ગુજરાતમાં વર્ષ 2022માં મુખ્યમંત્રી રાહતફંડમાંથી 8 કરોડથી વધુની સહાય મંજૂર, 333 કેસમાં રાહત અપાઈ
ગુજરાતના મુખ્યમંત્રી રાહતફંડમાંથી((Chief Minister Relief Fund) વર્ષ 2022માં સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 306 કેસ માટે ₹8.5 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.
ગુજરાતના (Gujarat) નાગરિકોને ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે ઓપરેશનના ખર્ચમાં સહાયતા કરવા માટે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી (Chief Minister Relief Fund)સહાય મંજૂર કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel) રાજ્યના નાગરિકોની સુખાકારી તેમજ સ્વાસ્થ્ય માટે ત્વરિત કામગીરી થાય તે માટે યોગ્ય નિર્ણયો કરવામાં આવ્યા છે અને તેના લીધે નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. મુખ્યમંત્રી રાહતફંડમાંથી વર્ષ 2022માં સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 306 કેસ માટે ₹8.5 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. નાગરિકોની અરજી બાદ, કિડની, કેન્સર, હૃદય અને લીવરના રોગોની સારવાર/ઓપરેશન માટે માન્ય હોસ્પિટલમાં નિર્ધારિત ખર્ચના અંદાજના 1/3 ભાગની સહાય મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી ચૂકવવામાં આવે છે.
4 લાખની આવક ધરાવતા નાગરિકોને પણ રાહતફંડમાંથી સહાય ચૂકવવાનું મંજૂર કર્યું
અગાઉ વાર્ષિક એક લાખની આવક ધરાવતા નાગરિકોને આ લાભ મળતો હતો, પરંતુ રાજ્ય સરકારે હવે વધુ નાગરિકો સુધી લાભ પહોંચાડવાના ઉદ્દેશ્યથી, જાન્યુઆરી 2022ના ઠરાવથી ₹4 લાખની આવક મર્યાદા ધરાવતા નાગરિકોને પણ રાહતફંડમાંથી સહાય ચૂકવવાનું મંજૂર કર્યું છે.
મંજૂર 333 કેસમાં રૂ.8.9 કરોડની સહાય
જેમાં અત્યાર સુધી તા.1/10/2011થી તા.20/9/2022 સુધીના ગાળામાં, કુલ 3472 અલગ-અલગ કેસમાં ₹36 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે, જ્યારે 1/1/2022થી 20/9/2022 સુધીમાં કુલ મંજૂર 333 કેસમાં રૂ.8.9 કરોડની સહાય મુખ્યમંત્રી ના રાહતફંડમાંથી નાગરિકોને ચૂકવવામાં આવી છે.
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા 2,33,000 મંજૂર કરવામાં આવ્યા
જ્યારે આ અંગે રાજકોટમાં રહેતા લાભાર્થી 61 વર્ષીય મંજુલાબેન વિઠ્ઠલભાઇ સરધારાને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હોઇ, તેમને રાહતફંડમાંથી રૂપિયા 2,33,000 મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તબીબોના માર્ગદર્શનથી અને આ સહાયથી તેમને ઘણો ફાયદો થયો છે અને મુખ્યમંત્રીશ્રી રાહતફંડની સહાયની કામગીરી ખૂબ સારી છે.
જ્યારે અન્ય એક લાભાર્થી અમરેલીના બાબપુરમાં રહેતા 21 વર્ષીય કેયુરભાઇ રાજેશભાઇ ગોંડલિયાના પરિજનોએ જણાવ્યું હતું કે તેમને હૃદયમાં ખામી સર્જાતા, હૃદય ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઉભી થઇ હતી. આવા સમયે મુખ્યમંત્રી રાહતફંડમાંથી ₹7,50,000ની સહાય મંજૂર થવાથી તેમને સારવારમાં મોટી રાહત થઇ હતી. કેયુરભાઇના પરિવારજનોએ આ સહાય માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.