ગુજરાત કોંગ્રેસે AAP સાથે ફાડ્યો છેડો, વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં AAP સાથે નહીં કરે ગઠબંધન
ગુજરાતમાં 30 વર્ષથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસને મજબુત કરવા માટે હાઈકમાન્ડ સક્રિય થયુ છે. રાહુલની બે દિવસની મુલાકાત બાદ આજે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટની બેઠક મળી હતી જેમા આગામી વિસાવદર અને કડીની પેટા ચૂંટણીઓમાં આપ સાથે કોઈ ગઠબંધન ન કરવાનો મોટો નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં મૃતપ્રાય બનેલી કોંગ્રેસને નવી સંજીવની આપવા માટે હાઈકમાન્ડ સહિતના દિગ્ગજ કોંગી નેતાઓ સક્રિય થયા છે. એ જ સિલસિલામાં રાહુલ ગાંધીની બે દિવસની મુલાકાત બાદ આજે કોંગ્રેસની પોલિટિકલ કમિટીની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અનેક પ્રદેશ સ્તરના નેતાઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ બેઠકમાં આગામી વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો છે અને આમ આદમી પાર્ટી સાથે આ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં કરવાનું નક્કી કર્યુ છે.
ગુજરાતમાં કોંગ્રેસે AAP સાથે ફાડ્યો છેડો
વિસાવદરમાં આમ આદમી પાર્ટીઓ કોંગ્રેસ સાથે કોઈ ચર્ચા કર્યા વિના ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે હવે કોંગ્રેસ પણ વિસાવદરની બેઠક પર તેમના ઉમેદવારને ઉભા રાખી ચૂંટણી લડાવશે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં INDIA ગઠબંધન અંતર્ગત કોંગ્રેસે આપ પાર્ટી માટે બે બેઠકો ખાલી છોડી હતી અને એવી ચર્ચા હતી કે ગુજરાતની આગામી ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડશે. જો કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAP એ એક્લા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો એ જ પ્રમાણે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ AAP એ કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન ન કરતા 46 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમા તે એકપણ બેઠક જીતવામાં તો સફળ રહી ન હતી પરંતુ તેના કારણે મતોનું વિકેન્દ્રીકરણ જોવા મળ્યુ હતુ, જેનાથી કોંગ્રેસનો વોટશેર જબરદસ્ત રીતે તૂટ્યો હતો. જેના કારણે કોંગ્રેસને ભારે નુકસાન ભોગવવુ પડ્યુ હતુ.
વિસાવદર- કડી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે લડશે
આ જ તમામ પાસાઓને ધ્યાને રાખી હાલ કોંગ્રેસે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત અને ગુજરાતીઓની તાસીર અંગે વાત કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ કે ગુજરાતમાં ક્યારેય થર્ડ ફ્રન્ટ સફળ રહ્યો નથી. ભૂતકાળના ઈતિહાસોને તપાસશો તો પણ ખ્યાલ આવશે કે ગુજરાતના મતદારો ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકારતા નથી. ગુજરાતમાં ભૂતકાળમાં ડાબેરીઓ દ્વારા, સમાજવાદી પાર્ટી દ્વારા પણ આ પ્રયોગ થયો છે, જેઓ સફળ રહ્યા નથી. જેમની ખુદની સરકાર હતી એક સમયે ગુજરાતમાં એ શંકરસિંહ વાઘેલા પણ ત્રીજા મોરચા સાથે ગુજરાતમાં સફળ રહ્યા નથી. શક્તિસિંહે ચીમનભાઈ પટેલનુ પણ દૃષ્ટાંત ટાંકતા જણાવ્યુ કે ચીમનભાઈ પટેલે અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો, પટેલોનો પાવર, રાજકીય કુનેહ બધુ હોવા છતા ગુજરાતી મતદાર ત્રીજા મોરચાને સ્વીકારતો નથી.
આમ આદમી પાર્ટીએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક હવા ઉભી કરીને કોંગ્રેસ પાર્ટીને મોટુ નુકસાન પહોંચાડ્યુ હતુ અને કોંગ્રેસ માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. 2017ની ચૂંટણીમાં 76 બેઠકો જીતનારી કોંગ્રેસ 2022ની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો જીતી શકી હતી જ્યારે આમ આદમી પાર્ટી 5 બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ તમામ પાસાઓ અંગે વિચારી ગુજરાતની આગામી ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
ગઠબંધન તૂટવાની સાથે આપમાં ભંગાણ, 100 કાર્યકરો એ છેડો ફાડ્યો
કોંગ્રેસની એક્લા હાથે લડવાની જાહેરાત સાથે જ AAP માં મોટુ ભંગાણ જોવા મળ્યુ છે. અમદાવાદ અને સુરતના 100 જેટલા AAP કાર્યકરો પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ તમામ આપ કાર્યકરોને શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવી સદસ્યતા અપાવી હતી. આ તકે શક્તિસિંહે કાર્યકરોને જણાવ્યુ હતુ કે AAP કાર્યકારોના ખભાનો દુરુપયોગ થઈ રહ્યો હતો. સામાન્ય ગુજરાતીનું ભલું થાય તે દિશામાં કોંગ્રેસ કામ કરશે. આપણા તેજસ્વી યુવાનો ડ્રગ્સના દૂષણમાં હોમાઈ રહ્યા છે ત્યારે તેની સામે સૌએ સાથે મળી કામ કરવાનું છે સૌને પાર્ટીમાં આવકારું છું