ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરું નિષ્ફળ, આરોપીઓના 7 દિવસના જામીન મંજૂર, જુઓ Video
ગુજરાત ATSએ Jaish-e-Mohammed સાથે સંકળાયેલા વધુ પાંચ આતંકીઓને ઝડપી પાડ્યા છે. અગાઉ પકડાયેલા આઠ આરોપીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો હતો.

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરી છે. Jaish-e-Mohammed (JeM) સાથે સંકળાયેલા હોવાની શંકા હેઠળ વધુ પાંચ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ધરપકડ અગાઉ 2 જુલાઈએ પકડાયેલા આઠ આરોપીઓની પૂછપરછ બાદ કરવામાં આવી હતી, જેમાં આતંકી નેટવર્કના વિસ્તરણનો ખુલાસો થયો હતો.
ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી માહિતીના આધારે, બનાસકાંઠા અને પાટણના કેટલાક સમૂહો Jaish-e-Mohammed સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને ગુજરાતમાં આતંકી નેટવર્ક સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે જાણીને ATS દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. 2 જુલાઈએ આઠ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા હતા, જેમની પાસેથી ટેલિફોનિક પુરાવા, Jaish-e-Mohammed ના ઝંડા, આતંકી મસુદ અઝહરના પુસ્તકો અને ફતવાઓ પણ મળી આવ્યા હતા. આતંકીઓ JeM ના સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને તેની વિચારધારા ફેલાવતા હતા.
તપાસ દરમિયાન, એટીએસને જાણવા મળ્યું કે કેટલાક આરોપીઓ ખડીયાસણની જામિયા અબુલ હસન મદ્રેસામાં રહેતા હતા અને વર્ષ 2023થી ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બોમ્બ બનાવવાની અને તેને ડેટોનેટ કરવાની પદ્ધતિઓ શીખી રહ્યા હતા. મુખ્ય આરોપી બિલાલ શેરાની ભૂમિકા આ કાવતરામાં અત્યંત મહત્વપૂર્ણ હોવાનું સામે આવ્યું છે.
ત્રણ વર્ષ પહેલા, બિલાલે મોહમ્મદ અમીન શેરાને એક પેન ડ્રાઈવ આપી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને Jaish-e-Mohammed નું વિસ્તૃત સાહિત્ય સંકલિત હતું. “અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરેગા” નામનું પુસ્તક પણ આ સાહિત્યનો એક ભાગ હતું, જેમાં ગન પાઉડરથી લઈને બ્લાસ્ટ સુધીની વિગતવાર માહિતી હતી. આ પુસ્તકોની પ્રિન્ટ કાઢીને આરોપીઓ અંદરોઅંદર વહેંચણી કરતા હતા અને જેહાદી વિડીયો પણ ફેલાવતા હતા.
ઝડપાયેલા આરોપીઓએ બ્લાસ્ટ કરવાનું શીખવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં આઠ વખત પરીક્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે જરૂરી સામગ્રી જેમ કે પોટેશિયમ નાઈટ્રેટ, સલ્ફર અને ચારકોલ તેઓ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સ અને સ્થાનિક બજારમાંથી ખરીદતા હતા. તેઓએ ટાઈમર લગાવીને બ્લાસ્ટ કરવાના પ્રયાસો પણ કર્યા હતા.
બિલાલ શેરા, મૂળ શેઠપુર, પાટણનો રહેવાસી છે, તે અમદાવાદમાં કામ કરતો હતો અને કઠવાડા નજીક આવેલી હોટલ દિવ્યા પેલેસમાં રહેતો હતો. હોટલના માલિકના જણાવ્યા અનુસાર, બિલાલ છેલ્લા એક વર્ષથી ત્યાં ડોરમેટરી રૂમમાં રહેતો હતો અને તેની સાથે સલમાન શેરા નામનો તેનો વતની પણ રહેતો હતો. બિલાલ મોટાભાગે તેના લેપટોપ પર કામ કરતો જોવા મળતો હતો, જેના પરથી તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હોવાની આશંકા છે. ATS એ બિલાલના લેપટોપ અને અન્ય સામાનને કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ ધરપકડથી ગુજરાતમાં Jaish-e-Mohammed નું નેટવર્ક સ્થાપવાના મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર નેટવર્ક, તેના સંપર્કો અને સંભવિત કડીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. વધુ કટ્ટરવાદી તત્વો સંકળાયેલા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ATS દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના વિકાસ માટે 2,719 કરોડ રૂપિયાના ખર્ચે 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી, જાણો