઈવેની એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
-
-
દાહોદ-અમદાવાદ હાઇવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત
દાહોદ-અમદાવાદ હાઇવે પર આદિવાસી મ્યુઝિયમ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અમદાવાદથી કાનપુર જતી એક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. આ અકસ્માતમાં બસચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.
-
મેમનગરની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ, 57 યુવતીઓની તબિયત લથડી
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી એક ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ગઈકાલે બપોરે હોસ્ટેલમાં ભોજન લીધા બાદ 57 યુવતીઓની તબિયત લથડી હતી. આ હોસ્ટેલમાં બપોરે 400થી વધુ લોકોએ ભોજન લીધું હતું.
અસરગ્રસ્ત તમામ યુવતીઓને તાત્કાલિક સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે.
-
PM મોદીના બહાને કોંગ્રેસ અધ્યક્ષે કર્યું ‘ગુજરાતીઓનું અપમાન’
કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન મોદી પર પ્રહાર કરવાના બહાને ખડગેએ ગુજરાતીઓનું અપમાન કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
ખડગેએ પોતાના નિવેદનમાં ગુજરાતીઓને અશિક્ષિત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “મોદીજી ગુજરાતની અશિક્ષિત જનતાને મૂર્ખ બનાવી શકે છે પરંતુ કેરલમના લોકોને મૂર્ખ નહીં બનાવી શકે.” કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ગુજરાતી જનતાને અશિક્ષિત અને મૂર્ખ ગણાવતા આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે.
-
-
વડોદરાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોસ્ટર વોર શરૂ
વડોદરાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોસ્ટર વોર શરૂ થયુ છે. પશ્ચિમ વિસ્તારના લાલ ગુરુ સર્કલે પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં સ્થાનિક ઉમેદવારોને મહત્વ આપવાની અપીલ કરાઈ છે. “Pro modi” અને “Anti BJP” લખેલા પોસ્ટર લાગ્યા છે. પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવાની પોસ્ટરમાં માગ કરાઈ છે. પોસ્ટરો લાગતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે.
-
મહેસાણાઃ UGVCLએ દુકાનદારને ફટકાર્યું 6.82 લાખનું બિલ
મહેસાણાઃ UGVCLએ દુકાનદારને 6.82 લાખનું બિલ ફટકાર્યું છે. કડીના થોળ રોડના સિટી પાર્કમાં પાન પાર્લર સંચાલકને ઝટકો લાગ્યો છે. દુકાનધારકને 6.82 લાખનું બિલ આવતા તપાસ કરવામાં આવ છે. મીટર રીડિંગમાં કર્મચારીએ બેદરકારી કરી હોવાનો ખૂલાસો થયો છે. ફરિયાદ બાદ આખરે વીજ વિભાગે પોતાની ભૂલ સ્વીકારી છે. બિલ સુધારવાની ખાતરી મળતા સંચાલકે રાહતનો શ્વાસ લીધો છે.
-
ભવનાથ મંદિરના વધુ એક સાધુ રાજુગીરીનો વીડિયો વાયરલ, તંત્ર સામે આક્ષેપ
જૂનાગઢમાં ભવનાથ મંદિરના વધુ એક સંતનો વિવાદ સામે આવ્યો છે. ભવનાથ પરંપરાના રાજુગીરીએ વીડિયો વાયરલ કરી તંત્ર સામે ગંભીર સવાલ કર્યા છે. ભવનાથના પૂર્વ મંહત હરીગીરીના શિષ્ય મહાદેવાનંદગીરીની તંત્રએ હકાલ પટ્ટી કરી હતી. મહાદેવાનંદગીરી મંદિરમાં નાણાકીય ગેરરીતિઓ આચરતા હોવાનું સામે આવ્યું હતું. પૈસાના મુદ્દે તંત્ર એ તાબડતોબ મહાદેવાનંદગીરીની હકાલપટ્ટી કરી હતી. હવે ફરી મહાદેવાનંદગીરીની ભવનાથ મંદિરમાં એન્ટ્રી થતા અનેક અટકળો સેવાઈ રહી છે. ભવનાથ મંદિરના વહીવટદાર દ્વારા રાજકીય દબાણને વશ થઈ આવો નિર્ણય લેવાયો છે. ક્યા રાજકારણીએ આ નિર્ણય લેવડાવ્યો તેવા રાજુગીરીએ તંત્ર સમક્ષ સવાલ ઉઠાવ્યા છે. અમે ભવનાથ પરંપરાની જુના વારસદારો છીએ અને તંત્રએ અમારી પાસેથી સેવા પૂજા કરવાનો હક્ક છીનવી લીધો છે. આ માટે અમે હાઈકોર્ટ સુધી જશુ. ભવનાથમાં પૂજાનો હક્ક વિવાદી સાધુઓને સોંપાતા મામલો ગરમાયો છે. હાલ રાજુગીરીએ આ મામલે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.
-
ભરૂચઃ શાલીમાર કોમ્પલેક્ષમાં યુકો બેંકમાં આગ
ભરૂચઃ શાલીમાર કોમ્પલેક્સમાં યુકો બેંકમાં આગ લાગી છે. રવિવારની રજાના દિવસે આગ લાગી હોવાથી બેંકમાં કોઈ કર્મચારી ન હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી. જો કે બેંકમાં આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ ચાલી રહી છે. આગમાં બેંકના ફર્નિચર સહિત મોટાપાયે નુકસાન છયુ છે. બેંકના લોકરોને કેટલુ નુસકાન પહોંચ્યુ તે અંગે તપાસ હજુ બાકી છે.
-
Kheda: મૂર્તિ વેચી ગુજરાન ચલાવતા ફેરિયાને અધધ 19.84 કરોડની નોટિસ
ખેડામાં ઈન્કમટેક્સ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. મૂર્તિ વેચી ગુજરાન ચલાવતા ફેરિયાને અધધ 19.84 કરોડની નોટિસ ફટકારી છે. ઈન્કમટેક્સની નોટિસથી માલેતુજાર લોકોને પણ પરસેવો આવી જાય. પરંતુ આવી જ કરોડોની નોટિસ કોઈ ગરીબ વ્યક્તિને આવે તો તેની કેવી હાલત થાય. આવી એક ઘટના ખેડાના ડાકોરમાં સામે આવી છે. જ્યાં ગોમતીઘાટ પર પ્લાસ્ટિકની મૂર્તી વેચી ગુજરાન ચલાવતા ચિરાગ ભૈયાને આવી છે. ચિરાગ ભૈયાને આ નોટિસમાં ટસ્ટાર ઇન્ફોટેક’ નામની કંપનીના માલિક તરીકે દર્શાવી. 2021-22 માટે 11 કરોડ 86 લાખ અને વર્ષ 2022-23 માટે 7 કરોડ 98 લાખની નોટિસ બજાવવામાં આવી છે. ત્યારે તેમના નામે ખોટી પેઢી બનાવીને બેંક ખાતું ખોલાવી કરોડોના વ્યવહારો કર્યા હોય તેવી પૂરી શક્યતા છે. ત્યારે સમગ્ર મામલે ચિરાગ ભૈયાએ તપાસની માગ કરી છે.
-
મહેસાણાઃ દેશી ગોળના નામે ભેળસેળ મામલે આરોગ્ય વિભાગની કાર્યવાહી
મહેસાણાઃ દેશી ગોળના નામે ભેળસેળ મામલે આરોગ્ય વિભાગેે કાર્યવાહી કરી છે. ફૂડ વિભાગની તપાસમાં રસમલાઈ અને પોપટ છાપ ગોળના 6 નમૂના ફેલ ગયા છે. બંને બ્રાન્ડના ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવી છે. દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને ચકચકાટ બનાવવા કલરનો ઉપયોગ થતો હતો. હરિક્રિષ્ણા માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે કોર્ટ કાર્યવાહી કરી છે. સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લીવર અને કિડની પર ગંભીર અસરનું જોખમ છે. જિલ્લા ફૂડ અધિકારી અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ છે.
-
ભરૂચઃ શાલીમાર કોમ્પલેક્ષમાં યુકો બેંકમાં આગ
ભરૂચઃ શાલીમાર કોમ્પલેક્ષમાં યુકો બેંકમાં આગ લાગી છે. રવિવારની રજાના દિવસે આગ લાગી છે. રવિવાર હોવાથી બેંક ખાલી હોવાથી જાનહાની નહીં. આગ કેવી રીતે લાગી તેની લઈને તપાસ ચાલી રહી છે. આગમાં બેંકના ફર્નિચર સહિત મોટાપાયે નુકસાન પહોંચ્યુ છે. બેંકના લોકરોને નુકસાન અંગે તપાસ બાકી છે.
-
7 એપ્રિલે ફરી રાજ્યમાં માવઠાના એંધાણ
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના એંધાણ છે. 7 એપ્રિલે ફરી માવઠાની હવામાન વિભાદ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણમાં વરસાદના એંધાણ છે. દેવભૂમિદ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદમાં પણ માવઠાની શક્યતા છે. પંચમહાલ, મોરબી, કચ્છ પણ કમોસમી વરસાદની આગાહી છે. 6 અને 7 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આવતીકાલથી પવનની ગતિ વધશે. અને તે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે. તો 8 એપ્રિલ બાદ. જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધવાની પણ આગાહી કરવામાં આવી છે.
-
ખેડાઃ માતરના ભાલાડા ગામે જુગારના અડ્ડા પર દરોડા
ખેડાઃ માતરના ભાલાડા ગામે જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા. માતર ધારાસભ્યના ગામમાં જ સ્ટેટ વિજિલન્સના દરોડાથી રાજકીય ખળભળાટ સર્જાયો છે. સ્ટેટ વિજિલન્સની ટીમની જુગારના અડ્ડા પર કાર્યવાહી કરવામાં આવી છે. ખુલ્લા ખેતરમાંથી જુગાર રમતા 16 જુગારીઓ ઝડપાયા છે. રાજેશ ઉર્ફે લાલો પરમાર જુગારનો અડ્ડો ચલાવતો હતો. આરોપીઓ પાસેથી 3.20 લાખની રોકડ જપ્ત કરાઈ છે. વાહનો મળી કુલ 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, ત્યારે બીજી બાજુ ધારાસભ્યનો કોટુંબિક ભત્રીજો ખુદ જુગારનો અડ્ડો ચલાવતો હોવાની ખબર બહાર આવતા રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ.
-
સાબરકાંઠા: ભાજપના તાલુકા કોષાધ્યક્ષે રાજીનામું આપ્યું છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વિવાદ બાદ ભાજપના તાલુકા કોષાધ્યક્ષે રાજીનામું આપ્યું છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના નવનિર્મિત માળખામાં જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડના આરોપી હાર્દિક શર્માને પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવી દેવાયા હતા. જે બાદ વિવાદ શરૂ થયો હતો. જો કે હાર્દિક શર્માના રાજીનામાથી હાલ સમગ્ર વિવાદ ઉકેલાયો છે. આ અંગે જિલ્લા ભાજપ મહામંત્રીએ દાવો કર્યો કે નિમણૂક વખતે કાર્યકર્તા કોણ છે તેનું ધ્યાન રખાતું હોય છે. આ કાર્યકર્તાને જવાબદારી સોંપાઈ ત્યારે તેમણે તરત જ પદનો અસ્વિકાર કર્યો હતો. શું કેસ તે અંગે પાર્ટીનું જે તે સમયે ધ્યાન ન હતું. પરંતુ હાલ રાજીનામું લેવાઈ ગયું છે.
-
સુરતઃ વરાછા બેંકના 31 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણી
સુરતઃ વરાછા બેંકના 31 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીમાં સહકાર પેનલ અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. 5 ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા મતદાનની નોબત આવી આવી છે. બેંકની કુલ 15 બેઠકમાંથી 3 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. બાકી રહેલી 12 બેઠક માટે 17 ઉમેદવાર મેદાને છે. 53 હજારથી વધુ સભાસદો મતાધિકારનો ઉપયોગ કરશે.
-
પંચમહાલઃ ઘોઘંબામાંથી 2 બાળ દીપડા મળી આવ્યા
પંચમહાલઃ ઘોઘંબામાંથી 2 બાળ દીપડા મળી આવ્યા. જે પૈકી 1 બાળ દીપડાનું મોત થયુ છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત છે. બારીય ફળીના જંગલ વિસ્તારમાં આ ઘટના બની છે. મૃત્યુ પામેલા બાળ દીપડાના મૃતદેહને પી.એમ માટે ખસેડાયો છે. અન્ય ઇજાગ્રસ્ત બાળ દીપડાને સારવાર માટે ખસેડાયો છે. બાળ દીપડા પર પુખ્તવયના દીપડાએ હુમલો કર્યાનું અનુમાન છે. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા વન વિભાગે તપાસ હાથ ધરી છે.
-
જુનાગઢના કડિયાવાડ વિસ્તારમાં જૂની ઈમારતો બની જીવલેણ
જુનાગઢના કડિયાવાડ વિસ્તારમાં એક દુર્ઘટના બની. જર્જરિત લક્ષ્મી એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અચાનક પ્લાસ્ટરનું મોટું પોપડું નીચે પડતા ત્યાંથી પસાર થઈ રહેલી મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. મહિલાનો હાથ ભાંગી ગયો અને માથામાં પણ ગંભીર ઈજા પહોંચી. ઉલ્લેખનિય છે કે અગાઉ આ જ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થતા ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે મનપા દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા કે જર્જરિત ઈમારતો સામે કડક કાર્યવાહી કરાશે. પરંતુ આ ઘટના તંત્રની કાર્યવાહી માત્ર કાગળ પર હોવાની સાક્ષી પૂરે છે. ત્યારે ઈજાગ્રસ્ત મહિલાના પતિએ તંત્રની આ નિષ્ક્રિયતા સામે લડત આપવાનું એલાન કર્યું છે.
-
તાપીઃ ડોલવણ પોલીસે ખંડણી માંગતા 3 પત્રકાર ઝડપ્યા
તાપીઃ ડોલવણ પોલીસે ખંડણી માંગતા 3 પત્રકાર ઝડપ્યા. સુરતના 3 પત્રકારોએ સસ્તા અનાજની દુકાને તોડ કર્યો હતો. ઓછું અનાજ આપો છો કહી રૂપિયાની માંગણી કરી હતી. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 21,000ની ખંડણી માંગી.
-
વાવ-થરાદઃ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં ભાજપ પર વરસ્યા ગેનીબેન
વાવ-થરાદઃ ચૂંટણીને લઈ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ધરણીધરમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ભાજપ પર વરસ્યા. કહ્યુ ભાજપને માત્ર ચૂંટણી સમયે જ પ્રજાના વાયદા યાદ આવે છે. મારા ધારાસભ્યકાળમાં વિસ્તારના અનેક રોડ બનાવ્યા. દોઢ વર્ષથી ભાજપના ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. 30 વર્ષના શાસન પછી પણ ભાજપને કોંગ્રેસીઓની જરૂર પડે છે. કોંગ્રેસમાંથી ગયેલા જ ભાજપમાં મંત્રી બને, ચૂંટણી લડે છે. ભાજપને ઢાંકણીમાં પાણી લેવું જોઈએ.
-
જૂનાગઢ જેલના સર્કલ-2ની બેરેકમાંથી મળ્યો મોબાઈલ ફોન, 2 કેદી સામે નોંધાઈ ફરિયાદ
જૂનાગઢ જેલના સર્કલ-2ની બેરેકમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળ્યો છે. CCTVમાં શંકાસ્પદ હિલચાલ દેખાતા જેલ સ્ટાફે કર્યું ચેકિંગ. ટીવી બોક્સ પાછળથી મોબાઈલ બેટરી અને સીમકાર્ડ મળ્યા હતા. જડતી સ્કવોર્ડે A-ડિવિઝન પોલીસ મથકે નોંધાવ્યો ગુનો. સોહિલ અને દિલીપ સહિત અન્ય આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે.
-
ઉમેદવારો નક્કી કરવા માટે 7,8,9 એપ્રિલ મળશે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક
ગાંધીનગર ભાજપ ચૂંટણી સમિતિની બેઠક, આગામી 7,8,9 એપ્રિલના રોજ મળશે. સમિતિ સભ્યો, જિલ્લા પ્રમુખ પ્રભારી બેઠકમાં રહેશે હાજર. ચૂંટણી સમિતિમાં ઉમેદવારોના નામ પર આખરી મહોર. લાગશે. શહેર-જિલ્લા 3-3 નામોની પેનલ તૈયાર કરી સોંપશે રિપોર્ટ. તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરશે ભાજપ. 11 એપ્રિલ ફોર્મ ભરવાની છે અંતિમ તારીખ.
-
અમદાવાદમાં આજથી 48 વોર્ડમાં શરૂ થશે ભાજપના ચૂંટણી કાર્યાલય
અમદાવાદ શહેરમાં આજથી શરૂ થશે ભાજપના ચૂંટણી કાર્યાલયો. અમદાવાદ મહાનગરપાલિકાના તમામ 48 વોર્ડમાં એક સાથે કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે. પ્રથમ વખત એક સાથે તમામ 48 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરવામાં આવી રહી છે. સ્થાનિક ધારાસભ્યો – સાંસદો સહિતના અન્ય નેતાઓ કરાવશે ચૂંટણી કાર્યાલયની શરૂઆત.
-
AMCની ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા દાવેદારોનો રાફડો ફાટ્યો
શહેર ભાજપમાં સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. મનપામાં 192 બેઠક માટે 2637 લોકોએ ચૂંટણી લડવા વ્યક્ત કરી ઈચ્છા. સૌથી વધુ ઠક્કરબાપાનગર બેઠક પર 89 લોકોએ નોંધાવી છે દાવેદારી. સૌથી ઓછી મકતમપુરા બેઠક પર 16 લોકોએ નોંધાવી દાવેદારી. CM ભુપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આવતા વિવિધ વોર્ડમાં 242 લોકોએ નોંધાવી દાવેદારી. જ્યારે પ્રદેશ પ્રમુખના મતવિસ્તારમાં આવતા 2 વોર્ડ માટે 50 લોકોએ નોંધાવી દાવેદારી. પ્રદેશ ભાજપ દ્વારા મહોર બાદ ગમે તે સમયે જાહેર થઈ શકે છે યાદી. 11 એપ્રિલના રોજ ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ છે.
-
બેંગકોકથી લાવેલા 1.107 કિગ્રા હાઈડ્રોપોનિક ગાંજા સાથે એક મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજા સાથે 1 કેરિયરની ધરપકડ કરવામાં આવી છે. બેંગકોકથી ફ્લાઈટમાં આવેલા કેરિયર પાસેથી પકડાયો ગાંજો. 1.107 કિગ્રા હાઈડ્રોપોનિક ગાંજા સાથે 1 કેરિયર ઝડપાયો છે. ગાંજો લાવનાર કેરિયર મુંબઈના ઉલ્હાસનગરનો રહેવાસી છે. કસ્ટમ વિભાગે કેરિયરની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
-
ચૂંટણી જાહેર થતા સુરતમાં AAP ના યુવા ઉપપ્રમુખ સામે પોલીસ ફરિયાદ
સુરત મનપાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. સુરતમાં એક પછી એક ફરિયાદો નોંધવાનું શરૂ થયું છે. આપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વોર્ડ નંબર 26 ના ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો ચહેરો વાપરી વીડિયો વાયરલ કરવાનો ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ થઈ છે. પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે, AAP ના યુવા ઉપપ્રમુખ શ્રવણ જોશી સામે ફરિયાદ નોંધાવી છે.
-
અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ પર અકસ્માતમાં બાઇકચાલકનુ મોત
ભરૂચ અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ પર અકસ્માતમાં બાઇકચાલકનુ મોત થયું છે. પુરઝડપે જતી બાઈક ડીવાયડર સાથે ટકરાઇ હતી. યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત થયું છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
-
પ્રેમ સબંધમાં માર મારવાનો મામલે, ગામનાં સરપંચ સહિત 24 શખ્સ સામે નોંધાઈ ફરિયાદ
વાવ-થરાદના રાહ તાલુકાના ડેડુવા ગામના યુવકને પ્રેમ સબંધમાં માર મારવાનો મામલે કૂવાણા ગામનાં સરપંચ સહિત 24 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. લાખણીના કૂવાણા ગામનાં સરપંચ સહિત 24 શખ્સ સામે ફરિયાદ. 12 શખ્સ સામે નામજોગ સહિત કુલ 24 સામે ફરિયાદ. રાહ તાલુકાના ડેડુવા ગામના યુવકે રાહ તાલુકાના ડેડુડી ગામની યુવતી સાથે કર્યો હતા મૈત્રી કરાર. યુવક યુવતી મૈત્રી કરારથી થોડા દિવસથી અમદાવાદ સાથે રહેતા હતા. યુવતીના સબંધીઓએ અમદાવાદથી બન્નેનું અપહરણ કર્યુ હતુ. અપહરણ બાદ યુવકને ઢોર માર માર્યો હતો. યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ ભોગ બનનાર યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ. થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
ભાજપના ધારાસભ્યે કાર્યકરોને કહ્યું, બહારની વ્યક્તિને ટિકિટ આપે તો લડવાનું, વિરોધ કરવાનો
વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન આવ્યું ચર્ચામાં. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં યોગેશ પટેલે આપ્યું નિવેદન. બહારના વ્યક્તિને ટિકિટ આપે તો લડવાનું , વિરોધ કરવાનો. આપણે કરેલું કામ હોય તો વિસ્તારના કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. બીજું નિવેદન એ પણ કર્યું કે, જો કોઈ કાર્યકરને ટિકિટ નe મળે તો મારી જોડે અબોલા ન કરશો. તેઓને પાર્ટીને જીતાડવા માટે કામ કરવું પડશે. ધારાસભ્ય તરીકે પાર્ટીના ઉમેદવારને જીતાડવા કામ કરશે.
-
અમરેલીના ખાંભાના નાનુડી રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગ સમયસર કાબૂમાં ના લેવાતા 80 વીઘાથી વધુ રેવન્યુ વિસ્તાર બળીને ખાક થયો
અમરેલીના ખાંભાના નાનુડી રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગ સમયસર કાબૂમાં ના લેવાતા 80 વીઘાથી વધુ રેવન્યુ વિસ્તાર બળી ગયો. નાનુડી ગામ નજીક બરસીયા ડુંગરમાં આગની ઘટના બની હતી. તંત્ર સમયસર નહીં પહોચતા 80 વીઘાથી વધારે રેવન્યુ વિસ્તાર બળીને ખાખ થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. 5 કલાક બાદ મોડી રાતે ખાંભા મામલતદાર વનવિભાગ પોલીસની સંયુક્ત ટિમ પહોંચી. વહીવટી તંત્ર દ્વારા માત્ર આગ બુજાવવા પ્રયાસ હાથ ધર્યા. રેવન્યુ 80 વીઘા કરતા વધુનો ડુંગરાળ વિસ્તાર આગથી મોટાભાગનો બળી ગયો છે. તંત્રની લાપરવાહીના કારણે આગ વધુ વકરી હતી
-
એસ.પી. યુનિવર્સિટીમાં અધ્યાપક ડો. મનીષ સોલંકીને લાફો મારનાર પારુલ પોપટ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
એસ.પી. યુનિવર્સિટીમાં લાફા કાંડનો ભોગ બનનાર અધ્યાપક ડૉ. મનીષ સોલંકીએ અંતે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. ચાલુ વર્ગખંડમાં લાફો મારનાર તત્કાલીન HOD પારુલ પોપટ વિરુદ્ધ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત 18-03-2026ના રોજ ડૉ. મનીષ સોલંકી જ્યારે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા, ત્યારે પારુલ પોપટે તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં તેમને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાના 16 દિવસ વીતી ગયા હોવા છતાં અને ડૉ. સોલંકીએ લેખિત રજૂઆત કરી હોવા છતાં, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કુલસચિવે કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભોગ બનનારની ફરિયાદ પર તપાસ કરવાને બદલે, યુનિવર્સિટી તંત્ર દ્વારા લાફો મારનાર પારુલ પોપટ પાસે ડૉ. મનીષ સોલંકી વિરુદ્ધ વળતી ખોટી ફરિયાદ ઊભી કરાવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
-
અમદાવાદના ગોમતીપુર વોર્ડના કોંગી કોર્પોરેટર ઈકબાલ શેખે પક્ષમાંથી આપ્યું રાજીનામુ
અમદાવાદના ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે, કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી, પક્ષમાં પોતાની અવણણના થતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. છેલ્લા 25 વર્ષથી, ગોમતીપુર વોર્ડમાં કોંગ્રેસની આખેઆખી પેનલને જીતાડતા આવ્યા હોવાનો દાવો કર્યો છે. જો કે આ પત્રમાં વિરોધપક્ષના નેતા પદનો પક્ષના હિતમાં ત્યાગ કરવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. કોંગ્રેસના કેટલાક વર્તુળોએ કહ્યું કે, ઈકબાલ શેખ ત્રાગુ કરે છે. ચૂંટણીમાં પોતાની મનગમતી પેનલ ઉતારવા સાથે સૌથી સિનિયર હોવાના નાતે કેટલાક લાભાલાભ જોઈએ છે.
Published On - Apr 05,2026 7:19 AM
