Breaking News: IDBI બેંકના પ્રાઇવેટાઇઝેશન સામે કર્મચારીઓ ‘લાલઘૂમ’, દેશભરમાં 27 જુલાઈના રોજ ભૂખ હડતાળનું કર્યું ‘એલાન’
IDBI બેંકના પ્રસ્તાવિત ખાનગીકરણ (પ્રાઇવેટાઇઝેશન) સામે કર્મચારીઓનો વિરોધ હવે વધુ તેજ બન્યો છે. પોતાની નોકરી, પેન્શન અને સુરક્ષિત ભવિષ્યને લઈને ચિંતિત બેંક કર્મચારીઓએ આગામી 27 જુલાઈના રોજ દેશભરમાં એક દિવસીય ભૂખ હડતાળ પર જવાનું એલાન કર્યું છે.

IDBI બેંકના પ્રસ્તાવિત પ્રાઇવેટાઇઝેશનના વિરોધમાં કર્મચારીઓનું આંદોલન તેજ બન્યું છે. યુનાઇટેડ ફોરમ ઓફ IDBI ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઇઝે 27 જુલાઈના રોજ દેશભરમાં એક દિવસીય ભૂખ હડતાળની જાહેરાત કરી છે.
સંગઠનનું કહેવું છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) દ્વારા બેંકનું ખાનગીકરણ ઓગસ્ટના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓમાં નોકરી, પેન્શન અને સામાજિક સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
ખાનગીકરણનો કર્યો ‘વિરોધ’
ફોરમના આગેવાનોનું કહેવું છે કે, છેલ્લા 6 વર્ષમાં IDBI બેંકે સતત નફો કર્યો છે અને નાણાકીય તેમજ ઓપરેશનલ કામગીરીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આવા સમયે ખાનગીકરણનો નિર્ણય કર્મચારીઓના હિતોની વિરુદ્ધ છે.
અનામત અને દિવ્યાંગ કર્મચારીઓને લઈને ચિંતા
સંગઠને બેંકમાં ફરજ બજાવતા 884 દિવ્યાંગ કર્મચારીઓના ભવિષ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત બેંકમાં 3,070 અનુસૂચિત જાતિ (SC), 1,214 અનુસૂચિત જનજાતિ (ST), 5,604 અન્ય પછાત વર્ગ (OBC) અને 805 આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના કર્મચારીઓ કાર્યરત છે. કર્મચારીઓનું કહેવું છે કે, ખાનગીકરણ પછી બેંક જાહેર ક્ષેત્રના અનામતના નિયમોના દાયરામાંથી બહાર થઈ જશે, જેનાથી સામાજિક ન્યાય પર અસર પડી શકે છે.
પારદર્શકતા ઘટવાનો દાવો
ફોરમનું કહેવું છે કે, ખાનગીકરણ પછી બેંક માહિતી અધિકાર (RTI) અધિનિયમ, કેન્દ્રીય તકેદારી આયોગ (CVC) અને સંસદીય સમિતિઓ જેવી દેખરેખ પ્રણાલીઓના દાયરામાંથી બહાર નીકળી જશે. આનાથી પારદર્શકતા અને જાહેર જવાબદારી પ્રભાવિત થઈ શકે છે.
Hunger strike in IDBI Bank
IDBI Bank employees have announced one-day nationwide hunger strike on Monday (July 27) to protest against the proposed privatisation of IDBI Bank. As per reports, Govt may sell its stake in IDBI Bank by August-end.
— Hellobanker (@Hellobanker_in) July 17, 2026
બે કરોડથી વધુ ગ્રાહકોને સેવાઓ
સંગઠનના જણાવ્યા અનુસાર, IDBI બેંકની દેશભરમાં 2,193 શાખાઓ છે અને બેંક બે કરોડથી વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે. બેંકનો કુલ થાપણ આધાર (ડિપોઝિટ બેઝ) 3.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં 1.55 લાખ કરોડ રૂપિયાની ઓછી કિંમતની થાપણો (Low-cost Deposits) જોડાયેલ છે.
સરકારી યોજનાઓમાં ભજવી રહી છે ‘મહત્વની ભૂમિકા’
ફોરમે જણાવ્યું હતું કે, બેંક ઘણી સરકારી નાણાકીય સમાવેશન યોજનાઓનો પણ અમલ કરી રહી છે. આમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ના 18.72 લાખ ખાતા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) ના 10.86 લાખ નોંધણી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) ના 3.81 લાખ નોંધણી અને અટલ પેન્શન યોજના (APY) ના 5.48 લાખ ગ્રાહકો જોડાયેલા છે.
આ ઉપરાંત બેંક 191 આધાર નોંધણી કેન્દ્ર અને એક ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (RSETI) નું સંચાલન પણ કરે છે. કર્મચારીઓનું કહેવું છે કે, ખાનગીકરણ બાદ બેંકનું ધ્યાન સામાજિક બેંકિંગના બદલે માત્ર નફા પર કેન્દ્રિત થઈ શકે છે.
30,000 કરોડ રૂપિયાથી વધુની ‘રિયલ એસ્ટેટ સંપત્તિ’
ફોરમના જણાવ્યા અનુસાર, દેશભરમાં 21 થી વધુ પ્રમુખ સ્થળોએ બેંક પાસે રિયલ એસ્ટેટ સંપત્તિ છે, જેની અંદાજિત કિંમત 30,000 કરોડ રૂપિયાથી વધુ છે.
વિદેશી માલિકી અંગે પણ ચિંતા વ્યક્ત કરી
સંગઠનનું કહેવું છે કે, જો વ્યૂહાત્મક વેચાણ પૂર્ણ થશે, તો IDBI બેંક વિદેશી માલિકી હેઠળ જનારી પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક બની જશે. ફોરમે દાવો કર્યો છે કે, આ આત્મનિર્ભર ભારતની ભાવનાની વિરુદ્ધ હશે.
સંગઠને તમામ રાજકીય પક્ષો, સંસદ સભ્યો, વિપક્ષના નેતાઓ, ટ્રેડ યુનિયનો, અર્થશાસ્ત્રીઓ અને નાગરિકોને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.
