Bhavnagar: ગુજરાતના 51 મંદિરમાં ચોરી કરનારી ટોળકી ઝડપાઈ, પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત
ભાવનગરમાં પકડાયેલ ત્રણ ચોર ગેંગ કે જેમના દ્વારા રાજ્યના વિવિધ મંદિરોમાં ચોરી કરવામાં આવતી હતી. જેમાં સૌથી વધુ ચોરી સૌરાષ્ટ્રમાં થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ભાવનગર સહિત રાજ્યના કુલ 51 મંદિરમાં ચોરી કરનારી ગેંગને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા દર્શન કરવાના બહાને વિવિધ મંદિરોને નિશાનો બનાવી સોના ચાંદીના દાગીનાની મંદિરમાંથી ચોરી કરવામાં આવતી હતી.
પોલીસે આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને અતુલ ધકાણ, સંજય સોની અને ભરત થડેશ્વરની ધરપકડ કરી હતી. પોલીસે ટોળકીના 3 ચોરને ઝડપીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અને ચોરીનો મુદ્દમાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે 60, 400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આગળ વધારી
ભાવનગરમાં પકડાયેલ ત્રણ ચોર ગેંગ કે જેમના દ્વારા રાજ્યના વિવિધ મંદિરોમાં ચોરી કરવામાં આવતી હતી. જેમાં સૌથી વધુ ચોરી સૌરાષ્ટ્રમાં થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ સીટી, અમદાવાદ રૂરલ, પોરબંદર, સોમનાથ જિલ્લાના વિવિધ મંદિરમાંથી સોના -ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી.
જોકે હાલ પોલીસ દ્વારા પકડાયેલા ઈસમો પાસે રોકડ રૂપિયા સોના ચાંદીના દાગીના મળીને કુલ 60,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસ દ્વારા અન્ય મંદિરોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માટે ત્રણેય શખ્સોના રિમાન્ડની માંગણી કરી છે.
દર્શન કરવાના બહાને કરતા હતા રેકી
પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે આ આરોપીઓ મંદિરમાં દર્શન કરવાના મંદિરની રેકી કરતા હતા અને જ્યારે મંદિર બંધ હોય ત્યારે તાળા તોડી ચોરીના ગુનાને અંજામ આપતા હતા.
રાજ્યના વિવિધ શહેરમાં આ ટોળકીએ કરી હતી ચોરી
ભાવનગર જિલ્લામાં આવેલા મંદિરોમાં ચોરી કર્યાની ઘટનામાં શિહોરના પાલડી ગામે, ગારીયાધારના ભીડભંજન મહાદેવ મંદિર, પરવડી ગામના મંદિર, વલભીપુરના લીમડા ગામે આવેલ મંદિર તેમજ બગસરા સહિત સૌરાષ્ટ્રના દામનગર,અમરેલી, ઉમરાળાના બજુડ તેમજ ધંધુકા,વિરમગામ, ચમારડી ગામે, વલભીપુરના રાણપુરડા ગામે, ગઢડા બોટાદ રોડ પર આવેલ મંદિરમાં ચોરી કરી હતી.
તો સાવરકુંડલાના સેલણા તેમજ વીજપડી, સીમરણા, બેશવડ, અમદાવાદ નારી ચોકડી, ભાવનગર, જેસર, રતનવાવ, પોરબંદર, સાંઢીયા, મોટા સુરકા, દહેગામ, મહેસાણા, સીદસર, માંડલ ગામ, દાઠા ગારીયાધાર, આણંદ, ગઢડાના રણીયાળા ગામ સહિતના ગામોમાં આવેલ ધાર્મિક મંદિરોમાં દર્શન કરવાના બહાને અંદર જઈ ચોરીને અંજામ આપ્યો હતો.