02 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ સામે આવ્યા વિનાશના દૃશ્યો, ડભોઈમાં 600 વીઘામાં પાક નિષ્ફળ, તો નવસારીમાં કેળાના પાકને વ્યાપક નુકસાન, બનાસકાંઠાના ડીસામાં ખેતરો જળબંબાકાર થતા કાચા સોના સમાન પાક બર્બાદ
Gujarat Live Updates આજ 02 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 02 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું. ક્યાંક ડેમ છલકાયા ક્યાંક પાણીના પ્રવાહે ભારે નુકસાની સર્જી. તો ક્યાંક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ રાજ્ય માટે રાહતની સાથે મુશ્કેલી પણ લઈને આવ્યો. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદથી નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. અનેક ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. બીજી તરફ પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા ફસાયેલા લોકોને બચાવવા સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમોએ મેદાનમાં ઉતરી કામગીરી હાથ ધરી. ક્યાંક કુદરતનું મનોહર રૂપ જોવા મળી રહ્યું છે તો ક્યાંક એ જ વરસાદ આફતનું કારણ બન્યો છે.
-
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડીસા તાલુકાના અનેક ગામના ખેતરોમાં જળ બંબાકારની સ્થિતિ છે. યાવરપુરા, વરણ, શેરપુડા સહિતના ગામમાં ખેતરો જળમગ્ન બન્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ઊભો પાક બરબાદ થઈ ગયો. મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થયાનો ખેડૂતો જણાવી રહ્યા છે. બાજરી, જુવાર સહિતના ઉભા પાક પણ પાણીમાં સડી જતા આર્થિક ફટકો. મોંઘા બિયારણ, વ્યાજે રૂપિયા લાવીને ખેડૂતોએ વાવેતર કર્યા હતા. સરકાર નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. ડીસાના ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ યોગ્ય ભાવ ન મળતા બટાકાના પાકમાં મોટે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હાલ જે રીતે ખેતરો પાણીમાં ડૂબ્યા છે તેને જોતા હવે મગફળીમાં પણ કશું જ હાથ લાગે તેમ નથી. -
-
ઢાઢર નદીના પૂરથી ડભોઈના 10 ગામમાં તારાજી
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ બાદ ખેતીમાં નુકસાન જે પ્રકારનું જોવા મળ્યું છે. ઢાઢર નદીના પૂરથી ડભોઈના 10 ગામમાં તારાજી સર્જાઈ. લગભગ 600 વીઘા જમીનનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો. મરચી, કપાસ, શાકભાજીના પાકને મોટાપાયે નુકસાન. દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢરના કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ત્રણ વર્ષથી આ જ પ્રકારની સમસ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. જાણ્યા કર્યા વિના જ પાણી છોડાતા પાક બચાવવા સમય ન મળ્યાનો આરોપ છે. એક તો ભારે વરસાદ અને ઉપરથી દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીના કિનારે આવેલા લગભગ 10 જેટલા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા. પાણી ઓસર્યા બાદ કાંઠાના ખેતરોમાં તારાજી સિવાય કશું જ નજરે નથી પડી રહ્યું. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી તંત્ર કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આવી જ રીતે દેવ ડેમમાંથી પાણી છોડે છે. પૂર્વ જાણકારીના અભાવે ખેડૂતોને પાક બચાવવાનો પણ સમય નથી મળી રહ્યો અને તેમનો ઉભો પાક ધોવાઈ જાય છે અથવા તો કોવાઈ જાય છે.
-
લીંબડીમાં ઘાસચારો પાણીમાં ડૂબી જતા પશુઓ ભૂખ્યા રહેવા મજબુર
સુરેન્દ્રનગરના લીંબડીમાં વરસાદનો કહેર હવે માત્ર માણસ સુધી જ સીમિત નથી રહ્યો. મુંગા પશુઓના પેટ પર પણ સંકટ બનીને તૂટી પડ્યું છે. લીંબડીના સીમ વિસ્તારમાં સતત વરસાદના કારણે પાણી ભરાઈ જતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાક અને ઘાસચારો પણ પાણીમાં ડૂબી જતા પશુઓ ભૂખ્યા રહેવા મજબૂર બન્યા, જેના કારણે માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. પોતાના ઢોર ભૂખ્યા ન રહે તે માટે માલધારીઓને પોતાના પશુઓને બહાર લઈ જવા મજબૂર થયા. પરંતુ રસ્તા પર કાદવના થર જામેલા હોવાથી પશુઓ માટે ચારો મળી નથી રહ્યો, જેને લીધે પશુપાલકો ચિંતામાં મુકાયા.
-
ઉપરવાસમાંથી વરસાદી પાણી વહી આવતા વિરમગામમાં હાલાકીના દૃશ્યો
વિરમગામમાં વરસાદી વિરામ બાદ પણ હાલાકી યથાવત છે. ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં જળતાંડવના દ્રશ્યો જોવા મળ્યા. શહેરના છેવાડે આવેલા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. ભૂત બંગલો, ફુલવાડી, મોટા મંદિર સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા છે. હાઉસિંગ, નવા પરા સહિતના ચાલી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયા છે. 50થી વધુ રહેણાંક મકાનમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. વિરમગામમાં હાલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ ઉપરવાસના વરસાદી પાણી વિરમગામમાં કહેર વર્તાવી રહ્યા છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા અને કેડ સમા વરસાદી પાણી ભરાયેલા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રે એકાએક જ પાણી ધસી આવ્યા અને તેને લીધે અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે.
-
-
પોપટપરા અંડરપાસમાં સતત બીજા દિવસે પાણી ભરાયેલા જોવા મળ્યા
રાજકોટમાં પોપટપરા અંડરપાસમાં સતત બીજા દિવસે પાણી ભરાયેલા જોવા મળ્યા. પાણી ભરાઈ જતા અંડરપાસમાં અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો. અંડરપાસ બંધ કરાતા લોકોને પડી રહી છે ભારે હાલાકી. વહેલી સવારથી જ રાજકોટમાં વરસાદી માહોલ જામેલો છે. અંડરપાસમાં પાણી ભરાયેલા છે અને સતત બીજા દિવસે આવા જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ વિરામ લે છે પણ પાણી સમયસર ન ઓસરતા હાલાકીના દૃશ્યો જોવા મળી રહ્યા છે.
-
DCW કંપનીની દીવાલ ધરાશાયી થતા લોકોના ઘરોમાં પાણી ભરાયા
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રામાં કંપનીની દીવાલ ધરાશાયી થતા ઘરોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદમાં ખાનગી કંપનીની દીવાલ ધરાશાયી થઈ. કોળીપરા, આંબેડકર નગર, ખાટકીવાસ વિસ્તારમાં નુકસાન. નુકસાનીની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોની ઘરવખરી જે પ્રકારે તેને નુકસાન થયું છે. સ્થાનિકોએ કંપની બહાર હોબાળો કર્યો છે. નુકસાનીનું વળતર ચૂકવવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે. કંપની પર ગંદકી યુક્ત પાણી છોડવાના આક્ષેપ થયા છે.
-
નવસારીમાં વિનાશક પૂર બાદ ખેતીમાં મોટા પાયે નુકસાન
નવસારીમાં વિનાશક પૂર બાદ હવે ખેતીમાં મોટા પાયે નુકસાન, ગણદેવી તાલુકાનો વાડી વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત છે. સોનવાડી ગામમાં કેળ તૂટી પડતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું, અંબિકાના કાંઠા વિસ્તારોની વાડીઓમાં ભયાવહ તારાજી સર્જાઈ. 320 જેટલા ગામોમાં ખેતીને મોટા પાયે નુકસાન થયું હોય તેવો દાવો, ચાર દાયકામાં આવું વિનાશક પૂર ન જોયું હોય તેવો ખેડૂતોનો દાવો છે. સોનવાડી ગામમાં કેળાની લુમ સાથેની કેળ તૂટી પડેલી નજરે પડે છે. ખેડૂતોનો દાવો છે કે જે દિવસે પુર આવ્યું તે જ દિવસે 100 મણનો ઓર્ડર હતો, પરંતુ બધું જ વરસાદમાં બરબાદ થઈ ગયું. પૂરના પાણીએ જે પ્રકારે તે ધસી આવ્યું કે ખેતરના ફેન્સિંગ પણ ટકી ન શક્યા. આંબો અને ચીકુના ઝાડને પણ મોટાપાયે નુકસાન થતા ખેડૂતોની મોટી નુકસાની તેમને વેઠવાનો વારો આવ્યો છે. -
અમરેલીના બાબરામા બાળક તળાવમાં ડૂબ્યો
અમરેલીના બાબરામા એક બાળક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી. મોટા દેવળીયા ગામે 10 વર્ષિય બાળક તળાવમાં ડૂબ્યો. બાળકની શોધખોળ માટે ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. અમરેલી ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ઘેટા બકરા ચરાવવા ગયો હતો અને ત્યારે જ આ ઘટના બની. બાળક ડૂબ્યાની જાણ થતા ગ્રામજનો તળાવ પાસે દોડી આવ્યા અને તેને બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
-
ભારે વરસાદ બાદ કચ્છના સફેદ રણનો સામે આવ્યો અદ્દભૂત નજારો
કચ્છનું સફેદ રણ વરસાદ બાદ બેટમાં ફેરવાઈ ગયું. ભારે વરસાદને કારણે સફેદ રણમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. ત્યારે રણમાં સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે. સફેદ રણમાં ચારે તરફ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દર વર્ષે અહીં રણોત્સવ યોજાય છે. પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે અને હવે આ સફેદ રણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે રણની અંદર જાણે કે સમુદ્ર હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે.
-
મોરબી: આમરણ નજીક ડાયવર્ઝન તૂટતા જામનગર-કચ્છ હાઈવે બંધ
મોરબીમાં આમરણ નજીક ડાયવર્ઝન તૂટતા જામનગર-કચ્છ હાઇવે બંધ થઇ ગયો. ડેમી નદીમાં ભારે પાણીના પ્રવાહથી હાઇવે પરનું આ ડાયવર્ઝન ધોવાઇ ગયું. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત પુલના કામને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું કારણ કે આ કામને લઇને રસ્તો બ્લોક હતો અને આ ડાયવર્ઝન અપાયું હતું, પરંતુ આ ડાયવર્ઝન ધોવાઇ ગયું જેને કારણે જુઓ જામનગર-કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર પ્રભાવિત થઇ ચૂક્યો છે. પીપળિયા ચાર રસ્તા નજીકથી મોટા વાહનોની અવરજવર બંધ થઇ ચૂકી છે. નવા પુલ પરથી નાના વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી છે. આમ તો અધિકારીને તરત જ સુચના આપીને તત્કાળ કોન્ટ્રાક્ટરને કહીને કામ ચાલું કરાવ્યું છે.
-
ગાંધીનગરમાં ખુલ્લા ખાડામાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ
ગાંધીનગરમાં વિકાસના દાવા વચ્ચે બેદરકારીનો એવો ખાડો પડ્યો કે જે હવે રહીશો માટે મોતના કુવા સમાન બની ચૂક્યો છે. અહીં કલોલની આનંદ પાર્ક સોસાયટીના ગટર લાઈન નાખવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું પણ પીવાના પાણીની લાઈન, વેસ્ટ લાઈન અને જીઈબીની અંડરગ્રાઉન્ડ લાઈન વચ્ચે આવી અને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી આ ખુલ્લા ખાડામાં ગટર અને વરસાદી પાણી ભરાઈ ગયું છે અને હવે તે દુર્ગંધ મારી રહ્યું છે. મચ્છરજન્ય રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે. એટલું જ નહીં અવરજવર કરવું પણ અહીંથી જોખમી બની ગયું છે અને તેને લીધે સ્થાનિકોએ તંત્રના બુદ્ધિ પ્રદર્શન અને ઘોર બેદરકારી સામે રોષ ઠાલવ્યો છે.
-
રાજ્યમાં સાઉથ ગુજરાતમાં નોંધાયો સૌથી વધુ વરસાદ, કચ્છમાં સૌથી ઓછો વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ચોમાસામાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 95 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછા વરસાદની પણ વાત કરીએ તો કચ્છ ઝોનની અંદર સૌથી ઓછો વરસાદ માત્ર 5.65 ઇંચ વરસાદ નોંધાયો છે. ગત જૂન માસની અંદર સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને જુલાઈ મહિનામાં સૌથી વધારે સરેરાશ 22.10 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઓગસ્ટ માસના એક જ દિવસમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો આપને જણાવી કે આ તમામ જે પરિસ્થિતિ વરસાદને લઈને અત્યાર સુધીની જણાય છે તો વરસાદ સારો છે, પણ રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી અને ચોમાસામાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 95% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
આપને જણાવીએ કે સૌથી ઓછો વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો જ્યાં સરેરાશ માત્ર 5.65 ઇંચ વરસાદ જોવા મળ્યો. ગત જૂન માસમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જુલાઈ મહિનામાં સૌથી વધુ સરેરાશ 22.10 ઇંચ વરસાદ વરસ્યો. ઓગસ્ટ માસના 2 દિવસમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો વરસાદ. તો હવે
-
સરદાર સરોવર ડેમની જળસપાટી 131.31 મીટરને પાર પહોંચી
સીઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમ 131 મીટરને પાર થઈ ચૂક્યો છે. જ્યાં સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાંથી 44,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ડેમની સપાટી 131.26 મીટર પર પહોંચી ચૂકી છે. . ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને 24 કલાકમાં જળ સપાટીમાં 1 મીટરનો વધારો થઈ ગયો. હાલમાં નર્મદા ડેમ 73% જેટલો ભરાયેલો છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે.
નર્મદા ડેમમાં અત્યારે 131.31 મીટર જેટલી એની જળસપાટી પહોંચી છે એટલે હવે માત્ર નર્મદા ડેમ 7.68 મીટર જેટલો બાકી છે કારણ કે એની જળસપાટી મહત્તમ જળસપાટી 138.68 મીટર છે એટલે આ જે નર્મદા ડેમની જો વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે અને ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બર મહિનામાં નર્મદા ડેમ સંપૂર્ણતઃ ભરાતો હોય છે એટલે હવે નર્મદા ડેમ ભરાવવાની તૈયારી તરફ વધી રહ્યો છે કારણ કે આવનારા સમયમાં જો ચોમાસુ નબળું રહે અને પાણીની જરૂરિયાત જો ઉનાળામાં ઊભી થાય તો નર્મદા ડેમમાંથી પાણી સિંચાઈ અને પીવા માટે પૂરું પાડી શકાય છે. હાલ નર્મદા ડેમ 76% જેટલો ભરાયો છે. વિશાલ પાઠક, ટીવી નાઈન, નર્મદા.
-
વરસાદી પાણી ફરી વળતા લીંબડી તાલુકાના કેટલાક ગામના રસ્તાઓ હજુ પણ વાહનવ્યવહાર માટે બંધ
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કેટલાક ગામના રસ્તાઓ છેલ્લા 12 કલાકથી વધુ સમયથી વાહન વ્યવહાર માટે બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રામરાજપર જાંબુ રોડ પર પાણી નહી ઓસરતા પાંચ ગામનો વાહન વ્યવહાર અટક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પાંચથી વધુ ગામનાં લોકો હજુ પણ સંપર્ક વિહોણા છે. જાંબુ. ભથાણ. પરનાળા. પરાલી મુળ બાવળા સહિત ગામના લોકો સંપર્ક વિહોણાં બન્યા છે. રામરાજપર જાંબુ રોડ બંધ થતા પાંચ ગામના લોકોને તાલુકા લીંબડી આવવાનો એકમાત્ર રસ્તો બંધ થતા ભારે હાલાકી થઈ રહી છે.
-
પાણીના વહેણમાં બાવળનું ઝાડ પકડીને જીવ બચાવવા મથનારા બેદરકાર યુવકને આખરે બચાવી લેવાયો
સાબરકાંઠા ઇડરના ઉમેદગઢ નજીક પાણીના વહેણમાં બાવળનું ઝાડ પકડીને ફસાયેલા બેદરકાર યુવકને આખરે બચાવી લેવાયો છે. સ્થાનિક પાણીના નાળાના ડીપ વિસ્તારમાં, પાણીનો તેજ પ્રવાહ વહેતો હતો છતા યુવકે તેમાંથી પસાર થવા પ્રયાસ કર્યો હતો. યુવકે બેદરકારી દેખાવી તેજ ધસમસતા પ્રવાહ વચ્ચે પાણીમાંથી પસાર થવા જતા ફસાયો હતો. પોતાનો જીવ બચાવવા માટે યુવાને બાવળના ઝાડને બન્ને હાથે પકડી રાખ્યું હતું. ફાયર ટીમે સાહસિક રેસ્ક્યૂ કરીને યુવકને પાણી વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢયો હતો.
-
કોમનવેલ્થ ગેમ 2026ના આજે સમાપન બાદ, અમદાવાદને સોપાશે બેટન અને ધ્વજ
સ્કોટલેન્ડના ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું આજે સમાપન થશે. 2026 કોમનવેલ્થ ગેમ સમાપન બાદ બેટન અને ધ્વજ સત્તાવાર રીતે અમદાવાદને સોંપાશે. અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. 2030 કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર યાત્રાનો આ સાથે જ થશે પ્રારંભ. સ્કોટલેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું રહ્યું છે શાનદાર પ્રદર્શન.
્
-
નર્મદા ડેમ 73 ટકા ભરાઈ ગયો, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 131.26 મીટર પર પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થવા પામ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાંથી 44,144 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની જળ સપાટી 131.26 મીટર પર પહોંચી છે. વર્તમાન ચોમાસાની ઋતુમાં, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી પ્રથમવાર 131 મીટર પાર થઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. છેલ્લા 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમ 73 ટકા ભરાયો છે.
-
કીમ નદીના પાણી ઓસરવાનું શરૂ થતા ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામડાઓમાં રાહત
સુરત કીમ નદીના પાણી ઓસરવાનું શરૂ થતા રાહત મળી છે. ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામડાઓમાંથી પાણી ઓસર્યા છે. મોડી રાત્રેથી પાણી ઓસરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરવાસમાં પણ વરસાદ બંધ થયો છે. કીમ નદી કાંઠે નહીં જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. ગતરોજ પૂરની સ્થિતિ ને લઈને કિમ, કઠોદરા સહિતના ગામોમા રેસ્ક્યુ માટે ઇન્ડિયન આર્મી ટીમને બોલાવવી પડી હતી.
-
મહેસાણાના ખરોડ ગામના ખેડૂત કેનેડા મોકલવાના બહાને 14 લાખ પડાવી લીધા, ઋત્વિક પટેલ સામે નોંધાયો ગુનો
મહેસાણાના ખરોડ ગામના ખેડૂત સાથે કેનેડાના વિઝા નામે છેતરપિંડી આચરવામાં આવી છે. વિજાપુરના ખરોડ ગામે કેનેડા વિઝાનું કૌભાંડ આચરવામાં આવ્યું. આરોપીએ વિઝા આપવાના બહાને 20 લાખ રૂપિયા પડાવ્યા. પુત્ર અને પુત્રવધૂને વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરી. આરોપીએ 6 લાખ પરત આપી 14 લાખ પચાવી પાડ્યા. ગાંધીનગરના ચંદ્રાલા ગામના ઋત્વિક પટેલ સામે ગુનો નોંધાયો. લાડોલ પોલીસે છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
-
મોરબીમાં હળવદના જુના માલણીયાદ અને સુખપર ગામે ખેતરમાં ફસાયેલા 55 લોકોનુ કરાયુ રેસ્ક્યુ
મોરબીમાં ગઈકાલે વરસેલા ભારે વરસાદને પગલે, પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જુના માલણીયાદ અને સુખપર ગામે ખેતરમાં ફસાયેલ 55 જેટલા બાળકો,ભાઈઓ અને બહેનોનું મોડી રાત્રે NDRF, SDRF અને ગુજરાત પોલીસના જવાનો દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
-
વાંકાનેરના કોટડા નાયાણી ગામે તણાયેલા પિતા-પુત્રમાંથી 16 કલાક બાદ પણ પુત્રનો પત્તો નહીં
ગઈકાલે વાંકાનેરના કોટડા નાયાણી ગામે પિતા પુત્ર તણાયા હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવના 16 કલાક બાદ પણ તણાયેલ બાળકનો કોઈ પત્તો નથી મળ્યો. પાણીના વહેણ વચ્ચે રિક્ષા લઈને નીકળેલા પિતા પુત્ર રિક્ષા સાથે તણાયા હતા. ફાયર અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરી પિતાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પિતા શીરાનભાઈ કાતિયાર (ઉમર આશરે 35) નો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે પુત્ર કાશીમ કાતિયાર (ઉમર 7) ની 16 કલાક બાદ પણ શોધખોળ યથાવત છે.
-
રાજકોટના બેડીપરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી, એક વ્યક્તિનું મોત
રાજકોટ બેડીપરા વિસ્તારમાં આવેલ શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર ચોક ખાતે જર્જરિત મકાન મોડી રાત્રે ધરાશાયી થયું છે. ઘટનામાં જર્જરિત મકાનમાં રહેતા એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને 108 સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગ દ્વારા તરત જ કાર્ય હાથ કરવામાં આવ્યું હતું. અજયભાઈ કુરજીભાઈ બેલદાર ઉંમર વર્ષ 48નું આ ઘટનામાં મોત થયું છે. અજયભાઈ કુરજીભાઈ બેલદાર ત્યાં 40 વર્ષથી રહેતા હતા. તંત્ર દ્વારા જેસીબી મંગાવી પડેલ મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. રાજકોટમાં સતત બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જર્જરીત મકાનમાં રહેતા લોકોને વરસાદ વચ્ચે તંત્રએ મકાન ખાલી કરવા ચોમાસા પહેલા પણ સૂચના આપી હતી.
-
મોરબીમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ, ઈગોરાળાના ખેતરમાં ફસાયેલાને મોડી રાત્રે બહાર કાઢ્યા
મોરબીમાં પડેલા ભારે વરસાદને પગલે, જિલ્લામાં કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોરબીમાં હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે પાણી ફરી વળ્યા હતા. ઈંગોરાળાના ખેતરમાં પાણી વચ્ચે 3 બાળકો સહિત કૂલ 7 વ્યક્તિઓ ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ એનડીઆરએફ, એસડીઆરએફે જિલ્લાના વહિવટી તંત્ર અને પોલીસ સાથે સંકલન કરીને મોડી રાત્રે રેસ્ક્યુ કર્યું હતું.
-
પૂરના પાણી ફરી વળતા વડોદરાના ડભોઇના બે ગામ હજુ પણ સંપર્ક વિહોણા
વડોદરામાં ડભોઇના બે ગામ હુજ પણ સંપર્ક વિહોણા છે. ગઈકાલના પાણી હજુ ઉતર્યા નથી. દેવ ડેમ અને ઢાઢર નદીના પૂરના પાણીની અસર ગામમાં જોવા મળી છે. વાયાદપુર અને કડધરા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર નદી અને ડેમના પાણી ફરી વળતા રસ્તો તદ્દન બંધ થઈ ગયો છે. વાયાદપુર અને કડધરા વચ્ચેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ડભોઇ તાલુકામાં રસ્તાની સમસ્યાને કારણે બે ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
Published On - Aug 02,2026 7:15 AM
